રાજકોટઃ ખેડૂતોની માગેને લઈને રાજ્યવ્યાપી હડતાળ કરવામાં આવી રહી છે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટના મોરબી બાયપાસ ખાતે શાકભાજી રસ્તા પર ફેંકી અને દૂધ ઢોળીને વિરોધ કરવામાં આવ્યો હતો.
તો બીજી તરફ જૂનાગઢના જસણમાં બંધ રાખીને વિરોધ કરવામાં આવ્યો. શાકભાજીની હરાજી બંધ રાખવામાં આવી હતી. સાથે જ માણસામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ધરણાં યોજાયા હતા. ખેત પાકોના ભાવ અને વીજળી સહિતના વિવિધ મુદ્દે ધરણાં યોજાયા હતા.
આ ઉપરાંત પરેશ ધાનાણી સહિતના નેતાઓએ અમરેલીમાં ધરણા કર્યા હતા. કોંગ્રેસના ધરણાના સ્ટેજની આગળ વિવિધ શાકભાજી રાખવામાં આવી હતી. શાકભાજી ઉપર ભાવનો તફવત લખવામાં આવ્યો હતો કે બજારમાં કેટલી મોંઘી વેચવામાં આવે છે.
બનાસકાંઠામાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા વિરોધ
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ કરાયો હતો. ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવ ન મળતા કોંગ્રેસ દ્વારા ડીસા રાધનપુરમાં વિરોધ કરાયો હતો. ખેડૂતોએ શાકભાજી દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ કર્યો હતો. ભિલડી ડીસા ધાનેરા હાઈવે ડીસા પાલનપુર હાઈવે ખેડૂતો દ્વારા ચક્કાજામ કરાયો હતો.
મહત્વપૂર્ણ છે કે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો કરી રહી છે. કોંગ્રેસ રેલી કાઢીને વિરોધ કર્યો હતો. ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરી હતી. ત્યારે દાંતીવાડામાં કોંગ્રેસના કાર્યકરોએ ટાયરો સળગાવીને અને દુધ ઢોળીને વિરોધ કર્યો છે. આ ઉપરાંત કાર્યકરોએ દાંતીવાડા પુલ પર ચક્કાજામ પણ કર્યો છે.
ખેડા જિલ્લામાં ખેડૂતોના પ્રશ્નોને લઈને વિરોધ
નડિયાદના ખેડા જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો હતો. સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓ એકત્ર થયા હતા અને ઘંટ તથા થાળીઓ વગાડીને વિરોધ કર્યો હતો.
વેરાવળના ખંડેરી ગામમાં ખેડૂતોએ કર્યો વિરોધ
રાજ્યભરમાં ખેડૂતો દ્વારા પોતાની પડતર માગોને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વેરાવળ તાલુકાના ખંડેરી ગામમાં 200થી વધુ ખેડૂતોએ એકઠા થઈને વિરોધ કર્યો હતો. આ દરમિયાન ખેડૂતોએ દુધ રસ્તા પર ઠાલવીને વિરોધ કર્યો હતો. ખેડૂતો એ રાષ્ટ્ર વ્યાપી ખેડૂત આંદોલન ને સમર્થન આપ્યું છે. દૂધ અને શાકભાજી બજારમાં જતા અટકાવ્યા છે. ખેડૂતોએ સરકાર અને કેન્દ્રીય કૃષિ મંત્રી સામે રોષ ઠાલવ્યો છે.
સાથે જ સરકારના વિરૂદ્ધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સમગ્ર દેશમાં ખેડૂતોને પોતાના ઉત્પાદનના પોષણક્ષમ ભાવે ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સૌરાષ્ટ્રભરમાં પણ ખેડૂતો રોષે ભરાયા
આંદોલન વિરોધ અને વલોપાત સાથે ખેડૂત રોડ પર ઉતરી આવ્યા છે. પોતાના દ્વારા ઉત્પાદિત શાકભાજી અને દૂધ રોડ પર વહાવી રહ્યા છે. છતાં સરકારી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. છેલ્લા કેટલાક મહિનાથી સૌરાષ્ટ્રભરમાં પણ ખેડૂતો રોષે ભરાયા છે. અને હોબાળો મચાવી રહ્યા છે.
જેનું પરિણામ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વર્તમાન સરકારે ભોગવવું પડ્યું છે. છતાં સરકાર હજુ જાગી નથી. ત્યારે હવે 2019ની સંસદની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે. આગામી લોકસભા ચૂંટણીને લઇને જો સરકાર ખેડૂતોને ગંભીરતાથી નહીં લે તો માઠા પરિણામ ભોગવવાનો વારો આવશે.
થરાદ કોંગ્રેસ અને ખેડુતો દ્વારા વિરોધ પ્રદર્શન
ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે બનાસકાંઠાના થરાદ ખાતે કોગ્રેસના કાર્યકર અને ખેડૂતોએ વિરોધ કર્યો છે. ખેડૂતોએ રોડ પર શાકભાજી અને દુધ ઢોળીને વિરોધ કર્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં રાહ ગામના ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.
ઓલપાડ ખાતે ખેડૂત સમાજ દ્વારા વિરોધ
ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે સુરતના ઓલપાડ વિસ્તારમાં ખેડૂત સમાજે વિરોધ કર્યો છે. મોટી સંખ્યામાં ખેડૂત સમાજના લોકોએ મળીને વિરોધ કર્યો છે. આ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
તાપીના સોનગઢમા કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન
તો આ તરફ તાપીના સોનગઢમાં કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો છે. કોંગ્રેસના આગેવાનો અને મહિલાઓએ રેલી કરીને વિરોધ નોંધાવ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ શાકભાજી અને પેટ્રોલ ડીઝલ રસ્તા પર ફેંકીને વિરોધ કર્યો હતો.
જામખંભાળિયામાં પણ ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા વિરોધ
મહત્વનું છે કે દ્વારકાના જામખંભાળિયામાં પણ ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગરીબ વિસ્તારમાં શાકભાજી અને દૂધનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું. 9 દિવસથી ચાલતી ખેડૂતોની હડતાળમાં કોંગ્રેસે સમર્થન આપ્યું.
ખેડૂત આંદોલનના મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન
ગુજરાતમાં વધતા જતા ખેડૂત આંદોલનના મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરામાં નિવેદન આપ્યું હતું. ગુજરાતનો ખેડૂત ખેતી નિષ્ફળ જવાથી આત્મહત્યા કરતો નથી. ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી છે. ગુજરાતમાં જે આંદોલન ચાલી રહ્યું છે તે રાજકીય પાર્ટી પ્રેરિત છે. શાકભાજી દૂધ રસ્તા પર ફેંકતા ખેડૂતો રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે સુચારુ આયોજન કર્યુ છે. ખેડૂતોને શાકભાજીના પુરતા ભાવ મળી રહ્યા છે.