સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદાના અમલ પર રોક લગાવી દીધી છે. આગામી આદેશ ના થાય ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા પર રોક લગાવી છે. ત્યારે કૃષિ કાયદાના અમલ પર સુપ્રીમ કોર્ટની રોક બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે આંદોલન ચાલું જ રહેશે.
કોર્ટના નિર્ણય બાદ બોલ્યાં ખેડૂત નેતા ટિકૈત
કાયદો રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
હજૂ પણ આંદોલન ચાલુ રહેશે-રાકેશ ટિકૈત
ઉલ્લેખનીય છે કે, ખેડૂત અગ્રણી રાકેશ ટિકૈતે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હજુ પણ અમારૂં આંદોલન ચાલું રહેશે. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ કરીશું. આપને જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટે 4 સભ્યોની એક કમિટીની રચના કરી છે. જે કમિટી સુપ્રીમ કોર્ટને કાયદા અંગે રિપોર્ટ સોંપશે.
છેલ્લા 47 દિવસથી દિલ્હીની સરહદ પર ખેડૂતો કરી રહ્યા છે આંદોલન
આપને જણાવી દઇએ કે, દિલ્હીની સરહદ પર ૪૭ દિવસથી પ્રદર્શનકારીઓનો જમાવડો છે અને ૨૬ જાન્યુઆરીએ ખેડૂતોએ ટ્રેક્ટર રેલીને કાઢવાનો પ્લાન તૈયાર કર્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રએ અરજી કરી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે ૨૬ જાન્યુઆરીએ ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી ન કાઢવાનો આદેશ સુપ્રીમ કોર્ટ ચાલુ રાખે. સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્રની આ અરજી પર સુનાવણી કરવાનું નક્કી કર્યું છે.
સોમવારે પણ થઇ હતી સુપ્રીમ કોર્ટમાં થઇ ચર્ચા
કૃષિ કાયદાઓ પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં ચર્ચા થઈ. સરકારની ઝાટકણી કાઢતાં ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ કહ્યું કે સરકાર આ મામલો હેન્ડલ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. તેમણે એવો પણ સવાલ કર્યો કે કૃષિ કાયદાઓ પર થોડા સમય માટે પ્રતિબંધ લગાવવામાં સરકાર શા માટે અચકાય છે. કોર્ટે એમ પણ કહ્યું કે હજુ પણ જો સરકાર કાયદાઓ પર પ્રતિબંધ ન મૂકે તો અમે એવું કરીશું.
સુનાવણીમાં કોર્ટે એવું પણ સૂચન આપ્યું કે હાલમાં એક કમિટીની રચના કરી શકાય. જે આ કાયદાઓની સમીક્ષા કરે અને કમિટીનો રિપોર્ટ આવે ત્યાં સુધી કાયદાઓને લાગુ ન કરવામાં આવે, પરંતુ, ખેડૂત નેતાઓ કહે છે કે સુપ્રીમ કોર્ટ જો આ નિર્ણય પર પ્રતિબંધ લગાવી પણ દે તો ય આંદોલન ખતમ થવાનું નથી. મોડી સાંજે એક પ્રેસનોટ જારી કરીને ખેડૂત નેતાઓએ એમ પણ કહ્યું કે કોર્ટ જો કાલે કોઈ કમિટીની રચના કરે છે તો અમે તેનો હિસ્સો નહીં બનીએ. ખેડૂત નેતાઓએ આ નિર્ણય પોતાના વકીલો સાથેની ચર્ચા પછી લીધો છે. ખેડૂત નેતા ડોક્ટર દર્શન પાલે આ મિટિંગ પછી કહ્યું, ‘અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ અને એ વાતનું સ્વાગત કરીએ છીએ કે સુપ્રીમ કોર્ટ કાયદાઓ લાગુ કરવા સામે પ્રતિબંધ મૂકવાની વાત કરી રહી છે પણ અમે કોર્ટ દ્વારા સૂચવાયેલી કમિટીનો હિસ્સો બનવા માગતા નથી.’
કમિટીના બહાને આંદોલન બંધ નહીં કરવાની ઉચ્ચારાઇ ચીમકી
ખેડૂત નેતા ગુરનામસિંહ ચઢુની કહે છે, ‘કાયદાઓ પર જો હંગામી પ્રતિબંધ મુકાય છે તો પણ આંદોલન ચાલતું રહેશે. કાયદાઓ સંપૂર્ણપણે રદ થાય એ પહેલાં અમે લોકો પરત જવા તૈયાર નથી. કમિટીના બહાને અમે આંદોલન બંધ કરવાના નથી. અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ પણ કાયદાઓ રદ થયા પહેલા આંદોલનમાં કોઈ ફેરફાર થશે નહીં.