દિલ્હીમાં ખેડૂત આંદોલનના કારણે વેપારીઓની પણ ઊંઘ ઉડી ગઈ છે, આંદોલનના કારણે વેપાર પર માઠી અસર પડી રહી છે ત્યારે હવે વેપારીઓ દ્વારા ખેડૂતોની માંગ જલ્દી માનવામાં આવે તેવી વાત કરવામાં આવી રહી છે.
દિલ્હીમાં ખેડૂત આંદોલનનો આજે 24મો દિવસ
આંદોલનના કારણે વેપારીઓને હજારો કરોડનું નુકસાન
ટ્રાન્સપોર્ટના બિઝનેસ પર જોરદાર ઝટકો
વેપારીઓ પણ કરી રહ્યા છે માંગ
કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીની સીમાઓ પર બેઠા ખેડૂતોને આજે 24 દિવસ થઇ ગયા છે અને આ આંદોલનના કારણે દેશના ઘણા બધા રસ્તાઓ બંધ કરી દેવાની ફરજ પડી છે. રસ્તાઓ બંધ થવાના કારણે વેપારને પણ માઠી અસર પડી રહી છે ત્યારે હવે ખેડૂતોની સાથે સાથે વેપારીઓ પણ સરકારથી માંગ કરી રહ્યા છે કે તેમની માંગ સાંભળવામાં આવે.
મોટું નિવેદન
દિલ્હી હિન્દુસ્તાની મર્કેન્ટાઈલ એસોસિએશનના પૂર્વ પ્રધાન સુરેશ બીન્દલે કહ્યું કે આ આંદોલનના કારણે વેપારમાં ખૂબ નુકસાન થઇ રહ્યું છે. દિલ્હીના જે મુખ્ય બજારો છે જેવા કે ચાંદની ચોક, સદર બજાર, ખારી બાવલી, નયા બજાર, ભાગીરથ પેલેસ, દરિયાગંજ, ટેંક રોડ, સરોજીની નગર અને દિલ્હીની આસપાસના પણ મોટા બજારોમાં અસર પડી રહી છે. વેપારીઓના ટર્નઓવર પર પણ મોટી અસર પડી છે, 30 હજાર કરોડ રૂપિયાની ખરીદ વેચાણ રોકાઈ ગઈ છે.
તેમણે કહ્યું કે કોરોના વાયરસના કારણે પહેલાથી જ બજારોમાં તકલીફ પડી રહી છે એવામાં આ આંદોલને વેપારીઓની કમર તોડી નાખી છે. ટ્રાન્સપોર્ટર્સમાં પણ એક ભય જોવા મળી રહ્યો છે.
દેશભરના વેપારીઓને પડ્યો ફટકો
એસોચેમ અને કેટનું પણ અનુમાન છે કે ખેડૂત આંદોલનના કારણે વેપારને ખૂબ નુકસાન થઇ રહ્યું છે.ASSOCHAM તરફથી કહેવામાં આવ્યું કે આ મુદ્દાઓનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવવું જોઈએ, આ આંદોલનના કારણે દરરોજ 3500 કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે એવામાં દેશભરના વેપારીઓને તકલીફ પડી રહી છે. પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ જેવા રાજયોના અર્થતંત્રને પણ માઠી અસર પડી છે.
કેટના રાષ્ટ્રીય મહાસચિવનું કહેવું છે કે આંદોલનના કારણે પાંચ હજાર કરોડ રૂપિયાનો વેપાર પ્રભાવિત થયો છે. તેમણે કહ્યું કે ખેડૂતોની માંગ સાંભળવી જોઈએ અને સમસ્યાનું સમાધાન નીકાલવું જોઈએ. જો આવ્ય નહીં કરવામાં આવે તો વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર્સની હાલત ખૂબ ખરાબ થઇ જશે. દિવાળી બાદ જેમ તેમ ગાડી પાટા પર આવી હતી અને આંદોલનના કારણે ફરીથી મુશ્કેલી ઉભી થઇ ગઈ.