છેલ્લા 15 દિવસથી દિલ્હીમાં હલ્લાબોલ કરી રહેલા ખેડૂતો હવે આંદોલનને વધુ ઉગ્ર બનાવે એવા એંધાણ છે ત્યારે કૃષિ મંત્રી આજે ફરીથી અપીલ કરી શકે છે.
સિંઘુ બોર્ડર પર આંદોલન કરતા ખેડૂતો લડી લેવાના મૂડમાં
આંદોલનનો 15 દિવસ છતાં ખેડૂતો ઝૂકવા તૈયાર નહીં
ત્રણેય કાયદાઓ રદ થાય તે માંગ પર ખેડૂત અડગ
ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ
છેલ્લા 15 દિવસથી દિલ્હી અને તેની બોર્ડર પર ખેડૂતો ભેગા થઇને કેન્દ્રના કાયદાઓ સામે વિરોધ કરી રહ્યા છે ત્યારે ખેડૂતો સરકારની એક સાંભળવા તૈયાર ન હોય તેવું દેખાઈ રહ્યું છે. બુધવારે સરકારે લેખિતમાં જે પ્રસ્તાવ આપ્યો તેને પણ ખેડૂતોએ ફગાવી દીધો છે ત્યારે ખેડૂતો અગ્રણીઓ કહી રહ્યા છે કે કાયદા પાછા ન લેવાય તો એક બાદ એક દિલ્હીના રસ્તાઓને બ્લોક કરી દેવામાં આવશે. આ સિવાય ખેડૂતો કાયદાના વિરોધમાં 14મી તારીખે જિલ્લા મુખ્યાલયોનો ઘેરાવ કરશે ને 12મી તારીખે દિલ્હી-જયપુર માર્ગ બંધ કરવામાં આવશે ત્યારે કેન્દ્ર સરકારે ખેડૂતોને અપીલ કરી છે કે વૃદ્ધો અને બાળકોને ઘરે મોકલી દેવામાં આવે, જોકે હજુ પણ ભીડ એટલી જ છે અને આંદોલન ચાલુ છે.
સરકાર ખેડૂતોને મનાવવામાં લાગી
ખેડૂતો અતિ આક્રોશમાં દેખાઈ રહ્યા છે ત્યારે આજે ફરીથી આંદોલનને ખતમ કરવા માટે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર ખેડૂતોને અપીલ કરશે. ન્યૂઝ એજન્સી ANIના સૂત્રો અનુસાર આજે નરેન્દ્ર સિંહ તોમર મીડિયાને સંબોધિત પણ કરશે અને સાથે પણ ખેડૂતોને ફરીથી નવા કૃષિ કાયદાનો વિરોધ ન કરવા અપીલ કરશે. નોંધનીય છે કે ખેડૂતોના વિરોધની વચ્ચે ઘણા બધા કેન્દ્રીય મંત્રીઓ ખેડૂતોને સમજાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આજે પ્રકાસ જાવડેકરે ફરીથી અપીલ કરતા કહ્યું કે નવા કાયદાઓ મુદ્દે ખોટી અફવા કે ગેરમાર્ગે દોરતી ન્યૂઝ પર ધ્યાન આપશો નહીં.
ખેડૂત નેતાએ કહ્યું સરકારના આમંત્રણની રાહ
કેન્દ્ર તરફથી સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે 15માં દિવસે પણ ખેડૂતોનો પૂરો જોશ જોવા મળી રહ્યો છે. સિંઘુ બોર્ડર પર ભારતીય કિસાન યુનિયનના મંજીત સિંહે કહ્યું કે સરકારનો ઈરાદો આંદોલનને કમજોર કરવાનો છે પરંતુ હજુ તો કેટલાય બીજા ખેડૂતો પણ આંદોલનમાં સામેલ થવા માટે દિલ્હી આવી રહ્યા છે.
ખેડૂતોની દિલ્લીને ઘેરવાની તૈયારીઓ
ખેડૂત નેતાઓએ સરકારને ચેતવણી આપી છે કે કાયદા પાછા નહીં લો તો એક બાદ એક દિલ્હીના બધા રસ્તાઓને બ્લોક કરી દેવામાં આવશે. આટલું જ નહીં ખેડૂતો સિંઘુ બોર્ડરથી દિલ્હીમાં દાખલ થઇ જવાનો નિર્ણય પણ લઇ શકે છે.
કૃષિ કાયદાઓ પરત લેવાની માંગ પર અડગ
ખેડૂત નેતા રાકેશ ટિકેતે કહ્યું કે જે પ્રસ્તાવ આપવામાં આવ્યો છે તેમાં બિલ પાછા લેશે તેની કોઈ વાત નથી, સરકાર તેમાં સંશોધન કરવા માંગે છે જ્યારે અમારી માંગ છે કે સરકાર આખા બિલને રદ કરે. એ સિવાય કોઈ રસ્તો નીકળતો દેખાતો નથી.