ખેડૂત સંગઠનોએ કૃષિ કાયદા 18 મહિના સુધી ટાળવાની સરકારની દરખાસ્ત એકઝાટકે ફગાવી દીધી છે.
ગુરુવારે ખેડૂત સંગઠન નેતાઓ અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે 10 મા રાઉન્ડની મંત્રણા થઈ
ખેડૂતો કૃષિ કાયદાને રદ કરવાની તથા એમએસપી કાયદા પર મક્કમ
જ્યાં સુધી કાળા કાયદા રદ ન થાય ત્યાં સુધી સરકારની એક પણ દરખાસ્ત મંજૂર નહીં : ખેડૂત નેતાઓ
ગુરુવારે ખેડૂત સંગઠન નેતાઓ અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે 10માં રાઉન્ડની મંત્રણા થઈ હતી. મંત્રણામાં સરકાર વતી આગેવાની કરી રહેલા કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂત નેતાઓને એવી ખાતરી આપી કે સરકાર 18 મહિના સુધી કૃષિ કાયદાને ટાળવા તૈયાર છે. જોકે ખેડૂત નેતાઓએ એકસૂરે તોમરની આ દરખાસ્ત ફગાવી દઈને એમએસપીની લેખિતમાં અને કાનૂની ખાતરી તથા 3 કાયદા સંપૂર્ણપણે પાછા ખેચવાની તેમની જુની માગ દોહરાવી હતી.
ખેડૂત નેતા જોગિંદર સિંહ ઉગ્રાહને જણાવ્યું કે સંયુક્ત ખેડૂત મોરચા દ્વારા એવો નિર્ણય લેવાયો છે કે જ્યાં સુધી કાળા કાયદા રદ ન થાય ત્યાં સુધી સરકારની એક પણ દરખાસ્ત સ્વીકારવામાં નહીં આવે. તેમણે કહ્યું કે 22 જાન્યુઆરીએ પણ સરકાર સાથે 11માં રાઉન્ડની મંત્રણા થવાની છે. અમે આ બેઠકમાં પણ જણાવીશું કે અમારી એક જ માગ છે કે કાયદા રદ કરો અને એમએસપીનો કાયદો બનાવો.
સુપ્રીમની સમિતિ અને ખેડૂત સંગઠનના નેતાઓ વચ્ચે બેઠક
ખેડૂત આંદોલનને ખતમ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી સમિતિ અને ખેડૂત સંગઠનના નેતાઓ વચ્ચે ગુરુવારે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમિતિના સભ્યોએ ખેડૂત પ્રતિનિધિઓને કાયદા પર તેમના મંતવ્યો છૂટથી રજૂ કરવાની વિનંતી કરી હતી. ખેડૂત સંગઠનના નેતાઓએ ચર્ચામાં ભાગ લઈને તેમના અભિપ્રાયો અને સૂચનો રજૂ કર્યા હતા. તો બીજી તરફ સરકારે જણાવ્યું છે કે સુરક્ષા કારણોસર ખેડૂતો 26 મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી ન કાઢી શકે.
અખિલ ભારતીય કિસાન સભાના મહાસચિવ હન્નાન મોલ્લાહે એવું જણાવ્યું કે લાગી રહ્યું છે કે સરકારે થોડો વિચાર કરવાનું શરૃ કરી દીધી છે. 22 જાન્યુઆરીના પ્રસ્તાવ પર અમે જણાવ્યું છે કે અમારે ચર્ચા કરવી પડશે. ચર્ચામાં જે પણ સહમતિ બનશે તેને અમે સરકાર સમક્ષ રજૂ કરીશું.