ખેડૂત આંદોલન લાંબુ ચાલતા સરકારની નહીં પણ લોકોની ધીરજ ખૂટી છે. કામધંધે જવા આવવામાં તકલીફ પડી રહી હોવાને કારણે સ્થાનિકોએ હવે રસ્તો ખુલ્લો કરવાની માંગ ઉઠાવી છે.
4 મહિનાથી ખેડૂતો રસ્તો રોકી બેઠા હોવાથી સ્થાનિકો અકળાયા
રસ્તો ખુલ્લો કરવાની માગણી બુલંદ બનાવી
લોકોને કામધંધે જવા પડી રહી છે પારાવાર તકલીફો
ઈમરજન્સી આવી પડે તો શું કરવું ? લોક મનમાં ઘુમરાતો સવાલ
ખેડૂત આંદોલનને પગલે 4 મહિનાથી જીટી રોડ જામ હોવાને કારણે કુંડલી બોર્ડરની આજુબાજુના સ્થાનિકો અકળાયા છે. ખેડૂતો રસ્તો રોકી બેઠા હોવાથી સ્થાનિકોને બહાર આવવા જવામાં ખૂબ તકલીફ પડી રહી છે. એટલે હવે લોકો જીવ પર આવ્યાં છે અને રસ્તો ખુલ્લો કરવાની માગણી કરવા લાગ્યાં છે. કેટલાક રહીશો તથા ગામલોકો એવી પણ ફરિયાદો કરવા લાગ્યા છે કે કેટલાક આંદોલનકારી નશો કરીને ગાડીઓ અને ટ્રેકટરોમાં મોટા અવાજે ગીતો વગાડીને કોલોનીઓ અને ગામડાઓમાં ફરી રહ્યાં છે.
કિસાન મોરચાએ સ્થાનિકોની માફી માંગી
સ્થાનિકોને પડી રહેલી અગવડો ધ્યાનમાં આવતા સંયુક્ત કિસાન મોરચાએ આંદોલનકારીઓ માટે એક સલાહ જારી કરીને તેમની માફી માગી છે. મોરચાએ પેમ્ફ્લેટ જારી કરીને આંદોલનકારીઓને જણાવ્યું કે તેમણે લોકોની તકલીફ વધે તેવું કોઈ પગલું ભરવાનું નથી. મોરચાએ સ્થાનિકોના સહયોગની પ્રશંસા કરીને તેમને વેઠવી પડી રહેલી અગવડો બદલ માફી પણ માગી છે.
ખેડૂત આંદોલનને કારણે 40 કોલોનીઓના લોકોને હાડમારી
કુંડલી બોર્ડ પર આંદોલનકારીઓ જીટી રોડ જામ કરીને બેઠા છે. આખો રસ્તો બ્લોક હોવાને કારણે હજારો દુકાનદારો, રેહડી ચાલકો, માલ અને બીજી સંસ્થાઓ તથા ઓફિસોના લોકોને જવા આવવામાં તથા કામધંધો કરવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. લગભગ 20 ગામોની 40 કોલોનીઓના લોકોને નાની મોટી અસર પડી છે. લોકો બહાર પણ જઈ શકતા નથી અને જાય છે તો નીકળવું પણ મુશ્કેલ થઈ પડે છે. ઈમરજન્સીની સ્થિતિમાં તો વળી પરિસ્થિતિ વિકટ બને છે. આવી સ્થિતિમાં કામધંધો કેવી રીતે કરવો તે સવાલ લોકોના મનમાં ઘુમરાઈ રહ્યો છે અને તેથી તેમણે હવે ખેડૂત આંદોલનનો વિરોધ કરવાનો વારો આવ્યો છે.