રાજધાની દિલ્હીના 26 જાન્યુઆરીના ઉપદ્રવના એક દિવસ બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું નિવેદન સામે આવ્યું છે
લાલ કિલ્લા પર જવાનું અમારુ કોઈ આયોજન ન હોતું, લાલ કિલ્લા પર કોઈ ઝંડો ફરકાવવાની પણ અમારી યોજના નહોતી.
ભાંગફોડિયા તત્વોએ ખેડૂતો પર ટ્રેક્ટર ચઢાવવાની કોશિશ કરી હતી ઃ ટિકૈતનો આરોપ
દિલ્હી પોલીસે શહેરમાં ખેડૂત ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસક ઘટનાના સંદર્ભમાં 200 લોકોની ધરપકડ કરી
રાકેશ ટિકૈતે જણાવ્યું કે લાલ કિલ્લા પર જવાનું અમારુ કોઈ આયોજન ન હોતું, લાલ કિલ્લા પર કોઈ ઝંડો ફરકાવવાની પણ અમારી યોજના નહોતી. જેણે ફંડો ફરકાવ્યો છે તેની ધરપકડ કરો. તિરંગાનું કોઈ પણ અપમાન ન કરી શકે. કોઈએ ધાર્મિક ઝંડો ફરકાવવાની કોશિશ કરી છે. શીખોને ભારતથી વિખૂટા પાડવાનો પ્રયાસ કર્યો છે, તેની સામે કાર્યવાહી થવી જોઈએ, આ એક મોટું ષડયંત્ર છે, જે ખેડૂતો અને પોલીસની સમયસૂચકતાથી નિષ્ફળ બન્યું છે. 5 વાગ્યા સુધી દિલ્હી ખાલી થઈ ગયું હતું. રાતે પણ અમે પોલીસને કેટલાક લોકો સોંપ્યા હતા. આ લોકોએ પોલીસ પર ટ્રેક્ટર ચઢાવવાની કોશિશ કરી હતી. તેમને આ આંદોલન અને સ્થળ છોડવું પડશે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
દિલ્હી તરફના રસ્તા ખુલ્લા હતા, આ કોનું ષડયંત્ર છે
ટિકૈતે ઉમેર્યું કે પોલીસે આપેલા રુટ પર બેરિકેડ હતા, દિલ્હી તરફના રસ્તા ખુલ્લા હતા, આ કોનું ષડયંત્ર છે તેની પણ તપાસ થવી જોઈએ. દિલ્હીમાં ખેડૂતોને કોણે જવા દીધા. તેની સમગ્ર તપાસ થવી જોઈએ. ટિકૈતે એવો પણ આક્ષેપ કર્યો કે કેટલા ટ્રેક્ટર તોડવામાં આવ્યાં તે જણાવાયું નથી. લગભગ 400 ટ્રેકટર-ગાડીઓનો ખુરદો બોલાવી દેવાયો છે. મેં જે કંઈ કહ્યું હતું તેની મને ખબર છે. મેં કહ્યું હતું કે સરકાર અને અધિકારીઓની સાથે મળીને એક પરેડ લાલ કિલ્લાથી અને ત્યાં સુધી અમે કામ કરી લેશું. પરંતુ અધિકારીઓએ કહ્યું કે ત્યાં પરેડ ન થઈ શકે. ત્યારે મેં રિંગ રોડનો વિકલ્પ સૂચવ્યો હતો, તેને પણ મંજૂરી ન મળી.ત્યાર બાદ આ રુટ ફાઈનલ થયો હતો.
ખેડૂત નેતા સામેની ફરિયાદ દેશના ખેડૂતો સામેની ફરિયાદ બરાબર છે.
પોતાની સહિત કેટલાક ખેડૂત નેતાઓ સામે નોંધવામાં આવેલી ફરિયાદ મામલે બોલતા તેમણે કહ્યું કે કોઈ ખેડૂત નેતા સામેની ફરિયાદ દેશના ખેડૂતો સામેની ફરિયાદ બરાબર છે. પૂરતી તપાસ બાદ ફરિયાદ કરવામાં આવી હોત તો વધારે સારુ હોત. ટ્રેક્ટર પરેડમાં કેટલાક ભાંગફોડિયા તત્વો આવી ગયા હતા. ખેડૂતોને તેની સાથે કંઈ લેવાદેવા નથી.અમે આ મુદ્દે તપાસની માગ કરીએ છીએ. બીજી તરફ દિલ્હી પોલીસે શહેરમાં ખેડૂત ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસક ઘટનાના સંદર્ભમાં 200 લોકોની ધરપકડ કરી લીધી છે. દિલ્હી પોલીસે કહ્યું કે જલ્દી બાકીનાની પણ ધરપકડ કરાશે. તેમજ દિલ્હી વેસ્ટર્ન ઝોનમાં 93 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.