કૃષિ કાયદાના વિરોધમાં ગુજરાતના ખેડૂતોનું સમર્થન મેળવવા અને ખેડૂતોને બિલના વિરોધમાં ઉભા કરવા માટે ગુજરાત આવેલા રાકેશ ટિકૈતનું આંદોલન નિષ્ફળ નિવડ્યું છે. જાણો તેનું શું છે કારણ....
રાકેશ ટિકૈતને શો ગુજરાતમાં હિટ નહીં
ગુજરાતમાં ન ચાલ્યું ટિકૈતનું આંદોલન
ગુજરાતમાં કેમ સફળ નહીં ટિકૈત?
દેશમાં ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધમાં પંજાબ, હરિયાણા અને પશ્ચિમ યુપીના ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી આંદોલન કરી રહ્યા છે. પહેલા આંદોલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હતા. જો કે હવે આંદોલન ગણ્યાગાંઠ્યા લોકો જ બચ્યા છે. પરંતુ આંદોલનમાંથી અનેક ખેડૂત ચહેરા ઉભરીને આવ્યા છે તેમાંથી એક છે રાકેશ ટિકૈત. રાકેશ ટિકૈત હાલ દેશભરમાં ફરીને ખાપ પંચાયતો અને ખેડૂતોને એકઠા કરી સરકાર વિરુદ્ધ માહોલ બનાવી રહ્યા છે. હાલ ટિકૈત ગુજરાત પ્રવાસે છે. પરંતુ ગુજરાતમાં અન્ય રાજ્યોની માફક ટિકૈતને કોઈ પ્રતિસાદ ન મળ્યો. ખેડૂત આંદોલનની જાણે ગુજરાતમાં નિષ્ફળ નિવડ્યું. તેમની સૌપ્રથમ ભૂલ શંકરસિંહનો સહાર માનવામાં આવી રહી છે.
ટિકૈત કેમ ગુજરાતમાં સફળ ન થયા?
ગુજરાતમાં 2003થી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થાય છે અને તેનાથી રાજ્યના ખેડૂતો સારુ કમાય છે
કૃષિ કાયદામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગની જોગવાઈ છે જેને રદ કરવાની માગ ટિકૈત કરી રહ્યા છે
ટિકૈતની આ માગ ગુજરાતના ખેડૂતો સાથે મેળ ખાતો ન હોય તેવું બની શકે
પંજાબ અને હરિયાણાના ખેડૂતો મહદઅંશે MSP પર નિર્ભર છે, તેનો ફાયદો લે છે
ગુજરાતના ખેડૂતોનો માત્ર MSP આધાર નથી
ટિકૈતે ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાનો સહારો લીધો જે મિસમેચ જેવું છે
શંકરસિંહનું ગુજરાતમાં હવે કંઈ ઉપજતું નથી, તેમની પાસે માત્ર પૂર્વ મુખ્યમંત્રીનો જ ડેગ છે
જનતા સાથે શંકરસિંહનું સીધું જોડાણ રહ્યું નથી, તેમના એક અવાજે લોકો એકઠા થતા નથી
કેટલાક લોકો શંકરસિંહને ભાજપ બી ટીમ માને છે
આંદોલનની શરૂઆતથી જ ગુજરાતના ખેડૂતો આંદોલનથી દૂર રહ્યા છે
આક્ષેપઃ ગુજરાત સરકારે ખેડૂતોને દબાવી રાખ્યા
આક્ષેપઃ પોલીસે ટિકૈતના કાર્યક્રમમાં જતા રોક્યા
રાકેશ ટિકૈતની માંગ કરતા ગુજરાતમાં ખેડૂતોની સમસ્યા થોડી અલગ
શું છે આની પાછળના કારણો? જાણો વિગતવાર
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા અને દેશમાં હાલ સૌથી મોટા ખેડૂત નેતા તરીકે ઉભરીને આવેલા રાકેશ ટિકૈત વિવિધ રાજ્યોમાં ફરી રહ્યા છે. ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ યુપીમાં તો તેમને જોરદાર પ્રતિસાદ મળ્યો. મોટી સંખ્યામાં ખેડૂતો તેમની સાથે જોડાયા. પરંતુ ગુજરાતમાં તેમનું આંદોલન સાવ નિષ્ફળ નિવડ્યું છે. ટિકૈત ગુજરાત પ્રવાસે હતા. પરંતુ તેમની સભામાં ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી રહી છે. જે રીતે અન્ય રાજ્યોમાં જોરદાર પ્રતિસાદ મળ્યો તેવો પ્રતિસાદ ગુજરાતમાં દેખાતો નથી. દેશમાં છેલ્લા કેટલાક સમયથી ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે. પહેલા તો આ આંદોલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટતા હતા હવે આ આંદોલનમાં ગણ્યાંગાંઠ્યા લોકો બચ્યા છે. ટિકરી બોર્ડર, સિંઘુ બોર્ડર ખાલીખમ જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂત નેતાઓએ બંગાળની વાટ પકડી અને ત્યાં જઈ ભાજપ વિરુદ્ધ પ્રચાર શરૂ કર્યો છે. ખેડૂત નેતાઓને આશા હતી કે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના ગૃહરાજ્ય ગુજરાતમાંથી તેમનો સારો પ્રતિસાદ મળશે પરંતુ આંદોલનના પહેલા દિવસથી જ ગુજરાતી ખેડૂતો આ આંદોલનથી દૂર રહ્યા છે. હા કોંગ્રેસ સમર્થિત કેટલાક ખેડૂત નેતાઓ આંદોલનમાં પહોંચ્યા હતા. પરંતુ તેમની હાજરી સાવ પાંખી હતી.
ટિકૈતનું આંદોલન ત્રણ કાયદાઓ પરત ખેંચવાની સાથે સાથે MSPની ગેરંટી માટે છે. વાત હવે ગુજરાતની કરીએ તો ગુજરાતમાં ઘણા બધા ખેડૂતો છે. પરંતુ ગુજરાતની છાપ પહેલાથી વેપારી પ્રજાની છે. તો ગુજરાતમાં વર્ષ 2003થી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થાય છે. અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી રાજ્યના ખેડૂતો સારુ કમાય છે. કૃષિ કાયદામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગની જોગવાઈ કરવામાં આવી છે. તેને રદ કરવાની માગ ટિકૈત કરી રહ્યા છે. કદાચ ગુજરાતના ખેડૂતોને ટિકૈતની આ વાત સાથે મેળ ખાતો ન હોય તેવું બની શકે. બીજી વાત પંજાબ અને હરિયાણાના ખેડૂતો મહદઅંશે MSP પર નિર્ભર છે. સૌથી વધારે તેનો ફાયદો લે છે. ગુજરાતમાં એવું નથી. ગુજરાતના ખેડૂતોનો માત્ર MSP આધાર નથી.
ગુજરાતમાં આંદોલન નિષ્ફળ નિવડ્યું તેનું એક કારણ શંકરસિંહનો સહારો!
કદાચ ટિકૈતનું આંદોલન ગુજરાતમાં નિષ્ફળ નિવડ્યું તેનું આ પણ એક કારણ હોઈ શકે છે. તો વધુ એક કારણ ટિકૈતે ગુજરાતમાં આવી શંકરસિંહ વાઘેલાનો સહારો લીધો છે. શંકરસિંહ સાથેનું તેમનું આ જોડાણ મિસમેચ જેવું છે. કારણ કે શંકરસિંહનું ગુજરાતમાં હવે કંઈ ઉપજતું નથી. તેમની પાસે માત્ર પૂર્વ મુખ્યમંત્રીનો જ ડેગ છે. જનતા સાથે તેમનું સીધુ કોઈ જોડાણ હવે રહ્યું નથી. તેમના એક અવાજ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જાય તેવું રહ્યું નથી. કેટલાક લોકો શંકરસિંહને ભાજપ બી ટીમ માને છે. આ પણ એક કારણ હોઈ શકે છે. તો આંદોલનની શરૂઆતથી જ ગુજરાતના ખેડૂતો આંદોલનથી દૂર રહ્યા છે. આંદોલનની બિલ્કુલ અસર રાજ્યમાં થઈ નથી. તેનું ઉદાહરણ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળી ગયું. ભાજપે આ ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી. ક્લીન સ્વીપ કરી. આ બધા કારણો જેણે રાકેશ ટિકૈતના આંદોલનને ગુજરાતમાં સફળ થવા દીધું નથી.
આક્ષેપઃ ગુજરાત સરકારે ખેડૂતોને દબાવી રાખ્યા
રાકેશ ટિકૈત સફળ નથી થયા તેની પાછળ અન્ય કારણોમાં એવા પણ આક્ષેપ લાગી રહ્યા છે કે ગુજરાત સરકારે ખેડૂત નેતાઓને દબાવી રાખ્યા છે. પોલીસે ટિકૈતના કાર્યક્રમમાં જતા રોક્યા છે. એવા પણ આરોપ ટિકૈતના સમર્થક નેતાઓએ લગાવ્યા છે કે ગુજરાતના ખેડૂતોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જોકે આમાં સત્ય કેટલું એ મોટો સવાલ છે. પરંતુ એ સત્ય છે કે રાકેશ ટિકૈત ગુજરાતમાં સફળ થઈ શક્યા નથી.
રાકેશ ટિકૈત જે માગણી કરી રહ્યા છે અને ખેડૂતોની જે સમસ્યા ઉઠાવી રહ્યા છે તેના કરતા ગુજરાતમાં ખેડૂતોની સમસ્યા થોડી અલગ છે. ગુજરાતમાં પણ ખેડૂતોની સમસ્યા તો છે પરંતુ તે ટિકૈત કે અન્ય આંદોલનકારી નેતાઓ પકડી શક્યા નથી. આ જ કારણ છે જેણે ટિકૈતને ગુજરાતમાં સફળ થવા દીધા નથી.