છેલ્લા ઘણા દિવસથી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં આંદોલન કરી રહેલા ખેડૂતોનું આંદોલન આજથી ઉગ્ર બની રહ્યું છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.
દિલ્હી અને તેની બોર્ડર પર ખેડૂતો હજારોની સંખ્યામાં ભેગા થઇને આંદોલન કરી રહ્યા છે ત્યારે વિવિધ મીડિયા રિપોર્ટમાં આ ખેડૂતોમાંથી કેટલાકની મોતનો દાવો કરી રહ્યા છે. જે બાદ કોંગ્રેસ આ મુદ્દે આક્રમક વલણ આપવાની રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે કેન્દ્ર સરકારને સીધો સવાલ કર્યો છે. આંદોલનમાં ખેડૂતોની મોત પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે અને સવાલો પૂછ્યા છે. તેમણે એક મીડિયા અહેવાલ શેર કરતા સવાલ કર્યો કે કૃષિ કાયદાને હટાવવા માટે અમારા ખેડૂત ભાઈઓ હજુ કેટલા બલિદાન આપવા પડશે ?
कृषि क़ानूनों को हटाने के लिए हमारे किसान भाइयों को और कितनी आहुति देनी होगी? pic.twitter.com/GSnazbYDoA
નોંધનીય છે કે આ મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે આંદોલન કરી રહેલા ખેડૂતોમાંથી 11 ખેડૂતોએ જીવ ગુમાવ્યો છે. જે બાદ હવે રાહુલ ગાંધીએ આ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. આ પહેલા પંજાબનાં મુખ્યમંત્રીએ પણ નિવેદન આપ્યું હતું કે આંદોલનમાં જે ખેડૂતોનું નિધન થયું છે તેમને વળતર આપવામાં આવશે.
કૃષિ કાયદા પર સરકારને ઘેરી રહ્યા છે રાહુલ ગાંધી
આ પહેલા રાહુલ ગાંધીએ કૃષિ કાયદા મુદ્દે રાહુલ ગાંધીએ અન્ય નેતાઓ સાથે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પણ કરી હતી. રાહુલ ગાંધીનું કહેવું છે કે સરકાર નવા કાયદાઓની મદદથી ખેડૂતોની આવક બિહારના ખેડૂતો જેટલી કરી દેવા માંગે છે જ્યારે આંદોલન કરી રહેલા ખેડૂતો આખા દેશના ખેડૂતોની આવક પંજાબના ખેડૂતો જેટલી થાય તેની માંગ કરી રહ્યા છે.
બીજા ખેડૂતો પણ સિંઘુ બોર્ડર તરફ રવાના
દિલ્હીમાં ખેડૂતો દ્વારા કૃષિ કાયદાઓનો વિરોધ આજથી વધારે ઉગ્ર બનાવવામાં આવી રહ્યો છે. જેમાં આજે ખેડૂતોએ વિવિધ ટોલપ્લાઝાને ફ્રી કરાવવાની કામગીરી શરુ કરી છે. બીજી તરફ હરિયાણામાં પણ ખેડૂતો ટોલપ્લાઝાને ઘેરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે ગુરુગ્રામ અને ફરીદાબાદ પોલીસને અલર્ટ પર રાખવામાં આવી છે.
નોંધનીય છે કે સરકાર સાથે વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ હવે વધારાના ખેડૂતો પણ દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. હરિયાણાનાં કુરુક્ષેત્રથી ટ્રેક્ટરમાં બેસીને ખેડૂતો દિલ્હી તરફ રવાના થઇ ગયા છે અને રસ્તાઓ પર મોટી સંખ્યામાં ટ્રેક્ટર અને ટ્રક દેખાઈ રહ્યા છે અને આ બધા ખેડૂતો હવે સિંઘુ બોર્ડર પહોંચી રહ્યા છે.
યુપી સરકાર અલર્ટ
ઉગ્ર આંદોલનને જોતા યુપી સરકાર પણ અલર્ટ પર છે અને 130 ટોલપ્લાઝા પર મોટી સંખ્યામાં પોલીસ અને PACને ખડકી દેવામાં આવ્યા છે. બીજી હરિયાણામાં પણ પાંચ જેટલા ટોલ પ્લાઝા પર 3500 પોલીસકર્મી તૈનાત કરી દેવાયા છે. રમખાણ વિરોધી ઉપકરણો સાથે સુરક્ષાકર્મીઓની તૈનાતી કરવામાં આવી છે. નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.