ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. જેને લઇ ડિઝાસ્ટર અને ખેતીવાડી વિભાગ દ્વારા પણ ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. આ તરફ પાલનપુર પંથકમાં ગઇકાલે રાત્રે કમોસમી માવઠું આવતા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલું અનાજ પલળી ગયું છે. તો વળી મહેસાણા જિલ્લામાં પણ કમોસમી માવઠાની અસર થઈ છે. મહત્વનું છે કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવેલ કમોસમી વરસાદે પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ તરફ હવે જો પાક નુકસાની થાય છે તો આગામી દિવસોમાં સહાયની માંગ પણ ઊભી થઈ શકે છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પંથકમાં કમોસમી વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. વાત જાણે એમ છે કે, ગઇકાલે રાત્રે આવેલા કમોસમી માવઠાને કારણે બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કૃષિપાકને નુકસાન પહોંચ્યું છે. બનાસકાંઠાના પાલનપુર પંથકમાં ગતરાત્રે કમોસમી વરસાદી ઝાપટાંને કારણે પાલનપુર માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલું અનાજ પલળ્યું છે. જોકે ખેતીવાડી વિભાગની સૂચના છતાં પાલનપુર માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં અનાજ રખાયું હોવાનું સામે આવ્યું છે.
પાલનપુર માર્કેડયાર્ડમાં કોની બેદરકારી ?
બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર દ્વારા અગાઉ જ ખુલ્લામાં અનાજ નહીં રાખવાની સૂચના અપાઈ હતી. જોકે કોઇ કારણસર કે બેદરકારીને કારણે ખેડૂતો અથવા વેપારીઓનો માલ ખુલ્લામાં જ હોઇ કમોસમી વરસાદને કારણે કૃષિપાક પલડી જતાં નુકસાનની સંભાવના છે.
મહેસાણા જિલ્લામાં પણ ભારે નુકસાનની ભીતિ
મહેસાણા જિલ્લામાં પણ ગઈકાલે રાત્રે અને આજે સવારે આવેલા માવઠાને કારણે ભારે નુકસાનની સંભાવના છે. મહત્વનું છે કે, મહેસાણા, વિસનગર અને ઊંઝા પંથકમાં આવેલા કમોસમી વરસાદને કારણે કૃષિપાકમાં નુકશાનની સ્થિતિ સર્જાઇ છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને રાયડાના પાકને ભારે નુકસાન પહોંચી શકે છે.
શું કહ્યું ઊંઝા APMCના ચેરમેને ?
સમગ્ર મામલે VTV ન્યૂઝ દ્વારા ઊંઝા APMCના ચેરમેન દિનેશભાઈ પટેલ સાથે ટેલિફોનીક વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હજી કોઈ કેટલું નુકસાન થયું તે જાણી શકાયું નથી. પરંતુ સંભવિત રીતે આ કમોસમી માવઠાથી રાયડાના પાકને મોટું નુકસાન પહોંચવાની સંભાવના છે. કારણને રાયડાનો તૈયાર પાક જ્યારે વાઢવાની તૈયારી વચ્ચે કમોસમી વરસાદને કારણે પાક ભીંજાઇ જવાને કારણે મોટું નુકસાન થઈ શકે છે.
શું કહ્યું ઊંઝા APMCના અરવિંદ પટેલે ?
સમગ્ર મામલે VTV ન્યૂઝ દ્વારા ઊંઝા APMCના અરવિંદભાઈ પટેલ સાથે પણ વાત કરાઇ હતી. જોકે તેમણે જણાવ્યું હતું કે, આ કમોસમી વરસાદને કારણે સંભવિત રીતે મોટા નુકસાનની આશંકા નથી. જેનું કારણ આપતા તેઓએ જણાવ્યું કે, આ કમોસમી માવઠા બાદ જો 1-2 દિવસ સુધી સૂર્યપ્રકાશ ન નીકળે તો કૃષિપાકને નુકસાન થઈ શકે છે. આ સાથે ઉમેર્યું હતું કે, હજી કેટલોક પાક તૈયાર નથી જો કોઈ પાક તૈયાર હોત અને મહિના બાદ આ કમોસમી વરસાદ આવ્યો હોત તો સંભવિત રીતે મોટું નુકસાન થઈ શકત.
સૌરાષ્ટ્રમાં કૃષિપાકને નુકસાનની ભીતિ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેને લઈ પણ પાક નુકસાનની ભીતિ સર્જાઇ છે. સમગ્ર મામલે રાજકોટ યાર્ડ આગેવાન અતુલ કામાણી સાથે VTV ન્યૂઝ દ્વારા ટેલિફોનિક વાત કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, કમોસમી માવઠાને કારણે ધાણા, જીરું, ઘઉ, ચણા અને મેથીના પાકને નુકસાન થઈ શકે છે. જોકે તેમણે કહ્યું કે, લસણ-ડુંગળીના પાકને કોઈ નુકસાન થશે નહીં.