દિલ્હીની બોર્ડર પર છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનો હવે આંદોલન પાર્ટ 2ની તૈયારી કરી રહ્યા છે.
મોદી સરકારનું ટેન્શન ઓછું નહીં થાય
દિલ્હી બોર્ડર પર મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યા છે ખેડૂતો
આંદોલન પાર્ટ 2ની છે પૂરી તૈયારી
પ્રધાનમંત્રી મોદીએ દેશમાં ત્રણ કૃષિ કાયદાને પરત ખેંચવા માટે એલાન કર્યું અને સરકાર ઝૂકી ગઈ, પણ ખેડૂતો હજુ પાછળ હટવા માટે તૈયાર નથી. એક તરફ જ્યાં પીએમ મોદીએ અપીલ કરી છે કે ખેડૂતો પોતાના ઘરે જતાં રહે ત્યારે દિલ્હીની બોર્ડર પર આંદોલનને આગળ હજુ પણ ચલાવવા માટે નવી જ રણનીતિ પર કામ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોની સંખ્યા ઓછી થવાની જગ્યાએ પાછી વધી રહી છે અને આગામી સમયમાં નવાજૂનીનાં એંધાણ દેખાઈ રહ્યા છે.
આંદોલન પાર્ટ-2
દિલ્હીમાં હવે ખેડૂત આંદોલન પાર્ટ 2ની તૈયારી કરવામાં આવી રહી છે. ફરીવાર ખેડૂતો દિલ્હી કૂચ કરી રહ્યા છે કારણ કે 26 નવેમ્બરે ખેડૂત આંદોલનને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. અત્યારથી જ મોટી સંખ્યામાં ખેડૂત નેતાઓ પોતાના સમર્થકો સાથે પહોંચી રહ્યા છે.
ટિકૈતે ભરી હુંકાર
ભારતીય કિસાન યુનિયનનાં નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે કૃષિ આંદોલન હજુ સમાપ્ત થશે નહીં, હજુ આગળની રણનીતિ પર કામ કરવામાં આવૈ રહ્યું છે. ખેડૂતોની આવક કઈ રીતે બમણી કરવામાં આવશે તે મુદ્દે સરકારને સવાલો કરવામાં આવશે. ખેડૂતોની જીત ત્યારે જ થશે જ્યારે અમારા પાકને સારી કિંમતો મળે.
નોંધનીય છે કે કૃષિ કાયદા બાદ હવે ખેડૂત આંદોલન કરનારાર નેતાઓની માંગ છે કે MSP પર કાયદો બનાવવામાં આવશે.
સંસદમાં શરૂ થઈ રહ્યું છે શિયાળુ સત્ર
ભારતમા કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા રાજકારણ વચ્ચે 29 નવેમ્બરથી સંસદમાં શિયાળુ સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે. આ શિયાળા સત્રમાં કોરોના વાયરસ પ્રોટોકોલ અનુસાર કામ કરવામાં આવશે જેમા વિપક્ષ પણ મોદી સરકારને ઘેરવાની પૂરી તૈયારીમાં છે. મોંઘવારી, આતંકવાદ, લખીમપુર ખીરી હિંસા અને કૃષિ કાયદાના મુદ્દાઓ પર વિપક્ષ સતત મોદી સરકાર પર હુમલા કરી રહ્યું છે ત્યારે સામે પક્ષે મોદી સરકાર કુલમ 26 ખરડા સંસદમાં મૂકવાની તૈયારીમાં છે. 26 બિલ માંથી સૌથી વધારે ચર્ચા અત્યારે કૃષિ કાયદા રદ્દ કરવાનું બિલ અને ક્રિપ્ટોકરન્સીનાં બિલની ચર્ચા થઈ રહી છે. આ સાથે જ દેશના ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવાનું બિલ પણ રજૂ કરવામાં આવશે. ભારતમા આશરે એક વર્ષ આ ત્રણ કૃષિ કાયદા બનાવવામાં આવ્યા હતા જેનો ત્યારથી જ કેટલાક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ હાલમાં જ પોતાના સંબોધનમાં માફી માંગતા કહ્યું હતું કે આ કાયદા રદ્દ કરી દેવામાં આવશે, ગઇકાલે જ કેબિનેટની બેઠકમાં બિલને મંજૂરી આપી દેવામાં આવી છે અને તે બાદ હવે સંસદમાં આ બિલ મૂકવામાં આવે છે.