કેન્દ્ર સરકારના 3 કાયદાને રદ કરવાની માગણીએ આંદોલન ચલાવી રહેલા પંજાબના ખેડૂતોને મહારાષ્ટ્રના ખેડૂતોનો સાથ મળ્યો છે. કૃષિ કાયદા રદ કરવાની માગણીએ શનિવારે મહારાષ્ટ્રના 21 જિલ્લાના લગભગ 25000 હજાર ખેડૂતો નાસિકમાં એકઠા થયા હતા અને રવિવારે નાસિકથી 180 કિમીનું અંતર કાપીને મુંબઈમાં ધામા નાખ્યા હતા. મુંબઈના પ્રખ્યાત આઝાદ મેદાનમાં પ્રચંડ રેલી કરવાનું ખેડૂતોનું આયોજન છે.
કૃષિ કાયદા રદ કરોઃ મહારાષ્ટ્રના ખેડૂતોની એક જ વાત
રવિવારે હજારો ખેડૂતો હાથમાં ઝંડા અને બેનર લઈને મુંબઈ તરફ આગેકૂચ કરી રહેલા એક વીડિયોમાં જોઈ શકાતું હતું. રસ્તામાં ખેડૂતો નારેબાજી કરતા પણ જોવા મળ્યા હતા. તમામ ખેડૂતો ઓલ ઈન્ડીયા કિશાન સભાના બેનર હેઠળ ભેગા થઈને એકીસૂરે કૃષિ કાયદાનો વિરોધ કરવા લાગ્યા હતા. ખેડૂતોએ કૃષિ કાયદાને રદ કરવાની સ્પસ્ટ માગ ઉઠાવી હતી. કિશાન મહાસભાના સંયોજક અશોક ધવલેએ એવું જણાવ્યું કે કૃષિ કાયદાની વિરૃદ્ધમાં બે મહિનાની ચળવળ લંબાવાનો અમારો પ્રયાસ છે. અમે સોમવારે આઝાદ મેદાનમાં શાંતિપૂર્ણ ધરણા કરીશું.
શરદ પવાર, આદિત્ય ઠાકરે રેલીમાં હાજર રહેશે
રાજભવન સુધીની એક રેલી કઆઢવામાં આવશે જેમાં એનસીપી સુપ્રીમો શરદ પવાર, શિવસેના નેતા આદિત્ય ઠાકરે, તથા બાલાસાહેબ થોરાટ જેવા નેતાઓ હાજર રહેવાના છે.
તેમણે કહ્યું કે લેબર યુનિયનના નેતાઓ, કોંગ્રેસ, એનસીપી, શિવસેના, વંચિત બહુજન અઘાડી જેવા રાજકીય પક્ષો ખેડૂત મોરચાને ટેકો આપવાની જાહેરાત કરીને તેમાં ભાગ લેવાની વાત કરી હતી. અમારી ચળવળ શાંતિપૂર્ણ રહેશે. અમારી મુખ્ય માગ આ ત્રણ કાયદા રદ કરવાની છે તથા દેશભરમાં ટેકાના ભાવની કાનૂની ખાતરી આપવામાં આવશે. તેમણએ કહ્યું કે 26 જાન્યુઆરીએ રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રેલીનું સમાપાન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલા શરદ પવારે દિલ્હીના ખેડૂત આંદોલનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કેન્દ્ર સરકારને આકરા પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી.ગત મહિને તેમણે આવી જ બીજી એક ચેતવણી આપીને કેન્દ્ર સરકારને ખેડૂતો માટે ઘટતું કરવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ખેડૂતોના ધૈર્યની પરીક્ષા ન કરવી જોઈએ. દિલ્હીમાં પંજાબના ખેડૂતોની ટ્રેક્ટર રેલીના બે દિવસ પહેલા જ મહારાષ્ટ્રના ખેડૂતોની આ રેલી કેન્દ્ર સરકારની ચિંતા વધારી શકે છે.