કૃષિ કાયદા પર આંદોલનનો આજે 16મો દિવસ છે ત્યારે કૃષિમંત્રી તોમરે ખેડૂત આંદોલનની વચ્ચે શરજીલ ઈમામના પોસ્ટર દેખાવા મુદ્દે નિવેદન આપ્યું છે.
16માં દિવસે પણ કૃષિ કાયદા સામે અડગ ખેડૂતો
આ પોસ્ટર ખેડૂતોનો મુદ્દો કઈ રીતે હોઈ શકે : તોમર
ખેડૂતોએ યુનિયને આ બધાથી દૂર રહેવું જોઈએ : તોમર
ખેડૂતો 16 દિવસથી સતત દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા છે ત્યારે હવે સરકાર અને ખેડૂતો વચ્ચે સંવાદ પણ બંધ થઇ ગઈ છે. સરકાર કહી રહી છે કે અમે તો પ્રસ્તાવ આપી જ દીધો છે અને ખેડૂતો જવાબ આપે કે હવે કાયદામાં શું વાંધો છે જ્યારે ગઈકાલે ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે જો સરકાર બીજો પ્રસ્તાવ આપશે તો તેના પર વિચાર કરીશું.
પોસ્ટર વિવાદ
કૃષિકાયદાઓ પર થઇ રહેલા વિરોધની વચ્ચે ટિકરી બોર્ડર પર રાજદ્રોહના આરોપી શરજીલ ઈમામ, ઉમર ખાલીદ સહીતના કેટલાક આરોપીઓના પોસ્ટર સાથે તેમને છોડવાની માંગ કરતા હોય તેવા ખેડૂતોની તસવીર વાયરલ થઇ રહી છે. આ તસવીર પર કેન્દ્ર સરકારે હુમલો કર્યો છે. કૃષિમંત્રી તોમરે કહ્યું કે શરજીલ ઈમામનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. APMC, MSP ખેડૂતોના મુદ્દા હોઈ શકે છે પણ આ પોસ્ટર ખેડૂતોનો મુદ્દો કઈ રીતે હોઈ શકે ? આ ખતરનાક છે અને યુનિયનોએ આનાથી દૂર રહેવું જોઈએ. આ માત્ર મુદ્દાઓને હટાવવા માટે છે.
નોંધનીય છે કે માનવાધિકાર દિવસ નિમિત્તે ટિકરિ બોર્ડર પર એક પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતો પોતાના હાથમાં ઉમર ખાલીદ, શરજીલ ઈમામ, ગૌતમ નવલખા જેવા લોકોના પોસ્ટર લઈને બેઠા હોય તેવું દેખાયું.
અમારે આનાથી લેવાદેવા નથી : ખેડૂત અગ્રણી
જોકે બીજી તરફ ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે આવા લોકો સાથે અમારા કોઈ સંબંધ નથી. આ માત્ર ખેડૂત આંદોલન છે. અમારો આનાથી કોઈ સંબંધ નથી, સરકારે જોવું જોઈએ કે આવા લોકો કોણ છે.
આંદોલન પાછું લેવા અપીલ
નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે પ્રસ્તાવ આવશે એટલે તરત જ વાતચીત કરવા માટે અમે તૈયાર છે. તોમરે ફરીથી આશા વ્યક્ત કરતા કહ્યું કે હું આશાવાન છું કે સમાધાન નીકળી જશે. હું ખેડૂતોને અપીલ કરું છું કે ખેડૂતોએ આંદોલન પાછું લેવું જોઈએ. જો કાયદામાં કોઈ વાંધો હોય તો સરકાર ચર્ચા કરવા માટે તૈયાર છે. અમારા પ્રસ્તાવમાં અમે સમાધાન આપવા માટે પ્રયાસ કર્યા છે અને તેને જોતા આંદોલન પાછું લેવું જોઈએ તથા ચર્ચા આગળ વધારવી જોઈએ.નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે આંદોલનના કારણે સામાન્ય લોકોને સમસ્યા ઉભી થતી હોય છે. દિલ્હીના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેથી પ્રશ્નોના સમાધાન માટે ચર્ચા કરવી જોઈએ.
કાયદા પાછા લેશે સરકાર ?
કાયદા પાછા લેવાશે કે નહીં તેના પર કૃષિમંત્રીએ કહ્યું કે કોઈ પણ કાયદા ખૂબ લાંબી પ્રક્રિયા બાદ લાવવામાં આવે છે. આપણા ખેડૂતોના જીવનમાં બદલાવ લાવવા તથા તેમની સાથે થઇ રહેલા અન્યાયને રોકવા માટે આ કાયદાઓ આપવામાં આવ્યા છે. નરેન્દ્ર સિંહ તોમરે વધુમાં કહ્યું કે જે લોકો આંદોલન કરી રહ્યા છે તેમના મગજમાં કંઈ ચાલી રહ્યું હશે તેથી સરકાર ચર્ચા બાદ કાયદામાં સુધારા કરવા પણ તૈયાર છે.