આજે દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને કેન્દ્ર સરકારે લેખિતમાં પ્રસ્તાવ આપ્યા છે અને આંદોલન બાદ હવે સરકારે કાયદામાં સંશોધન પર પણ સંકેત આપ્યા છે ત્યારે હવે ખેડૂતો આ પ્રસ્તાવ પર ચર્ચા કરીને આગળની રણનીતિ બનાવશે.
કેન્દ્ર સરકારે ખેડૂતોને મોકલ્યો લેખિત પ્રસ્તાવ
થોડીવારમાં પ્રસ્તાવ મામલે ખેડૂતો કરશે બેઠક
કેબિનેટ બેઠકમાં મંથન બાદ ખેડૂતોને મોકલવામાં આવ્યો પ્રસ્તાવ
કૃષિ કાયદા પર થઇ રહેલા વિરોધ વચ્ચે સરકારની ચિંતામાં વધારો થયો છે અને ખેડૂતોને મનાવવા માટે સરકારે કાર્યવાહી શરુ કરી છે. આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીતનો રસ્તો ખોલવા માટે સરકારે સંકેત આપ્યા છે કે કાયદામાં હવે સંશોધન થઇ શકે છે. સરકાર તરફથી લેખિત પ્રસ્તાવ આપી દેવામાં આવ્યો છે જેમાં કેટલાક સંશોધન કરવાની ભલામણ કરવામાં અવી છે. કેન્દ્ર સરકારે આ પ્રસ્તાવમાં APMC એક્ટ અને MSP પર લેખિતમાં ભરોસો આપ્યો છે.
જોકે ખેડૂતો અત્યારે સરકાર સામે નમવા કે પગ પાછા લેવા તૈયાર હોય તેવું દેખાઈ રહ્યું નથી, ઓલ ઇન્ડિયા કિસાન ફેડરેશનના અધ્યક્ષ પ્રેમ સિંહ બગૂએ કહ્યું સરકારનો કોઈ પ્રસ્તાવ મંજૂર નથી, આગળની રણનીતિ પર ચર્ચા કરીશું. તેમણે કહ્યું કે હાલમાં એક મિટિંગ પુરી થઇ છે અને તે બાદ હરિયાણાના ખેડૂતો સાથે બેઠક છે જે બાદ આગળના પગલાં પર વિચાર કરવામાં આવશે.
પ્રસ્તાવમાં શું હોઈ શકે છે?
APMC એક્ટ મજબૂત કરવો
ટ્રેડર્સ સાથેના વેપારને પદ્ધતિસર લાગુ કરવો
કોઈ મુશ્કેલી જણાય તો સ્થાનિક કોર્ટમાં જવાનો વિકલ્પ
MSP યથાવત રાખી શકાય છે
પરાળ બાળવા વિરુદ્ધ કડક કાયદાઓમાં થોડું સંશોધન
ખેડૂત નેતાઓ પ્રસ્તાવ પર ચર્ચા કરશે
સરકાર તરફથી દરખાસ્ત લેતા પહેલાં ખેડૂત નેતા હનન મોલ્લાએ કહ્યું હતું કે જો સરકાર થોડા સંશોધન આપી રહી છે તો અમારી સ્થિતિ તો સ્પષ્ટ જ છે કે કાયદા પાછા લેશે તો જ અમે તેને સ્વીકારીશું. જો આજના પ્રસ્તાવમાં કંઈ પોઝિટિવ હશે તો સરકાર સાથે આગળની બેઠક થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે સરકારે લેખિતમાં પ્રસ્તાવ આપ્યો છે ત્યારે અમે તેને અમારા સાથીઓ સાથે મળીને ચર્ચા કરીશું.
ગઈ કાલે અમિત શાહ સાથે કરી હતી મીટિંગ
ખેડૂત કાયદાની વિરોધમાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર ઘરણા કરી છેલ્લા 2 અઠવાડિયીથી બેઠા છે. મંગળવારે ભારત બંધનું એલાન આપ્યું છે. જેમાં રાજકીય દળોએ સમર્થન પર આવ્યું હતુ. પરંતુ સાંજ થતા થતાં તસ્વીરો બદલાતી જોવા મળી હતી. ખેડૂત નેતાઓએ ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત કરી હતી. દિલ્હી સ્થિત ICARના ગેસ્ટ હાઉસમાં ગૃહમંત્રી અમિત શાહ અને 13 ખેડૂત નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં આશરે 2 કલાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠકમાં ખેડૂતોએ માંગ પર વાત કરી હતી અને સરકારે એ સ્પષ્ટ કર્યું કે કૃષિ કાયદો પાછો નહીં લેવાય. પરંતુ સરકારે કાયદામાં કેટલાક સંશોધન કરવા માટે તૈયારી દર્શાવી હતી.
આંદોલનના મુદ્દે વિપક્ષ પણ સક્રિય
ખેડૂત આંદોલન વચ્ચે વિપક્ષ પોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર NCP નેતા શરદ પવાર અને અકાલી દળના સુખબીર બાદલની બેઠક બુધવારે દિલ્હીમાં ચાલી રહી છે. અગાઉ અકાલી દળના નેતા પ્રેમ ચંદુમાજરા શરદ પવારને મળવા તેમના ઘરે આવ્યા હતા. ચંદુમાજરાએ કહ્યું છે કે શરદ પવાર પણ ઇચ્છે છે કે હાલની પરિસ્થિતિ પર ચર્ચા થાય. જો સરકાર ખેડૂતોની વાત નહીં માને તો તે મુજબની રણનીતિ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કે આજે સાંજે વિપક્ષ આ મુદ્દે રાષ્ટ્રપતિને મળવાના છે.