દિલ્હીની હાડ થિજવતી ઠંડીમાં દેશના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે હવે મહિલાઓ આ ખેડૂતોની મદદે આવી છે.
ખેડૂતો માટે બની રહ્યા છે 600 કિલો લાડુ
ખાસ ઘી અને ઘઉંના લોટના લાડુ
29મી તારીખે દિલ્હી પહોંચશે આ લાડુ
દિલ્હીમાં કડકડતી ઠંડીમાં આજે 32માં દિવસે પણ પણ ખેડૂતો અડગતાથી આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે આ ઠંડીથી ખેડૂતોને બચાવવા માટે મહિલાઑ ખાસ પ્રકારના લાડુ બનાવી રહી છે.
ઘીના લાડુથી ઠંડી દૂર થશે
કૃષિ કાયદાના વિરોધમાં હજારોની સંખ્યામાં ખેડૂતો સતત કેન્દ્ર સરકારની સામે આંદોલન કરી રહ્યા છે અને દિલ્હીમાં આ સમયે કડકડતી ઠંડી પડી રહી છે. ખેડૂતોને આ ઠંડીમાં મદદ મળી રહે તે માટે પંજાબના ગુરદાસપૂરના બટાલામાં મહિલાઓ દેશી ઘીથી ખાસ પ્રકારના લાડવા બનાવી રહી છે.
બટાલાના ગુરુદ્વારામાં ખાસ ઘઉંના લોટમાંથી ઘીના લાડુ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઠંડીમાં શરીરને ગરમ રાખવામાં ઘીના લાડુ ખૂબ મદદરૂપ બને છે તેથી 600 કિલો લાડુ બનાવવામાં આવી રહ્યા છે. આ લાડુમાં કાજુ, બદામ, પિસ્તા, સૂકી દ્રાક્ષ પણ નાખવામાં આવશે જે ઠંડીથી લોકોને બચાવશે.
સરકારને કરી ખાસ અપીલ
29મી તારીખે આ લાડુ દિલ્હી લાવવામાં આવશે અને દરેક ખેડૂતને આપવામાં આવશે. લાડુ બનાવી રહેલી મહિલાઓ કહી રહી છે કે વૃદ્ધો કહે છે કે મહિનાથી શિયાળામાં ઘઉંના લાડુ શરીરને ગરમ રાખે છે. મહિલાઓએ સાથે જ અપીલ પણ કરી કે ખેડૂતોની ખુશી પાછી આપવા માટે કાયદા રદ કરો અને ખેડૂતોને નવા વર્ષની ગિફ્ટ આપો.
ખેડૂતો આંદોલનને વધુ મજબૂત બનાવશે
છેલ્લા 32 દિવસના ખેડૂતો પોતાની માંગોને લઈને ઘમાસાણ કરી રહ્યા છે ત્યારે સરકાર સાથે વાતચીત માટે તૈયાર થયેલા ખેડૂતો હજુ પણ આંદોલનને તેજ કરવાના મૂડમાંઆ દેખાઈ રહ્યા છે. 29મી તારીખે સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત નક્કી કરવામાં આવી છે. ખેડૂતોએ સરકાર સાથે વાતચીત માટે હા તો પાડી છે પણ સાથે સાથે એક રેખા પણ ખેંચી દીધી છે જેની આગળ ખેડૂતો નહીં જાય અને શરતોના આધારે જ વાતચીત કરવામાં આવશે. ખેડૂતો વાતચીત માટે તો તૈયાર છે પણ સરકાર પર દબાણ બનાવવા માટે કે સપ્તાહ સુધી વિરોધ પ્રદર્શનને લઈને આખો કાર્યક્રમ તૈયાર કરી દેવામાં આવ્યો છે.
જો વાતચીત સફળ ન થાય તો...
સરકાર સાથે વાતચીત જો નિષ્ફળ નીવડે તો ખેડૂતો આંદોલનને નવા ચરણમાં લઈ જશે. ખેડૂત અગ્રણી ડૉ. દર્શનપાલે જણાવ્યું કે દિલ્હીની બોર્ડર પર બેઠેલા ખેડૂતો આજે અને કાલે ગુરુ ગોવિંદ સિંહના દીકરાનો શહીદી દિવસ મનાવશે. 29મી ડીસેમ્બરે ખેડૂતો 11 વાગ્યે સરકાર સાથે વાતચીત કરવા માટે જશે અને તે દિવસ ખેડૂત આંદોલન માટે ખૂબ જ અગત્યનો દિવસ માનવામાં આવી રહ્યો છે.
સરકાર અને ખેડૂત અગ્રણીઓ દ્વારા આપવામાં આવી રહેલી પ્રતિક્રિયાઑ અનુસાર જો આ મંત્રણામાં વાતચીત સકારાત્મક રહે તો ખેડૂતો નરમ વલણ અપનાવી શકે છે. પણ 30મી તારીખે ખેડૂતો દ્વારા સિંઘુ બોર્ડરથી ટીકરી અને શાહજહાંપૂર સુધી ટ્રેક્ટર માર્ચ કરવામાં આવશે. ખેડૂતો કહી રહ્યા છે કે 31 અને પહેલી તારીખે તે લોકોને બોર્ડર પર બોલાવી રહ્યા છે, તેમનું માનવું છે કે લોકો ખેડૂતો સાથે નવા વર્ષની ઉજવણી કરે અને લંગર ખાય.