ભારતમાં ખેડૂતો નવા કૃષિ કાયદાઓ સામે વિરોધ કરી રહ્યા છે ત્યારે આ મુદ્દાને લઈને ભારત અને કેનેડાના સંબંધો બગડતા દેખાઈ રહ્યા છે, ગઈકાલે જ વિદેશમંત્રાલય દ્વારા કેનેડાને છેલ્લી ચેતવણી આપવામાં આવી હતી છતાં કેનેડાએ નિવેદનબાજી ચાલુ રાખતા આજે ભારત તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેનેડાની આગેવાનીમાં થનાર બેઠકથી ભારતનું બોયકોટ
કોરોના મામલે થનાર બેઠકમાં સામેલ નહીં થાય એસ જયશંકર
ગઈકાલે જ ભારતે આપી હતી ચેતવણી
કેનેડા સામે ભારતે શરુ કરી દીધી કાર્યવાહી
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર કેનેડાની આગેવાનીમાં કોરોના મામલે થનારી બેઠકમાં હવે સામેલ થશે નહીં. ભારત તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેડૂતો મુદ્દે કેનેડાનાં વલણને જોતા હવે બેઠકમાં ભારત સામેલ થશે નહી. કેનેડાની આગેવાનીમાં આગામી સાતમી ડિસેમ્બરે બેઠક થવાની હતી જેમાં હવે ભારતનાં વિદેશમંત્રી ભાગ લેશે નહીં.
ભારતીય જનતા પાર્ટી પણ થઇ આક્રમક
ભારતીય જનતા પાર્ટીએ પણ કેનેડાની ટીકા કરી છે, શનિવારે ભાજપે કહ્યું કે કેનેડા WTOમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય અને અન્ય કૃષિ નીતિઓનો વિરોધ કરે છે અને અને ભારતમાં જ્યારે કાયદાઓમાં સુધારા વધારા થાય તો તેના પર સવાલ ઉઠાવે છે. વિદેશના મુદ્દાઓના ભાજપ પ્રભારી નેતાએ કહ્યું કે ભારતના ખેડૂતોને બચાવવા માટે આયાત પર લગાવવામાં આવેલ પ્રતિબંધનો કેનેડા જ વિરોધ કરે છે અને WTOમાં પણ કેનેડાએ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા છે.
ગઈકાલે જ કેનેડાના છેલ્લી ચેતવણી
દિલ્હીમાં ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પર કેનેડાના પીએમ દ્વારા કરવામાં આવેલ નિવેદનબાજી પર ભારતે કડક ચેતવણી આપી છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે કેનેડાના હાઈકમિશ્નરને બોલાવ્યા અને આંતરિક મુદ્દાઓથી દૂર રહેવા માટે ચેતવણી આપી અને કહ્યું કે જો આવું ચાલુ રહેશે તો બંને દેશોના સંબંધો ખૂબ ખરાબ થઇ જશે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે આજે વિદેશ મંત્રાલય તરફથી કેનેડાના હાઈ કમિશ્નરને સમન કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું છે કે કેનેડાના પીએમ અને કેટલાક મંત્રીઓ તથા સાંસદો ભારતીય ખેડૂતો મુદ્દે નિવેદનબાજી કરી રહ્યા છે ત્યારે અમારા આંતરિક મુદ્દાઓ નિવેદનબાજી અસ્વીકાર્ય છે.
ખેડૂત વિરોધ પ્રદર્શન અંગે કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો અને અન્ય નેતાઓની ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરતાં ભારતે કેનેડાના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ખેડૂતોના મુદ્દા પર કેનેડિયન નેતાઓની ટિપ્પણી અમારા આંતરિક બાબતોમાં 'સહન નહીં કરનારો હસ્તક્ષેપ' છે. જો આ ચાલુ રહે તો તે દ્વિપક્ષીય સંબંધોને 'ભારે નુકસાન' પહોંચશે.
કેનેડામાં અનેક લોકો કરી રહ્યા છે નિવેદનબાજી
વિદેશ મંત્રાલયે આગળ કહ્યું કે અમે આશા રાખીએ છે કે કેનેડાની સરકાર ભારતીય અધિકારીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરશે અને ત્યાંના નેતાઓ કટ્ટરપંથી ગતિવિધિઓને પ્રોત્સાહન આપે તેવા નિવેદનોથી દૂર રહેશે.
નોંધનીય છે કે દિલ્હીની આસપાસના વિસ્તારોમાં હજારોની સંખ્યામાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યો છે અને આંદોલન વચ્ચે થોડા દિવસ પહેલા જ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડૉએ નિવેદન આપ્યું હતું કે પરિસ્થિતિ ખૂબ ચિંતાજનક છે અને અમે પરિવાર તથા મિત્રો માટે ખૂબ પરેશાન છે. જે બાદ ભારતે આ નિવેદનને ગેરજરૂરી ગણાવી અને ચેતવણી આપી કે ઘરેલુ મામલાઓમાં હસ્તક્ષેપ કરવામાં આવે નહીં.
આંદોલન પર આજે થઇ રહી છે બેઠક
કૃષિ કાયદાના વિરુદ્ધ ટિકરી બોર્ડર પર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. એક પ્રદર્શનકારીએ કહ્યું કે સરકાર વારંવાર તારીખ આપી રહી છે, ત્યારે સંગઠનોએ એકમતે નિર્ણય લીધો છે કે આજ વાતચીતનો અંતિમ દિવસ છે. ખેડૂત સંયુક્ત મોરચાના પ્રધાન રામપાલ સિંહે કહ્યું કે આજે આર-પારની લડાઇ કરીને આવીશું, રોજ-રોજ બેઠક નહીં થાય. આજે બેઠકમાં કોઇ વાતચીત નહી થાય, કાયદો રદ્દ કરવાની જ વાત થશે