ખેડૂત આંદોલનનો આજે 22મો દિવસ છે અને દિલ્હીના કડકડતી ઠંડીમાં અન્નદાતા રસ્તા પર છે ત્યારે આ આંદોલન પર આજે ફરીથી સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી પણ કોઈ આદેશ આપવામાં આવ્યો નહીં.
ખેડૂત આંદોલન પર સુપ્રીમમાં સુનાવણી ટળી
કોર્ટે સરકાર અને ખેડૂત સંગઠનનો પાઠવી હતી નોટીસ
સર્વોચ્ચ અદાલતે કહ્યું કોર્ટ પ્રદર્શનના વિરોધમાં નથી પણ તેનો અંત જરૂરી છે
ખેડૂત આંદોલન પર બુધવારે સુનાવણી કરવામાં આવી હતી જેમાં કોર્ટે સરકાર અને ખેડૂતો વચ્ચે સમાધાન માટે કમિટી બનાવવા કહ્યું અને કેન્દ્ર, પંજાબ-હરિયાણા સરકાર તથા આઠ ખેડૂત સંગઠનને નોટીસ પાઠવી છે. હવે આગળ શું કરવું છે તેના માટે આજે ફરીથી અદાલતમાં સુનાવણી કરવામાં આવી હતી પણ ખેડૂત સંગઠનો ત્યાં ઉપસ્થિત ન હોવાથી આજે સુનાવણી ટળી છે.
હવે બીજી બેંચ કરશે સુનાવણી
સર્વોચ્ચ અદાલતમાં ખેડૂત આંદોલનની સુનાવણી ટળી ગઈ છે. અદાલતમાં કોઈ પણ ખેડૂત સંગઠન ન હોવાના કારણે કમિટી પર અત્યારે નિર્ણય થઇ શક્યો નથી. કોર્ટનું માનવું છે કે ખેડૂતો સાથે વાત કર્યા વગર કોઈ આદેશ આપી ન શકાય. હવે આગળ તેના પર સુનાવણી બીજી બેંચ કરશે. સુપ્રીમ કોર્ટમાં શિયાળાની રજાઓ છે તેથી વેકેશન બેંચ તેના પર સુનાવણી કરશે.
કાયદા મુદ્દે આજે ચર્ચા નહીં
સર્વોચ્ચ અદાલતમાં સતત બીજા દિવસે સુનાવણી કરવામાં આવી રહી છે ત્યારે ચીફ જસ્ટિસે કહ્યું કે અત્યારે કાયદા પર નહીં થાય કોઈ ચર્ચા, શરૂઆતમાં પ્રદર્શનને લઈને ચર્ચા થશે. કાયદો માન્ય છે કે નહીં તેના પર પછીથી પણ ચર્ચા થઇ શકે છે.
દિલ્હીવાસીઓની તકલીફ મુદ્દે ચર્ચા
કોર્ટમાં હરીશ સાલ્વેએ સૌથી પહેલા પક્ષ રજૂ કર્યો અનેક કહ્યું કે પ્રદર્શનના કારણે દિલ્હીવાસીઓ પ્રભાવિત થયા છે. ટ્રાન્સપોર્ટ પર અસરના કારણે સામાનના ભાવ વધી રહ્યા છે અને જો રસ્તાઓ બંધ રહ્યા તો દિલ્હીવાસીઓને તકલીફ પડશે. તેમણે કહ્યું કે પ્રદર્શનનો અધિકાર છે પણ તેનો મતલબ એ તો નથી કે શહેર બંધ કરી દેવામાં આવે. જે બાદ જસ્ટિસે કહ્યું કે આ મામલે આગળ જોઈશું કારણ કે કોઈ એક મુદ્દાના કારણે બીજાના જીવન પર અસર ન પડવી જોઈએ.
કોર્ટે કહ્યું અમે પ્રદર્શનના વિરોધમાં નથી પણ...
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે ખેડૂતોને પ્રદર્શનનો અધિકાર છે પરંતુ તે કઈ રીતે થાય તેના પર ચર્ચા થઇ શકે છે. અમે પ્રદર્શનના અધિકારમાં કાપ નહીં કરીએ. કોર્ટે એમ પણ કહ્યું કે પ્રદર્શનનો અંત થવો જરૂરી છે, અમે પ્રદર્શનના વિરોધમાં નથી પણ વાતચીત થવી જોઈએ. ચીફ જસ્ટિસે એમ પણ કહ્યું કે અમને નથી લાગતું કે ખેડૂતો તમારી વાત માનશે, કારણ કે અત્યાર સુધીની ચર્ચા નિષ્ફળ રહી છે માટે કમિટીની રચના આવશ્યક છે.
અટોર્ની જનરલે કહ્યું કે 21 દિવસથી રસ્તાઓ બંધ છે જે ખુલવા જોઈએ. ત્યાં લોકો માસ્ક વગર બેઠા છે, એવામાં કોરોનાનો ખતરો વધી જાય છે.
ખેડૂત આંદોલન આજે પણ કરવામાં આવી રહ્યો છે અને આંદોલનના મુદ્દાઓ પર સમાધાન કરવા માટે અદાલતે કમિટી ગઠિત કરવાની ભલામણ કરી હતી જેના પર આજે મોટો નિર્ણય સામે આવી શકે છે. બીજી તરફ દિલ્હીની સીમાઓ હાડ થીજવતી ઠંડીની વચ્ચે ખેડૂતો અડગ છે. ગઈકાલે જ સિંઘુ બોર્ડર પર એક ખેડૂતના આપઘાત બાદથી પરિસ્થિતિ વધુ તંગ જોવા મળી રહી છે. બાબા રામ સિંહના આપઘાત બાદ રાહુલ ગાંધીએ પણ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે.
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે 22મો દિવસ છે. ગુજરાતમાંથી 10 હજાર ખેડૂતો દિલ્લી પહોંચવાની તૈયારીમાં છે. 15 દિવસમાં 10 હજાર ખેડૂતો દિલ્લી પહોંચશે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડૂતો તબક્કાવાર દિલ્હી પહોંચે તેવો નિર્ણય લેવાયો હતો. આ પહેલા દિલ્હી બોર્ડર પર પણ બેઠક મળી હતી.