ખેડૂત આંદોલન પર સૌથી મોટા સમાચાર: આંદોલન સમાપ્તિનું માત્ર ઔપચારિક એલાન બાકી, સિંઘુ બોર્ડર પર તંબુ ઊખડવાની શરૂઆત, રસગુલ્લા વહેંચતા દેખાયા ખેડૂતો
ખેડૂત આંદોલન સમાપ્તિ તરફ
આંદોલનકારીઓ ઉખાડી રહ્યા છે તંબુ
આજે જ થઈ શકે છે સત્તાવાર જાહેરાત
આશરે એક વર્ષથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો સુખદ અંત આવવા જઈ રહ્યો છે. ભારત સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે થયેલ વાતચીત બાદ બસ હવે સત્તાવાર એલાન જ બાકી રહ્યું છે કારણે કે દિલ્હીમાં ખેડૂતો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે અને તંબુ ઉખાડવામાં આવી રહ્યા છે.
ખેડૂતોએ પેકિંગ શરૂ કર્યું
આશરે એક વર્ષથી ત્રણ કૃષિ કાયદા સામે હજારો ખેડૂતો દિલ્હીને ઘેરીને બેઠા હતા અને આંદોલન કરી રહ્યા હતા. જોકે નવેમ્બરે મહિનામાં પીએમ મોદીએ રાષ્ટ્રીય સંબોધનમાં જાહેર કર્યું હતું કે સરકાર ઝૂકી રહી છે, જે બાદ શિયાળુ સત્રમાં બિલ રજૂ કરીને કાયદા રદ્દ કરવામાં આવ્યા. આ સિવાય ખેડૂતોની માંગ અનુસાર MSP પર પણ કમિટીની રચના કરી દેવામાં આવી છે ત્યારે આખરે આ આંદોલનની વિજયી સમાપ્તિ થઈ રહી છે. આંદોલનકારીઓ દ્વારા બેઠક બાદ અંતિમ એલાન કરવામાં આવશે.
સરકાર અને ખેડૂતો વચ્ચે બની સહમતી
દિલ્હીના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર સમાચાર મળી રહ્યા છે કે સરકાર અને ખેડૂતો વચ્ચે સહમતી બની ગઈ છે અને ખેડૂતોએ પેકિંગ કરવાની શરૂઆત કરી દીધી છે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા બસ હવે એલાન કરવાનું બાકી છે.
જોકે ટિકૈત શું બોલશે તેના પર સૌ કોઈની નજર
ખેડૂત નેતા અશોક ધવલેએ કહ્યું હતું કે મોદી સરકાર તરફથી એક લેખિત પત્ર મળી ગયો છે અને આજે આ પત્ર મીટિંગમાં મૂકવામાં આવશે. આ પહેલા બુધવારે પણ સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક થઈ હતી જેમા કેન્દ્રએ પ્રસ્તાવ મૂક્યો હતો અને ખેડૂતોની માંગ માની લેવામાં આવી હતી. જોકે રાકેશ ટિકૈતે કહ્યું હતું કે સરકારે કાચા કાગળમાં પ્રસ્તાવ આપ્યો છે, અમને તો પાક્કા કાગળિયા જોઈએ.