સરકારે જાહેર કરેલા ખેતીના 3 કાયદાના વિરોધમાં ખેડૂતો સતત આંદોલન કરી રહ્યા છે. કોરોનાની બીજી લહેરના લીધે આંદોલનની ધીમુ પડી ગયું હતું. પરંતુ ખેડૂતો ફરીથી આંદોલન શરુ કરશે.
26મી જુનના રોજ પ્રદર્શન કરશે ખેડૂતો.
કાળો ઝંડો ફરકાવી કરવામાં આવશે વિરોધ પ્રદર્શન
ખેતી બચાઓ, લોકતંત્ર બચાઓના નામે 26 જુનને ઉજવવામાં આવશે
શુક્રવારના દિવસે સંયુક્ત ખેડૂત સમિતિની બેઠક થઇ તેમાં ખેડૂત નેતા ઇન્દ્રજીત સિંહે કહ્યું કે, 24 જુનના રોજ સંત કબીર જયંતી મનાવવામાં આવશે. 26મી જુનના રોજ ખેડૂત આંદોલનના 7 મહિના પૂર્ણ થશે તેઓ કોઈ પણ પ્રકારની અનુમતિ લીધા વગર દેશના તમામ રાજભવનો સામે પ્રદર્શન કરશે તે ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને તેમના વિરોધ અંગેનું મેમોરેન્ડમ પણ રજુ કરશે.
ખેતી બચાઓ, લોકતંત્ર બચાઓના નામે 26મી જુનને ઉજવવામાં આવશે
ખેડૂત સમિતિએ નિર્ણય લીધો છે કે તેઓ 26 જુનના રોજ દેશભરના તમામ રાજભવનો સામે કાળો ઝંડો ફરકાવીને વિરોધ પ્રદર્શન કરશે. ખેતી બચાઓ, લોકતંત્ર બચાઓના નામે આ દિવસને ઉજવવામાં આવશે. ખેડૂતોના નેતાઓએ કહ્યું કે, સરકાર ગમે તેટલા કોર્ટ કેસ અમારા વિરોધમાં દાખલ કરે તેની અમારા આંદોલન પર અસર નહીં પડે, અમારું મનોબળ એટલું પ્રબળ છે કે અમે કોઈ પણ પ્રકારના ભય વગર અમારું આંદોલન ચાલુ જ રાખીશું.
અત્યારની સ્થિતિ કટોકટી જેવી
ખેડૂત નેતા ઇન્દ્રજીત સિંહે જણાવ્યું કે, 26 જુન 1975 ભારતના ઇતિહાસમાં બ્લેક ડે તરીકે ઉજવવામાં આવે છે કારણ કે આજ દિવસે સરકારે કટોકટી જાહેર કરી હતી અને આજની પરિસ્થિતિ પણ કટોકટી જેવી જ છે પરંતુ સરકાર તેની ગંભીરતા સમજવામાં અસમર્થ છે. અમારા આંદોલનને 26મી જુનના રોજ 7 મહિના પણ પૂર્ણ થઇ રહ્યા છે.
ખેડૂત નેતાઓ હરયાણાના ગૃહમંત્રીએ આપેલા નિવેદનથી ગુસ્સે ભરાયા
હરયાણાના ગૃહમંત્રી અનીલ વીજે તાજેતરમાં ખેડૂતોને ભડકાવે તેવું નિવેદન આપ્યું છે, ખેડૂત નેતાઓ તેનાથી ગુસ્સે ભરાયા છે અને કહ્યું કે આવા નિવેદનો આપવાથી અમારા આંદોલન વધુને વધુ ઉગ્ર બનશે. સરકાર માત્રને માત્ર ખેડૂતોને ભડકાવવા માંગે છે પરંતુ અમારી એકતાને તોડવી એટલી સરળ નથી. અમારું આંદોલન ચાલુ જ રેહશે.
આંદોલન ચાલુ રાખવામાં આવશે
ખેડૂત નેતાઓએ જણાવ્યું કે, જજપા અને ભાજપના નેતાઓ સામે વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે. પ્રત્યેક ગામડામાં તેના વિરોધમાં અભિયાન ચલાવવામાં આવશે અને નેતાઓને લગ્ન તથા કોઈપણ પ્રસંગમાં આમંત્રિત નહીં કરવામાં આવે. યુપી અને ઉત્તરાખંડમાં આંદોલનને અગ્રેસર કરવાની પણ રણનીતિ તૈયાર છે.