ખેડૂત આંદોલન સમેટાયાં બાદ ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કહ્યું હતું કે સરકાર તરફ ખેડૂતોને કોઈ ફરિયાદ નથી. તેમણે માંગણી સ્વીકારી લીધી માટે તેઓ આંદોલન સમેટી રહ્યા છે.
ખેડૂત આંદોલન સમેટાયું
ગાઝીપુર બોર્ડર 15 થી 16 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે ખાલી
સરકાર માટે મનમાં કોઈ કડવાશ નથી
લગભગ એક વર્ષથી દિલ્હીની સરહદો પર ધામા નાખીને શરૂ રહેલું ખેડૂતોનું આંદોલન આખરે અટકી ગયું છે. ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર માંગણીઓ પુરી કરવાનું વચન પાળશે તો તો વાંધો નહીં પણ જો એમ નહીં થાય તો ફરી આંદોલન શરૂ થશે. વાસ્તવમાં, એમએસપીથી લઈને ખેડૂતો સામેના કેસ પરત લેવા સુધી, સરકારે આંદોલનકારીઓની લગભગ તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે.
ગાઝીપુર બોર્ડર 15 થી 16 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે ખાલી
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે 15 થી 16 ડિસેમ્બર સુધીમાં ગાઝીપુર બોર્ડર સંપૂર્ણપણે ખાલી થઈ જશે. તેમણે કહ્યું હતું કે, અમે એવો પ્રયત્ન કરીશું કે 12 ડિસેમ્બર સુધીમાં ઓછામાં ઓછો એક રસ્તો સંપૂર્ણ રીતે ખુલ્લો થઈ જાય.
સરકાર માટે મનમાં કોઈ કડવાશ નથી
ટિકૈતે વધુમાં કહ્યું કે સરકાર માટે અમારા મનમાં કોઈ કડવાશ નથી, અમારી વચ્ચે સમજૂતી થઈ છે. દર વર્ષે આંદોલન સાથે જોડાયેલા લોકોને એકત્ર કરવા માટે 8-10 દિવસના એક મેળાનું આયોજન કરવામાં આવશે.
અમે ઇચ્છતા હતા કે ખેડૂતો 10મીથી જ તેમના ઘરે જવાનું શરૂ કરે, પરંતુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવત અને અન્ય અધિકારીઓના મૃત્યુના શોક વચ્ચે અમે આનંદ કરવા માંગતા નથી. એટલા માટે અમે 11મીથી વિજયની ઉજવણી કરીને પરત ફરવાનું નક્કી કર્યું છે.
માંગણીઓ સ્વીકારવામાં આવી
ગુરુવારે ખેડૂત નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે 19 નવેમ્બરે પીએમ મોદીએ કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી.
ત્યારબાદ 21 નવેમ્બરે અમે સરકારને 6 માંગણીઓ સાથે પત્ર લખ્યો હતો. 7 ડિસેમ્બરે સરકારની દરખાસ્ત આવી હતી, જેના પર અમે કેટલાક ફેરફારો ઇચ્છતા હતા. ત્યારપછી 8 ડિસેમ્બરે સરકાર તરફથી બીજી દરખાસ્ત આવતાં અમે આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
સરકારે માંગણીઓ સ્વીકારી તો ખેડૂતો પરત ફરવા લાગ્યા
દિલ્હીની સરહદો પર ઉભેલા ખેડૂતોએ પણ 'ઘર વાપસી'ની તૈયારી શરૂ કરી દીધી છે. સિંઘુ-કોંડલી બોર્ડર પર છેલ્લા એક વર્ષથી અટવાયેલા ખેડૂતો હવે પરત ફરી રહ્યા છે. ખેડૂતોએ સરહદ પર બાંધેલા તેમના તંબુઓ ઉખેડી નાખવાનું શરૂ કરી દીધું છે અને ટ્રક અને ટ્રેક્ટરમાં તાડપત્રી, પથારીઓ બધુ પરત મૂકવાનું શરૂ કરી દીધું છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લીધી છે તેથી હવે તેઓ પરત ફરી રહ્યા છે.