પવનચક્કીના પ્રોજેક્ટથી હેરાન પરેશાન ખેડૂતોએ અલગ રીતે નોંધાવ્યો વિરોધ, દ્વારકાના ખેડૂતોએ શિવલિંગની પૂજા-અર્ચના કરી હતી.તથા ભગવાનને પ્રાર્થના કરી કે સરકાર અને કંપનીને સદબુદ્ધિ આપે
દ્વારકાના ખેડૂતોનો અનોખો વિરોધ
મામલતદાર કચેરીએ શિવલિંગની પૂજા કરી
કે.પી.એનર્જી,મિયાણી પાવર ઈન્ફા કંપની સામે રોષ
દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ખેડૂતો દ્વારા અનોખુ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. ખેડૂતોએ મામલતદાર કચેરીએ જઈને શિવલિંગની પૂજા-અર્ચના કરી હતી.તથા ભગવાનને પ્રાર્થના કરી કે સરકાર અને કંપનીને સદબુદ્ધિ આપે.ખેડૂતોએ આક્ષેપ કરતા જણાવ્યુ કે કે.પી.એનર્જી અને મિયાણી પાવર ઈન્ફા કંપની દ્વારા કલ્યાણપુર તાલુકાના વિવિધ ગામોમાં 200થી વધુ પવનચક્કી ઉભી કરવામાં આવી છે.તદઉપરાંત કંપનીઓએ ગામોના તળાવ પણ પૂરી દીધા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.આ અંગે મોટી સંખ્યામાં ખેડૂતોએ મામલતદાર કચેરીએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
સમગ્ર મામલે પ્રેસ જાહેર કરીને આક્ષેપ લગાવ્યા કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના અલગ અલગ 28 ગામોમાં પવનચક્કીઓ ઉભી કરી ઉર્જા ઉત્પાદન કરતી કે.પી.એનર્જી અને મિયાણી પાવર ઈન્ફ્રા. એલ.એલ.પી. કંપની દ્વારા તમામ નીતિ, નિયોમો, કાયદાઓ, ઠરાવો, પરિપત્રોનો છેદ ઉડાડી, તંત્રને બાનમાં લઈ ખુલ્લા શાંઢની માફક કામગીરી કરવામાં આવી રહી છે. તંત્ર સમક્ષ અનેક લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં જાણે તંત્ર કુંભકર્ણ નિંદ્રાધીન હોય તેમ કોઈ કાર્યવાહી થતી નથી. તંત્ર દ્વારા આંખ આડા કાન કરી કંપનીને પ્રત્યક્ષ રીતે મદદ કરવામાં આવી રહી હોય તેવો ઘાટ રચાયો છે. જેને લઈ કલ્યાણપુર મામલતદાર કચેરી અંદર જ 28 ગામના 400-500 ગ્રામજનો એકત્રિત થઈ શિવલિંગની પૂજા અર્ચના કરી તંત્રને સદબુદ્ધિ મળે તે માટે પ્રાર્થના કરી નવતર વિરોધ નોંધાવ્યો હતો.
અગાઉ ખાખરડા ગામના તળાવને બુરી નાખવા, ગૌચરના પાણીના હોજને બુરી નાખવા, બે તળાવોની પાર તોડી નાખવા, ખનીજ ચોરી, બોક્સાઇટવાળા વિસ્તરમાં કંપનીને 3 હેકટર જમીન આપવા બાબતે મામલતદાર, ટીડીઓ, ખાણ ખનીજ અધિકારી, કલેક્ટરને અનેક લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે ગુજરાત કિસાન કોંગ્રેસની આગેવાનીમાં 28 ગામના ગ્રામજનોએ એકત્રીત થઈ શિવપૂજા અર્ચના આરાધના પ્રાર્થના કરી તંત્રને સદબુદ્ધિ મળે તેવો પ્રતિકાત્મક કાર્યક્રમ યોજી માંગ કરવામાં આવી હતી કે, ખાખરડા ગામના તળાવને બુરી નાખવામાં આવ્યું છે. તે ફરીથી જીવંત કરવામાં આવે, બે તળાવની પાર તોડી નાખવામાં આવી છે. તેને ફરીથી પૂર્વવત કરવામાં આવે, જે હોજ બુરી નાખ્યો છે. તેને ફરીથી માટી કાઢી પૂર્વવત કરવામાં આવે, લાખો કરોડોની ખનીજ ચોરી કંપનીએ કરી છે તેની વિરુદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે, જે ખનીજ વિસ્તરમાં 3 હેકટર જમીન ફાળવવામાં આવી છે તે પરત લેવામાં આવે, ગૌચરમાં જે જમીન ફાળવવામાં આવી છે તે પરત લેવામાં આવે તેવી માંગ કિસાન કોંગ્રેસની આગેવાનીમાં કરવામાં આવી હતી.
ગુજરાત કિસાન કોંગ્રેસની આગેવાનીમાં ગ્રામજનોએ માંગ કરી હતી કે કંપની દ્વારા અમારા ગામોમાં પવનચકીઓ ઉભી કરી અબજો કરોડોની કમાણી કરવામાં આવશે તો કંપની દ્વારા લોકલ લેવલે રોજગારી આપવામાં આવે, કંપની દ્વારા CSR ફંડમાંથી ગામમાં જ વિકાસના કામો કરવા માટે અગાઉથી જ દર વર્ષે આપવાની રકમ નકકી કરવામાં આવે જેથી કરીને ગામનો વિકાસ થઈ શકે