ગીરસોમનાથ જિલ્લામાં આવેલા 4 મહાકાય ઉદ્યોગો માટે સરકારના આગામી રેલવે પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. જેનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે. આ પ્રોજેક્ટને કારણે અંદાજે 2500 ખેડૂતોની 1200 વિઘા જમીન આ લાઇન માટેના જમીન સંપાદનમાં ખાલસા થવાની છે.
સોમનાથ-કોડીનાર ખાસ કોમર્શિયલ રેલ પ્રોજેક્ટ વિવાદનો મામલો
ગીર સોમનાથમાં વેરાવળ-કોડીનાર નવી રેલવે લાઈન પ્રોજેક્ટ વિવાદ મામલે વેરાવળ ખાતે ડે. કલેક્ટરની અધ્યક્ષતામાં રેલવે અધિકારીઓ એને ખેડૂત આગેવાનોની બેઠક યોજાઇ હતી. જેમાં રેલવે વિભાગ દ્વારા રેલવે લાઈન માટે સર્વે કરવા દેવા માંગ કરાઈ હતી. તો બીજી તરફ બેઠકમાં ખેડૂતો દ્વારા રેલવે વિભાગના સર્વેનો તદ્દન વિરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ દ્વારા રેલવેના અધિકારીઓ અને ખેડૂતોને સાંભળ્યા હતા અને સુખદ ઉકેલ માટે ખાત્રી આપી હતી.
વેરાવળથી કોડીનાર સુધી નવી રેલવે લાઈન માટે પ્રોજેક્ટ નક્કી કરાયોઃ ખેડૂત આગેવાન
નવી કોમર્શિયલ રેલવે લાઈનનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ખેડૂત આગેવાન રમેશ બારડના જણાવ્યા પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના ચાર ઉધોગો માટે જ સરકારનો ખાસ પ્રોજેક્ટ છે. વેરાવળથી કોડીનાર સુધી નવી રેલવે લાઈન માટે પ્રોજેક્ટ નક્કી કરવામાં આવ્યો છે.
450 ખેડૂતો ખાતેદાર મટી જશે, અનેક ખેડૂતો જમીન વિહોણા થશે
નવી રેલવે લાઈનમાં વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર ત્રણ તાલુકાના 19 ગામોના 1200 ખેડૂતોની 2500 વીઘા જેટલી જમીન સંપાદિત થશે. જેમાં 450 ખેડૂતો તો ખેડૂત ખાતેદાર જ મટી જશે, અનેક ખેડૂતો જમીન વિહોણા પણ બનશે. ખેડૂતો દ્વારા નવી રેલવે લાઈનના બદલે હયાત મીટર ગેજ લાઈનને રૂપાંતરિત કરવા માંગ કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં ખેડૂતો કોઈ પણ ભોગે રેલવે લાઈન ન નાખવા દેવા મક્કમ જણાઈ રહ્યા છે. ખેડૂતો જાન દેગે પર જમીન નહીં દેગેના સૂત્ર સાથે મક્કમતાથી વિરોધ કરી રહ્યા છે.