રેલ નેટવર્ક એ વિકાસને વેગ આપતી ધોરી નસ છે. પરંતુ ક્યારેક પ્રથમ નજરે વિકાસના માર્ગ ખોલી આપનારા આવા પ્રોજેક્ટોમાં મોટા નુકસાનના બીજ રોપાઈ જતા હોય છે. જો કે આ વાત સમજાય ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે. જો કે ક્યારેક ગામડાના ખેડૂતોને તેનો વહેલો અણસાર આવી જતો હોય છે. એટલે જ તો ગીર સોમનાથના વેરાવળથી કોડીનાર રેલવે પ્રોજેક્ટ સામે ખેડૂતોમાં વિરોધના સૂર જોવા મળી રહ્યા છે.
આ રેલવે પ્રોજેક્ટ સામે ખેડૂતોનો કેમ છે વિરોધ?
વેરાવળથી કોડીનાર સુધી નવી બ્રોડ ગેજ રેલવે લાઈન બિછાવવા સરકારની તૈયારી
ગ્રામજનોની મીટિંગ ચાલી રહી છે. પ્રથમ નજરે એવું લાગે કે ખેડૂતોને કોઈ વ્યક્તિ સરકારી યોજનાની માહિતી આપી રહ્યા છે. પરંતુ વાત જુદી છે. સાવ સાદી લાગતી ખેડૂતોની આ મીટિંગમાં સરકાર વિરોધી એક મોટું આંદોલન ઉછરી રહ્યું છે. વાત છે ગીરસોમનાથના વેરાવળ અને કોડીનાર વચ્ચે શરૂ થયેલા રેલવે પ્રોજેક્ટની અને તેને સમાંતર તેના વિરોધની ઘડાતી વ્યૂહરચનાની. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી કોડીનાર સુધી નવી બ્રોડ ગેજ રેલવે લાઈન બિછાવવા સરકાર તૈયારી કરી રહી છે. જેને લઈને અનેક ખેડૂતોની 430 હેક્ટર જમીન સંપાદન થવાની છે. તો બીજી તરફ રેલવે લાઈન નખાયા બાદ હજારો ખેડૂતોને પાણી અને વીજળીની મુશ્કેલી ઉભી થવાનો ભય સતાવી રહ્યો છે.
આ રેલવે પ્રોજેક્ટને કઈ રીતે જોઈ રહ્યા છે ખેડૂતો?
લોકસભા ચૂંટણી પહેલા સરકારની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. ગીર-સોમનાથમાં નિર્માણ પામવા જઈ રહેલી સોમનાથ-અંબુજા રેલ્વે લાઇન સામે ગામડે ગામડે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. વેરાવળ સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના ગામોમાં આ સૂચિત રેલવે લાઇનના વિરોધમાં મીટિંગોનો દૌર શરૂ થયો છે. ત્રણેય તાલુકામાં ખેડૂતોએ ગામડે ગામડે મીટિંગો યોજી રહ્યા છે. ગુજરાત ખેડૂત એકતા મંચના સાગર રબારીના નેતૃત્વમાં ગીરના ગામોમાં બેઠકોનો દોર શરૂ થયો છે. 12 જેટલા ગામોના ખેડૂતો સાથે બેઠક યોજી રેલવે પ્રોજેક્ટ રદ કરવા રણનીતિ ઘડાઈ રહી છે.
ખેડૂતોએ કોઈ પણ ભોગે રેલવે લાઈન ન નાખવા દેવા મન બનાવી લીધું
આ રેલવે લાઈન અંબુજા GHCL શાપરજી-પાલનજી જેવી કંપનીના લાભ માટે બનાવાઈ રહી હોવાના આક્ષેપ સાથે ગામડે ગામડે ખેડૂતો મીટિંગો યોજીને વિરોધ પ્રદર્શનની રૂપરેખા ઘડી રહ્યા છે. ખાનગી કંપનીઓ માટે બનનાર રેલવે લાઈનમાં 40 ગામની ફળદ્રુપ જમીન સંપાદિત થવા જઈ રહી છે. જેના કારણે રેલવેને કારણે 50 હજારથી વધારે લોકો અસરગ્રસ્ત બનશે તવો ડર અહીંના ખડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
ગીરના લીલી નાઘેર ફળદ્રુપ વિસ્તારમાં આ રેલવે લાઈન નાખવામાં આવતી હોવાથી તેમાં 400 ખેડૂતોની સંપૂર્ણ જમીન સંપાદિત થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. તેવામાં જમીન સંપાદનને લઇને 40 ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેરાવળ અને વેરાવળના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ કોઈ પણ ભોગે રેલવે લાઈન ન નાખવા દેવા મન બનાવી લીધું છે. એટલું જ નહીં જરૂર પડે તો આ પ્રોજેક્ટના વિરોધમાં હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના દરવાજા ખટખટાવવા તૈયારી દર્શાવી છે.
વેરાવળ અને વેરાવળના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ કોઈપણ ભોગે રેલવે લાઈન ન નાખવા દેવા મન બનાવી લીધું છે. એટલું જ નહીં. જરૂર પડે તો આ પ્રોજેક્ટના વિરોધમાં હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના દરવાજા ખટખટાવવા તૈયારી દર્શાવી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોના આ રોષ ખાળવા સરકાર કેવા પગલાં લેશે.