કૃષિ બિલને લઇને વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો આજે 10મો દિવસ છે. નોંધનીય છે કે, આજે ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે ફરી એકવાર બેઠક યોજાઇ રહી છે ત્યારે સૂત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે, કાયદામાં સંશોધનનો સરકાર નિર્ણય લઈ શકે છે.
કૃષિ બિલને લઇને વિરોધ પ્રદર્શનનો આજે 10મો દિવસ
ખેડૂતો અને સરકાર વચ્ચે યોજાઇ બેઠક
કાયદામાં સંશોધનનો સરકાર નિર્ણય લઈ શકે છે : સૂત્ર
ઉલ્લેખનીય છે કે, ખેડૂતો આંદોલનને લઈને મોદી સરકાર દ્વારા ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે. MSPને અને APMCને લઈને સરકાર ટૂંક સમયમાં નિર્ણય કરી છે. MSP પર ખેડૂતોને લેખિતમાં આશ્વાસન પણ આપે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો વીજ ચોરીને લઈને સજાની જોગવાઈમાં પણ ફેરફાર થાય તેવી જાણકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ છે.
ખેડૂત સંગઠને કહ્યું આજે આર-પારની લડાઇ, માત્ર કૃષિ કાયદો રદ્દ કરવાની થશે વાત
કૃષિ કાયદાના વિરુદ્ધ ટિકરી બોર્ડર પર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. એક પ્રદર્શનકારીએ કહ્યું કે સરકાર વારંવાર તારીખ આપી રહી છે, ત્યારે સંગઠનોએ એકમતે નિર્ણય લીધો છે કે આજ વાતચીતનો અંતિમ દિવસ છે. ખેડૂત સંયુક્ત મોરચાના પ્રધાન રામપાલ સિંહે કહ્યું કે આજે આર-પારની લડાઇ કરીને આવીશું, રોજ-રોજ બેઠક નહીં થાય. આજે બેઠકમાં કોઇ વાતચીત નહી થાય, કાયદો રદ્દ કરવાની જ વાત થશે.
કૃષિ કાયદાના વિરોધ વચ્ચે PM મોદી અને અમિત શાહ વચ્ચે યોજાઇ બેઠક
કેન્દ્રના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો દિલ્હી બોર્ડર પર 10 દિવસથી પ્રદર્શન કરી રહ્યાં છે. ત્યારે સરકાર અને ખેડૂતોની બેઠક અગાઉ પીએમ મોદી અને અમિત શાહ વચ્ચે બેઠક યોજાઇ હતી
દિલ્હીની નોઇડા બોર્ડર પર ખેડૂતોનો વિરોધ યથાવત
કૃષિ કાયદાના વિરોધને લઇને દિલ્હીની નોઇડા બોર્ડર ખેડૂતોનો વિરોધ યથાવત જોવા મળ્યો છે. જો કે બીજી તરફ ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ ખેડૂતોના વિરોધ વચ્ચે સરકાર સાથે આજે ફરી બેઠક યોજાશે.
ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ પર પ્રતિબંધ
કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોને દિલ્હીની બોર્ડર પર રોકવા આદેશ આપવામાં આવ્યો છે. બદરપુર સહિત તમામ બોર્ડર પર સુરક્ષાબળ તૈનાત કરવામાં આવ્યું છે. દિલ્હીની તમામ બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. ખેડૂતોને પ્રવેશતા રોકવા કાંટાળા વાયરના બેરિકેટ્સ લગાવામાં આવ્યાં છે.
જો કે બીજી તરફ ખેડૂત સંગઠનો દ્વારા ચિમકી આપવામાં આવી હતી કે જો આજે યોજાનારી બેઠકમાં યોગ્ય નિરાકરણ ન આવે તો આંદોલન ઉગ્ર બનવાની શક્યતા છે.
આજે યોજાનારી વાતચીત પહેલા જ કેન્દ્ર સરકાર પર દબાણ નાંખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. શુક્રવારના રોજ સિંઘુ બોર્ડર પર થયેલ મહાપંચાયત બાદ ખેડૂત સંગઠનોએ આઠ ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન કર્યું. આ સાથે જ ચેતવણી આપવામાં આવી કે કૃષિ કાયદો પરત નહીં ખેંચવામાં આવે તો ખેડૂતોના હકમાં ભારત બંધ રહેશે. આ સાથે જ દેશભરમાં બધા ટોલ ફ્રી કરી દેવામાં આવે.