દિલ્હી અને આસપાસના વિસ્તારમાં હજારોની સંખ્યામાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે જ્યારે સરકાર પણ બેકફૂટ પર છે અને હજુ પણ કાયદાના ફાયદા ગણાવવામાં આવી રહ્યા છે.
કેન્દ્ર સરકારના નવા કાયદાઓ સામે આંદોલન કરી રહ્યા છે ખેડૂતો
સરકારના પ્રસ્તાવનો ખેડૂતોએ કર્યો અસ્વીકાર
ઘણા ખેડૂતોના ઘરમાં વિકટ પરિસ્થિતિ છતાં હક માટે મક્કમતાથી કરી રહ્યા છે આંદોલન
દિલ્હી ચલોના નારા સાથે હલ્લાબોલ
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ સામે દેશના અલગ અલગ રાજ્યોના ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને દિલ્હીની બોર્ડર પર હલ્લાબોલ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર કહી રહી છે કે ખેડૂતો મેદાનમાં આવીને પ્રદર્શન કરે તો સરકાર વાતચીત કરવા માટે તૈયાર છે. જ્યારે ખેડૂતોને આવી શરતો મંજૂર નથી. બે દિવસથી ખેડૂતો દિલ્હીની સરહદો પર બેઠા છે અને સરકારને નવા કાયદાઓ પાછા લેવા માંગ કરી રહ્યા છે.
કપરી પરિસ્થિતિમાં આંદોલન
નોંધનીય છે કે આ ખેડૂતો પર ઘણા બધા ભાજપ નેતાઓ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે આખું આંદોલન કાવતરૂ છે અને ખેડૂતો તેનો ભાગ છે. જ્યારે રસ્તા પર બેઠેલા ખેડૂતો માટે ઘણા બધાની કહાણી જુદી જ છે. ખેડૂતો કહી રહ્યા છે તે પોતાના હક માટે બધું છોડીને આવી ગયા છે. કોઈ ખેડૂતના ઘરમાં લગ્ન છે તો કોઈના ઘરમાં મરણ થયું છે. આ બધી પરિસ્થિતિઓ છતાં બધી જવાબદારી સોંપીને ખેડૂતો રસ્તા પર બેઠેલા છે. ખેડૂતે કહ્યું કે તે વીડિયો કોલથી જ બાળકોને આશીર્વાદ આપી દેશે.
મારો પહેલો ધર્મ અહીં
અમરોહાના ખેડૂતે કહ્યું કે આવતા સપ્તાહમાં દીકરીના લગ્ન છે તે પત્ની અને દીકરાને બધી જવાબદારી આપી ને આવ્યા છે. તેમણે કહ્યું કે હું આજે કંઈ પણ છું ખેતીના કારણે છું અને તેથી મારો પહેલો ધર્મ અહિયાં બને છે. લગ્નની બધી તૈયારીઓ કરાવી દીધી છે અને હું બંને તરફથી જવાબદારીનું વહન કરી રહ્યો છું. હું વીડિયો કોલથી લગ્ન જોઈ લઈશ.
દીકરાના લગ્ન
અન્ય એક ખેડૂતે કહ્યું કે આ આંદોલન ખેડૂત ભાઈઓ માટે જરૂરી છે અને મારા દીકરાના લગ્ન છે. અહિયા ભાઈઓને મારી વધારે જરૂર છે તેથી ખેડૂત થઇને અહિયાં નહીં તો બીજાને કઈ રીતે હિંમત મળશે.
ભત્રીજાની મોત
બિજનૌરના એક ખેડૂત સમરપાલે કહ્યું કે ઘરેથી સંદેશ મળ્યો કે ભત્રીજાની મોત થઇ ગઈ છે અને હું અડધા રસ્તે આવી ગયો હતો. ખેડૂત ભાઈઓ તરફ જોયું તો વિચાર્યું કે ભત્રીજાની પણ આ જ ઈચ્છા હતી કે ન્યાય મળે તેથી હું પાછો ન ગયો. બોર્ડર પહોંચ્યો અને આંદોલનમાં જોડાઈ ગયો.