ઉત્તર ગુજરાતમાં તીડનું આક્રમણ યથાવત્ છે. દિવસેને દિવસે તીડ ખેતરોમાં ઉભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. તીડની સામે ખેડૂતો લાચાર બન્યાં છે. ત્યારે ખેડૂતોએ તીડને ભગાડવા કર્યો છે અવનવા પ્રયોગો કરી રહ્યાં છે. જેનો જોઈને લોકો કહી રહ્યાં છે વાહ બુદ્ધિજીવી ખેડૂતો શું તરકીબ લગાવી છે.
સતત 20માં દિવસે પણ ગુજરાતમાં તીડનું આક્રમણ
ખેડૂતો થાળી-વલણ વગાડી તીડથી પાકનો બચવા કરી રહ્યા છે
એરંડા, તલ, રાઇ, બટાકાના પાકને તીડથી ભારે નુકશાન
તીડને ભગાડવા ખેડૂતોએ ડીજે વગાડ્યું
બનાસકાંઠાના ડીસા અને વડગામમાં તીડનું આક્રમણ યથાવત છે. અહીં સતત 20મા દિવસે પણ કરોડોની સંખ્યામાં તીડના ટોળાએ ધામા નાખ્યા છે. વડગામના બાદલગઢ, મેંગલા, ઝેરડામાં ઉભા પાકને તીડે નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે ખેડૂતો થાળી, વેલણ વગાડીને તીડને ભગાડવાના પ્રયાસ કરી રહ્યા છે. તીડે એરંડા, તલ, રાઈ, બટાકાના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. હવે તીડ મહેસાણા તરફ પણ આગેકૂચ કરી રહ્યા છે. તો ખેડૂતો પણ તીડને ભગાડવા માટે અવનવા નુસખા અપનાવી રહ્યા છે. ક્યાંક ડીજે વગાડવામાં આવી રહ્યું છે. ક્યાંક ઢોલ નગારા તો ક્યાંક થાળી વગાડવામાં આવી રહી છે.
ખેડૂતોને કરોડોનું નુકશાન
બીજી તરફ બનાસકાંઠાના દાંતીવાડા, જાટભાડલી, કોટડા ગામ, જેગોલ અને રામપુરા ગામની સીમમાં તીડનું આક્રમણ વધી રહ્યું છે. ત્યારે ખેડૂતો તીડને ઉડાવવા માટે અવનવા નુસખાઓ અપનાવી રહ્યાં છે. ખેડૂતો વહેલી સવારથી જ ખેતરોમાં થાળીઓનો અવાજ કરી રહ્યાં છે. તીડના કારણે રાયડાં, એરંડા, બટાટા, ઘઉના પાકને મોટું નુકસાન થયું છે. આ આક્રમણને કારણે ખેડૂતોને કરોડોનું નુકશાન થયું છે. ખેડૂતો તેમના બાકીનાં તમામ કામ છોડી દિવસ રાત તીડ ભગાડવા માટે પ્રયાસો કરી રહ્યાં છે.