ખેડૂતોને વરસાદની ખેંચ આંખમાં કણાની જેમ ખૂંચી રહી છે, તો બીજી તરફ 30 વર્ષથી કેનાલ છે પણ પાણી નથી આવતું, તાત્કાલિક ધોરણે કેનાલ શરૂ કરવાની માગ
ભાવનગર જિલ્લામાં વરસાદની અછત
સિંચાઈની પાણીની સમસ્યા યથાવત
કેનાલ શોભાના ગાંઠિયા સમાન !
ભાવનગર જિલ્લામાં શ્રાવણ માસ શરૂ થવા છતાં પણ હજુ કેટલાક તાલુકામાં માત્ર 30 ટકા થી લઇ ને 50 ટકા જ વરસાદ નોંધાયો છે ત્યારે ખેડૂતો ને ચિંતા છે કે હવે જો શ્રાવણ માસમાં જરૂરિયાત મુજબનો વરસાદ નહીં આવે અને લાંબો સમય સુધી ઉઘાડ રહેશે તો મહામૂળો પાક સુકાઈ જવાની ભીતિ સતત ખેડૂતોને ખૂંચી રહી છે. જો કે બીજી તરફ ઘોઘા તાલુકામાં કેનાલ આવતી ન હોવાથી આ વિસ્તારના ખેડૂતો એ ફરી માંગ કરી છે કે આ વિસ્તારમાં કેનાલ મરામત કરવામાં આવે અને તો જરૂર પડે કેનાલમાં પાણી સિંચાઇ માટે લઈ શકાય.
ભાવનગરના કયા કયા તાલુકામાં વરસાદની ખેંચ
ભાવનગર જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં હાલ વરસાદ ઓછો વરસ્યો છે અને જો હવે વરસાદ ના પડે તો સિહોર ,ઘોઘા ,જેસર ,ઉમરાળા જેવા વિસ્તારમાં તો સિંચાઈ ના પાણી ની સમસ્યા ઉભી થઈ શકે તેમ છે . એક માત્ર મહુવા એવો તાલુકો છે કે જ્યાં 70 ટકા, વરઘોઘામાં આજના દિવસે માત્ર 31 ટકા વરસાદ નોંધાયો છે જેસરમાં 35 ટકા અને પાલીતાણા તેમજ ઉમરાળામાં 40 ટકા વરસાદ પડ્યો છે. બાકીના તાલુકામાં તો 30 થી 50 ટકા જ વરસાદ થયો છે ભાવનગરના જિલ્લાના મોટાભાગના જળાશયો પણ 30 થી લઇ ને 75 ટકા સુધી જ ભરાયા છે ઘોઘાના ખેડૂતો નું માનવું છે કે આ વિસ્તાર માત્ર વરસાદ આધારિત છે અહીં કેનાલનું અસ્તિત્વ 30 વર્ષથી છે પણ માત્ર દેખાડા પૂરતું સીમિત છે. સિંચાઇનું પાણી તેમાંથી હજુ સુધી લઈ શકાયું નથી.
કેનાલનું સમારકામ માટે સરકારની મંજૂરીની રાહ
ભાવનગર જિલ્લમાં ઘોઘા તાલુકામાં કેટલાક ગામોમાં શેત્રુંજીની કેનાલ આવે છે પરંતુ આ ગામો છેવાડા ના હોવાથી તેનું પાણી ખેતર સુધી પહોંચતું નથી અને ખેડૂતો ભારે પરેશાની ભોગવી રહ્યાં છે બીજીબાજુ અવાનિયા વિસ્તારમાં કેનાલ પસાર થાય છે પણ ત્યાં છેલ્લા 30 વર્ષથી પાણી આવ્યું જ નથી, આ અંગે અધિકારીનું કહેવું છે કે આ કેનાલની મરામત માટે તેમજ નવા કામ માટે સરકારમાં એસ્ટીમેન્ટ મોકલવામાં આવ્યું છે જે મંજૂર થયા બાદ કામ આગળ વધશે. ખેડૂતોના જણાવ્યા અનુસાર વાવણી થઈ ગઇ છે પણ જો વરસાદ ખેંચાશે તો પાક મુરઝાવવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. હાલ તો ભગવાન ભરોસે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી
આગામી પાંચ દિવસમાં રાજયના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે જ્યારે ઓગસ્ટ માસ દરમ્યાન ભારે વરસાદની સંભાવના નહિવત છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટો છવાયો વરસાદ રહેવાની સંભાવના છે. ગત મહિને સિઝનનો ૭૦ ટકા વરસાદ આખા ગુજરાતમાં પડ્યો હતો. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના બાકી રહ્યા છે. જુલાઇ મહિનામાં પડેલા વરસાદના કારણે જળાશયો, નદી અને કૂવા પાણીથી ભરાઇ ગયાં છે. જોકે હજુ વરસાદનો બીજો રાઉન્ડ બાકી છે.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જુલાઇ મહિનામાં વરસાદે રેકોર્ડ તોડ્યો છે. ૫૦ વર્ષમાં પ્રથમ વખત આ વખતે જુલાઇ મહિનામાં સૌથી વધુ ૨૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં કચ્છમાં ૧૧૭, દક્ષિણ ગુજરાતમાં ૮૨ અને સૌરાષ્ટ્રમાં ૬૨ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ૫૭ ટકા વરસાદ નોંધાયો છે.