બનાસકાંઠાના વખા ગામે સતત છઠ્ઠા દિવસ પણ ખેડૂતો 8 કલાકની વીજળી મામલે આંદોલન કરી રહ્યાં છે.
ખેડૂતોને અપાતી વીજળીમાં કાપ મુકવાનો મામલો
વખા ગામ આજે ખેડૂતોના ધરણાંનો છઠ્ઠો દિવસ
વીજળીની માગ નહી સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
બનાસકાંઠામાં છેલ્લા 6 દિવસોથી ખેડૂતો 8 કલાક વીજળીની માંગ સાથે ખેડૂતો આંદોલન કરતાં હોવા છતાં સરકાર ખેડૂતોની બાબતને ગંભીરતાથી લેતી નથી.જેને લઈને ખેડૂતોઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં સરકાર ખેડૂતોના વીજ મામલે યોગ્ય નિરાકરણ નહીં કરે તો રાજ્ય વ્યાપી ઉગ્ર આંદોલન થશે અને વિધાનસભાના ઘેરાવ કાર્યક્રમ યોજવામાં આવશે.
રાત્રે ખેડૂતો દ્વારા ભજન ગાઇ વિરોધ નોંધાવ્યો
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં દિયોદરના વખા ખાતે છેલ્લા 6 દિવસથી ખેડૂતો પૂરતી વીજળીની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. રાત્રે ખેડૂતો દ્વારા ભજન ગાઇ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર પોતાના વાયદા પ્રમાણે આઠ કલાક પૂરતી વીજળી આપે.
ખેડૂતોના ધરણાંને કોંગ્રેસ-AAP સહિતના પક્ષોનો ટેકો
જ્યાં સુધી આઠ કલાક પૂરતી વીજળી નહીં મળે ત્યાં સુધી ખેડૂતોના ધરણા યથાવત રહેશે. બીજી તરફ ખેડૂતોના ધરણાંને કોંગ્રેસ-AAP સહિતના પક્ષો ટેકો આપ્યો હતો. મહત્વનું છે કે, એક તરફ અનેકવાર વાયદો કરવા છતા વીજળી પુરતી ન મળતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.