ગુજરાતમાં એક તરફ ઓછા વરસાદથી ખેડૂતો પરેશાન છે તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં નકલી બિયારણનાં કારણે ખેડૂતોને મોટું નુકસાન ગયું હતું.
સાબરકાંઠા જિલ્લાની ઘટના
સાબરકાંઠામાં નકલી બિયારણના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. નકલી બિયારણના કારણે હિંમતનગર વિસ્તારમાં પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. સાબરકાંઠામાં કપાસ, બાજરી, મકાઇ અને ઘઉંનો પાક મોટા પ્રમાણમાં થાય છે. ખાનગી કંપનીએ આપેલા બિયારણ નકલી હોવાથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. નકલી બિયારણ અને ઓછા વરસાદના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
સિજન્ટા નામની કંપની દ્વારા આપવામાં આવેલું બિયારણ નકલી
પ્રાથમિક તપાસ બાદ ખેડૂતો નકલી બિયારણનાં કારણે નુકસાનમાં ગયા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં સિજન્ટા નામની કંપની દ્વારા આપવામાં આવેલું બિયારણ નકલી હોવાનું સામે આવ્યું છે. જો કે આ માહિતીની પુષ્ટિ હજુ થઈ શકી નથી માટે તેણે એક આક્ષેપ માની શકાય. સિજન્ટા નામની કંપની દ્વારા અમેરિકન સ્વીટ મકાઇનું બિયારણ આપવામાં આવ્યું હતું. જે નકલી હોવાથી ખેડૂતોનો પાક યોગ્ય થયો નથી. આવું અમુક ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું હતું.
20થી 25 એકરમાં વાવેતર
આ પંથકના અમુક ખેડૂતોએ તો 20થી 25 એકરમાં અમેરિકન સ્વીટ મકાઇનું વાવેતર કર્યું હતું. પરંતુ નકલી બિયારણ હોવાના કારણે પાક યોગ્ય ન થતા વેપારીઓ માલ પણ લેવા તૈયાર નથી. જેને લઇ ખેડૂતોએ સમગ્ર મામલે કડક કાર્યવાહી થાય તેવી માગ કરી છે. તો સામે બિયારણ ડિસ્ટ્રીબ્યુટરે સમગ્ર મામલે વાતાવરણને દોષ આપ્યો છે.
હાલમાં તો ખેડૂતો દ્વારા બિયારણનાં ડિસ્ટ્રિબ્યુટરને દોષ આપવામાં આવી રહ્યો છે તો ડિસ્ટ્રિબ્યુટર દ્વારા મોસમને દોષ આપવામાં આવી રહ્યો છે પરંતુ સમગ્ર મામલે તપાસ થયા બાદ જ સચ્ચાઈ જાણી શકાશે.