કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરવા ખેડૂતોએ મંગળવારે 'ભારત બંધ'નું એલાન કર્યું હતું.
આ દરમિયાન ખેડૂતોએ હરિયાણાના કૈથલ જિલ્લાના તિતરમ વિસ્તારમાં જામ લગાવ્યો હતો. આ સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સુરજેવાલા ત્યાં પહોંચ્યા હતા અને સમર્થનની જાહેરાત કરી હતી અને ખેડૂતોના ધરણાંમાં વચ્ચે બેસી ગયા હતા. કેટલાક ખેડૂતોને આ પગલું રુચ્યું નહીં અને તેમણે સુરજેવાલાની સામે હૂટિંગ કરવાનું શરુ કરી દીધું. આ કારણે સુરજેવાલાએ ત્યાંથી નીકળી જવું પડ્યું.
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ ખેડૂત આંદોલનમાં પોતાનો આ હદે વિરોધ થતો જોઈને તેઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા. આ દરમિયાન હાજર પોલીસ સુરજેવાલાને સુરક્ષા આપીને ગાડી સુધી લઈ ગઈ હતી. ત્યારબાદ તેણે ધરણાનું સ્થળ છોડી દીધું હતું.
વિપક્ષ કોંગ્રેસ અને ભારતીય રાષ્ટ્રીય લોક દળે ભારત બંધને ટેકો આપ્યો હતો
મંગળવારે, ખેડૂત સંગઠનો દ્વારા કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ માટે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, ત્યારે પંજાબ અને હરિયાણામાં ઘણા સ્થળોએ ખેડૂતોએ હાઈવે અને અનેક મુખ્ય રસ્તાઓ રોકીને દેખાવો કર્યા હતા. હરિયાણામાં વિપક્ષ કોંગ્રેસ અને ભારતીય રાષ્ટ્રીય લોક દળે ભારત બંધને ટેકો આપ્યો હતો.