મગફળીના વાવેતર બાદ વરસાદ ખેંચતા જગતના તાતના માથે ઉપાધિના વાદળો ઘેરાયા છે. એક સપ્તાહમાં વરસાદ નહી થાય તો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે.
આકાશ તરફ મીટ માંડીને બેઠા છે ખેડૂતો
એક સપ્તાહમાં વરસાદ નહી પડે તો મગફળીનો પાક બચાવવો મુશ્કેલ
મગફળીમાં સુકારો આવતા ખેડૂતો પાયમાલ થવાની કગાર પર
ગીર-સોમનાથમાં જગતનો તાત ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો છે. ખેડૂતોએ મગફળીનો પાક તો વાવ્યો પણ તેને સુકારો લાગી જતાં હવે પાક નિષ્ફળ જવાની ભીતિ છે.જો એક સપ્તાહમાં વરસાદ ન આવ્યો તો ખેડૂતો પાયમાલ થઈ શકે છે. જેને પગલે ખેડૂતો હવે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.
મગફળીને લાગ્યો સુકારાનો રોગ
ગીર-સોમનાથ જિલ્લામાં મોટાભાગે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું. જોકે વરસાદ ખેંચાતા હવે મગફળીને સુકારા નામનો રોગ લાગી ગયો છે. જિલ્લામાં વરસાદી માહોલ ન બંધાતા ખેડૂતો ચિંતાતૂર થયા છે. સુકારા નામનો આ રોગ મગફળીના મૂળમાં જીવાત રૂપે પ્રવેશે છે અને પાક સુકાઈ જાય છે. જો 8થી 10 દિવસમાં પુરતો વરસાદ નહીં થાય તો મગફળીનો પાક સંપૂર્ણ પણે નિષ્ફળ થવાની દહેશત છે. સોમનાથ જિલ્લામાં 60 ટકા જમીનમાં મગફળીનું વાવેતર થયું છે. જેમાં કોડીનાર, સૂત્રાપાડાના તાલુકામાં ગ્રામ્ય પંથકમાં વાવેતરમાં સુકારો આવતા ધરતીપુત્રો ચિંતાતૂર થયા છે.
એક સપ્તાહમાં વરસાદ ન થયો તો મગફળીના પાકને જીવનદાન મળવું મુશ્કેલ
છેલ્લા 3 વર્ષથી મગફળીના પાકને સુકારાનો રોગ લાગી રહ્યો છે. જેના કારણે જિલ્લાના ખેડૂતોને આર્થકિ રીતે મોટો ફટકો પડયો છે. ગીર-સોમનાથમાં ખેડૂતો મગફળીનું વાવેતર વધુ કરતા હોય છે. જોકે આ વર્ષે પણ મગફળીમાં સુકારો આવતા ખેડૂતો પાયમાલ થવાની કગાર પર છે. કૃષિ વૈજ્ઞાનકના મતે વરસાદના અભાવે સુકારો આવતો હોય છે. પણ તેના પર નિયંત્રણ પણ મેળવી શકાય છે. સુડોમોનાશ દવા 1 કિલોગ્રામ પ્રતિ 1 હેક્ટર જમીનમાં મગફળીના થડ પાસે છાંટવાથી પાકને બચાવી શકાય છે. જો પિયતની સગવડ હોય તો ખેડૂતોએ 1થી 2 પાણી પણ આપવા જોઈએ. હાલ તો વરસાદ ખેંચાયો છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. પણ જો એક સપ્તાહમાં વરસાદ ન થયો તો મગફળીના પાકને જીવનદાન મળવું મુશ્કેલ છે. ત્યારે ખેડૂતો હવે એક જ આશ લગાવીને બેઠા છે કે ક્યારે વરસાદ વરસે અને તે નુકસાનમાંથી બચી શકે.