સરકાર સામે અવાજ ઉઠાવશો કે રજૂઆત કરવા જશો તો પોલીસ રસ્તામાંથી ઉઠાવી લેશે. આવું જ કાંઈક સુરેન્દ્રનગરમાં સામે આવ્યું છે. જ્યાં ચોટીલાથી ગાંધીનગર પોતાની માગણીઓને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરવા જતા ખેડૂતોની પીપરાળી ગામ પાસે પોલીસે અટકાયત કરી લીધી છે.
આ તમામ ખેડૂતો પાકવીમો, વળતર, પોષણક્ષમ ભાવ સહિતની માગને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરવા જતા હતા. તે દરમિયાન ઉપરથી મળેલા આદેશ પ્રમાણે, પોલીસે 30 જેટલા ખેડૂતોની અટકાયત કરી લીધી છે અને કારણ એવું રજૂ કર્યું છે કે, વિધાનસભા સત્ર ચાલુ હોવાથી કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને કાર્યાવાહી કરાઈ છે.
અહીં ઘણા સવાલ ઉભા થાય છે કે, ખેડૂતો એવી તો કઈ અનિચ્છનિય ઘટનાને અંજામ આપવા જઈ રહ્યા હતા કે પોલીસને તેમની અટકાયત કરવી પડી? શું સરકારને ડર લાગી રહ્યો છે કે, ક્યાંક ખેડૂતોની રજૂઆત ગૃહ સુધી પહોંચશે તો વિપક્ષને મુદ્દો મળી જશે? કે પછી સરકાર ખેડૂતોનો અવાજ દબાવી દેવા માગે છે? જો સરકાર સાચે જ ખેડૂતોના આવક બમણી કરવાની વાતો કરતી હોઈ તો પછી ખેડૂતોની વાત સાંભળવા કેમ તૈયાર નથી? કેમ અધવચ્ચે જ ખેડૂતોને અટકાવી દેવાય છે?