જામનગર જિલ્લામાં PGVCL દ્વારા ખેડૂતોને હાલાકી પડી રહી હોવાનું સામે આવ્યું છે. વારંવાર લાઈટ જતી હોવાથી ખેડૂતો પરેશાન બન્યા છે. સૂર્યોદય યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો લાઈટ આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
UGVCLની બિલ ભરવાની અપીલ બાદ ખેડૂતોનું દર્દ છલકાયું
જામનગર જિલ્લામાં VTV NEWS સમક્ષ ખેડૂતોએ ઠાલવી પોતાની વ્યથા
ગ્રામ્ય વિસ્તારમાં PGVCL દ્વારા ખેડૂતોને હેરાન કરાતા હોવાનો આરોપ
ઉદ્યોગોની જેમ ખેડૂતોને કેમ નથી અપાતી દિવસે વીજળી?:ખેડૂત
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી UGVCLના એક કર્મચારીનું સોન્ગ વાયરલ થઇ રહ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે 'રસિયો રૂપાળો રંગ રેલિયો લાઇટ બિલ ભરતો નથી.' આ ગીત વાયરલ થયા બાદ આ કર્મચારીની બિલ ભરવાની આ અપીલની ખૂબ પ્રશંસા થઇ રહી છે. જોકે, આ સોન્ગ વાયરલ થયા બાદ રાજ્યના ખેડૂતોએ વીજ વિભાગ પર રોષ ઠાલવ્યો છે. ત્યારે ખરેખર રાજ્યના ખેડૂતોને વીજ બિલ અંગે શું શું સમસ્યા થઇ રહી છે તે જાણવા માટે વિવિધ જિલ્લામાં જઇ તાગ મેળવ્યો હતો. જેમાં જામનગર જિલ્લાના ખેડૂતોએ VTV NEWS સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે.
રાત્રી સમયે ઝેરી જીવજંતુઓનો ભય
જામનગર જિલ્લાના ખેડૂતોની એક મોટી સમસ્યા એ છે કે અહીં મોટાભાગે રાત્રીની વીજળી મળતી હોવાથી ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. રાત્રી સમયે વીજળી મળતા ખેડૂતોને ઝેરી જીવજંતુઓ અને હિંસક પ્રાણીઓનો ભય રહે છે ક્યારેક તો કેટલાક ખેડૂતોનો ઝેરી સાપ કરડવાથી જીવ પણ ગયો છે જેના કારણે તેનો પરિવારનો આધાર જ છીનવાઇ જાય છે એટલે ખેડૂતોએ માગ કરી છે કે ઉદ્યોગોને દિવસે વીજળી મળતી હોય તો ખેડૂતોને કેમ નહીં?
ખેડૂતોની ઉડાવાય છેઃ અનિરુદ્ધસિંહ
જામનગરના ખેડૂત અનિરુદ્ધસિંહ જાડેજાએ VTV NEWS સાથેની વાતચીતમાં કહ્યું કે, આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે. આ દેશની અંદર ખેડૂતોને પહેલા ભગવાન માનવામાં આવતો હતો. ત્યારે અત્યારે ખેડૂતોની મજાક ઉડાવાય છે. મેં હમણાં એક વીડિયો જોયો GEBના અધિકારી સાહેબનો કે 'રસિયો રૂપાળો રંગ રેલિયો લાઇટ બિલ ભરતો નથી.' મારે તેમને સામે જવાબ આપવો છે કે અમારા 200 રૂપિયા બિલ માટે તમે ખેડૂતોની મજાક ઉડાવો અને આવા વીડિયો પાછા મિલિયનમાં વાયરલ થાય છે. કોમેડીનો વિષય છે ખેડૂત, તમે કલ્પના કરો ખેતી જ નહીં રહે તો તમે શું કરશો. આ કાન રસિયો રૂપાડો અહીં રહેશે જ નહીં તો તમારી લાઇટ પણ એમને એમ રહેશે. એટલે સરકારને મારી એટલી વિનંતી છે કે ખેડૂતોને દિવસે લાઇટ આપો, તમે કારખાનાવાળાને દિવસે લાઇટ આપો તો અમને કેમ નહીં?
ખેડૂતોને દિવસે લાઇટ આપવામાં આવેઃ અનિરુદ્ધસિંહ
તેમણે જણાવ્યું કે, રાતના સમયે જીવજંતુઓનો ભય રહે છે, અમારા ગામમાં બે-ત્રણ કિસ્સા એવા બની ગયા કે રાત્રે પાણીવારવા ગયા અને સાપ કરડી જતાં મૃત્યુ પામ્યા. બીચારો ઘરધણી એકલો જ હોય એ જ મૃત્યુ પામે તો તેના ઘરના પર શું વીતે. નાના-નાના છોકરાઓનું અને પરિવારનું ભરણપોષણ કોણ કરે. એટલે મારી સરકારને એટલી જ વિનંતી છે કે ખાલી દિવસની લાઇટ આપો અને વ્યવસ્થિત લાઇટ આપો. જો ઝટકા જ મારાવાના હોય તો અમારે લાઇટ નથી જોતી.
બિલ ભરવા છતાં લાઇટનો નથી કરી શકતા ઉપયોગઃ ખેડૂત
કુલદીપસિંહ જાડેજા નામના ખેડૂતે જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી ઘઉં, કપાસ, રાયડો સહિતના પાકના સતત ગગડતા ભાવના કારણે ખેડૂત પાયમાલ થઇ રહ્યો છે. કપાસના ભાવ 2 હજાર રૂપિયા હતા તે પણ ઘટી ગયા છે. PGVCLના કર્મચારીઓ પૈસા હોય કે ન હોય વારંવાર બિલની કડક ઉઘરાણી કરી જાય છે. અમે બિલ ભરવા છતાં લાઇટનો ઉપયોગ કરી શકતા નથી. સરકાર દિવસે લાઇટ આપવાનો વાયદો કરે છે પરંતુ દિવસે લાઇટ આપતી નથી, રાત્રીના સમયે જ લાઇટ આપવામાં આવે છે. એમાં પણ રાત્રે ઝટકા આવે છે. એટલે એ પણ ઉપયોગમાં આવતી નથી. બિલ લેવા માટે તો ત્રણ - ચાર દિવસે ગાડીઓ આવી જાય છે.
જામનગરમાં ખેડૂતોની સમસ્યા શું છે?
- UGVCLની બિલ ભરવાની અપીલ બાદ ખેડૂતોનું દર્દ છલકાયું
- આખો દિવસ ખેતરમાં કામ કરીને રાત્રી ઉજાગરા કરવા મુશ્કેલ
- રાત્રીની વીજળી હોવાથી ઝેરી જીવજંતુ અને હિંસક પ્રાણીઓનો ડર
- ઝેરી જીવજંતુ કરડવાથી ખેડૂતોને જીવ ગુમાવાનો વારો આવે છે
- કપાસ, ઘઉં, રાયડો સહિતના ભાવમાં સતત ઘટાડો
- PGVCL દ્વારા વાંરવાર કડક ઉઘરાણી
- વારંવાર કુદરતી આફતમાં પાક નિષ્ફળ જતા અનેક પડકારો
- સતત વધતી મોંઘવારીમાં હવે ખેડૂતોને ખેતી પોસાય તેમ નથી
- સતત વીજ બિલમાં ભાવ વધતા એ પણ મોટી સમસ્યા
જામનગરના ખેડૂતોની માગ શું છે?
- સૂર્યોદય યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં વીજળી
- રાત્રીની જગ્યાએ દિવસે વીજળી મળે
- 12 કલાક વીજળી મળે અને એ પણ દિવસે
- ઉદ્યોગોને દિવસે વીજળી મળે તો ખેડૂતોની કેમ નહીં?
- PGVCL દ્વારા વીજ કટ સમસ્યા દૂર થવી જોઇએ
- કપાસ, ઘઉં, રાયડો સહિતના પોષણક્ષમ ભાવ મળે
- માવઠામાં થયેલા પાક નુકસાનનું યોગ્ય વળતર મળે
જામનગરના ખેડૂતોએ શું કહ્યું ?
- કિસાન સૂર્યોદય યોજના પાછળનો ખર્ચ એળે ગયો
- અમને દિવસની વીજળી હજુ સુધી બરાબર નથી મળી
- દિવસમાં 8 કલાકની લાઇટમાં 6 તો ઝાટકા આવે
- ફક્ત 200 રૂપિયા માટે ઘરે ઉઘરાણી કરવા આવે છે
- પહેલા દેશમાં ખેડૂતોને ભગવાન માનવામાં આવતો હતો
- હવે આ દેશમાં ખેડૂતોની મજાક ઉડાવવામાં આવે છે
- અગાઉ રાત્રી પાણી વાળવા જતા ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે
- ખેડૂતોના જીવ જતા નાના બાળકોને ભૂખ્યા મરવાનો વારો આવે છે