રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદના કારણે ખેડૂતો પરેશાન છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન થાય છે. જેમાં આ વર્ષે 50 ટકા જેટલું ઓછું ઉત્પાદન થવાની શક્યતા છે. ગુજરાતમાં ગયા વર્ષે 30થી 31 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું. જેની સામે આ વર્ષે 15થી 16 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાની શક્યતા છે.
વરસાદ પહેલા પિયતવાળી જમીનમાં જ્યાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યાં જીવાત અને રોગ ને લીધે ઉત્પાદન ઘટ્યું છે. સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદના લીધે જે ખેડૂતો દ્વારા મગફળીની વાવણી કરવામાં આવી હતી. તેમાં વાવણી લાયક વરસાદ ન પડતાં ખેડૂતોને નુકશાનીનો સામનો કરવો પડ્યો છે અને છોડવાદીઠ મગફળીનું ઉત્પાદન પણ ઘટ્યું છે.
મહત્વનું છે કે સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીનું વાવેતર અને ઉત્પાદન ઘટ્યું છે. દિવાળી બાદ બજારમાં મગફળી આવતો હોય છે ત્યારે આ વર્ષે મગફળી લાભપાંચમ બાદ બજારમાં આવશે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.