ભાવનગરના કોટડાની જમીન પર મેથળા બંધારો બાંધવાની માગ ખેડૂતો કરી હતી જે અંગે સરકારે રસ ન દાખવતાં ખેડૂતોએ જાત મહેનત ઝીંદાબાદની માફક જાતે કામગીરી કરી હતી.
ભાવનગરનામેથળા બંધારાના મીઠા ફળ
પૂરમાં ધોવાયો મેથળા બંધારો
ખેડૂતોએ સ્વ ખર્ચે બંધારાનું સમારકામ કર્યું
ભાવનગર જિલ્લો 150 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. જેનો ફાયદો તો નથી મળી રહ્યો પણ દરિયાના કાંઠાના ગામડામાં લોકો મીઠા પાણી માટે વલખાં મારી રહ્યા છે. ભાવનગરનો મેથળા બંધારો જેની ચર્ચાઓ ચારેય દિશામાં છે. તળાજા અને મહુવાના 15થી વધુ ગામને સ્પર્શતો મેથળા બંધારો ફરી એકવાર ચર્ચામાં છે. કોટડાની જમીન પર મેથળા બંધારો બાંધવાની માગ ખેડૂતો છેલ્લા 30 વર્ષથી કરી રહ્યા હતા. જોકે સરકારે દર ચૂંટણીમાં માત્ર વાયદાઓ જ કર્યા છે. અંતે માગ ઉગ્ર બની અને ખેડૂતોએ સરકારને બતાવી દીધું કે કોઈ સરકાર જ્યારે જનતાની માગ પૂર્ણ નથી કરતી તો જનતા પણ કરી બતાવે છે. અને આખરે આ 15 ગામના ખેડૂતોએ સાથે મળીને મેથળા બંધારો બનાવીને સરકારને ચોંકાવી દીધી હતી.
સરકારે સાથ ન આપતાં ખેડૂતોએ જાતે બંધારો ઉભો કર્યો
તૌકતે વાવાઝોડા સમયે આવેલા ભારે વરસાદમાં આ બંધારો ધોવાઈ ગયો હતો. જેથી ફરી એકવાર ખેડૂતોએ સ્વયંભુ કામ ચાલુ કર્યું છે. અને સ્વ ખર્ચે બંધારાનું રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. મહુવા નજીક માલણ બંધારો બાંધવામાં આવ્યો હતો. જેના કારણે આસપાસના ખેડૂતોને ખારા પાણીથી છુટકારો મળ્યો હતો. સાથે જ વરસાદી પાણી આ બંધારામાં એકઠું થતાં સિંચાઈ માટે પાણી મળી રહે છે. જમીનમાં પણ વરસાદી પાણી ઉતરતા કૂવા અને બોરમાં મીઠા પાણી મળી રહે છે. જે બાદ મહુવા અને કોટડાના 15 ગામના લોકોએ મેથળા બંધારો બાંધવાની માગ કરી હતી. જોકે સરકારે સાથ ન આપતાં ખેડૂતોએ જાતે બંધારો ઉભો કર્યો. જે બાદ અહીં વરસાદી પાણી સંગ્રહ થયું અને ખેડૂતોને ડુંગળી સહિત અનેક પાકમાં પણ ફાયદો થતાં આર્થિક સ્થિતિ સુધરી હતી. બંધારામાં પાણીનો સંગ્રહ થતાં મીઠા પાણીનો સમુદ્ર બન્યો હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા.
નોંધનિય છે કે, વિજય રૂપાણી સરકારે 137 કરોડમાં મેથળા બંધારો બાંધવાનું વચન આપ્યું હતું. જોકે ઈચ્છા શિક્તના અભાવે એક પણ ઈંટ ન મુકાતા સ્થાનિકોએ કામ ઉપાડી અને બંધારો બાંધ્યો હતો. ખેડૂતોના મતે સરકારને બંધારામાં કોઈ રસ નથી અને જ્યાં સુધી બંધારો તૂટતો રહેશે અમે બનાવતા રહીશું. તેમ ખેડૂતોએ જણાવ્યુ હતું.
ખેડૂતોની સમસ્યાને ક્યારે સમજશે સરકાર?
અત્યાર સુધી તો ખેડૂતોની લડત અને તેમને બનાવેલા મેથળા બંધારાની વાત કરી પણ હવે નજર કરીએ કે સરકારે મેથલા બંધારા માટે શું કર્યું. ખેડૂતોનું માનીએ તો રાજ્યના આગેવાનો ભોળા લોકો પાસેથી મત તો માગી જાય છે. પણ મેથળા બંધારો બનાવવા માટે કોઈએ પણ સાથ આપ્યો નથી.9 માર્ચ 2018ના રોજ મહુવાથી તળાજા સુધી ખેડૂતોએ બાઈક રેલી યોજીને તંત્રને અલ્ટીમેટમ આપ્યું હતું.કે 18 માર્ચ સુધી જો સરકારે મેથળા બંધારાનું કામ શરૂ ન કર્યું તો ખેડૂતો જાત મહેનત કરશે. ત્યારે રૂપાણી સરકારે 86 કરોડના ખર્ચે બંધારાને બાંધવાની મંજૂરી આપી હતી. જોકે આ વાત માત્ર કાગળ પર રહેતા 6 એપ્રિલ 2018ના રોજ 20 હજાર લોકોએ બળદગાડા, ટ્રેક્ટર અને JCBની મદદથી જાતે જ બંધારો બાંધવાનું કામ શરૂ કર્યું. ત્રણ મહિના સત કામ કરીને 55 લાખ 30 હજાર 740 રૂપિયામાં મેથળા બંધારો પૂર્ણ કર્યો હતો.
મેથલા બંધારા વકિાસ સમિતિએ 3 મહિના તનતોડ મહેનત કરીને કામ પૂર્ણ કર્યું
બંધારો બાંધ્યા બાદ ગત ચોમાસામાં ભારે વરસાદ થવાથી કોંક્રિટનો 145 ફૂટ જેટલો ભાગ તૂટી ગયો હતો. જેને રિપેરિંગ કરવા મેથલા બંધારા વકિાસ સમિતિએ 3 મહિના તનતોડ મહેનત કરીને કામ પૂર્ણ કર્યું છે. અહીં કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારિયા વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. પણ તેમના સવાલો પણ વધુ કંઈ ઉકાળી ન શક્યા. સરકાર માત્ર જવાબ આપી સંતોષ માનતી હોવાનું ધારાસભ્યનું કહેવું છે.
ભાવનગરના મેથળા બંધારા માટે સરકારે રસ ન દાખવ્યો
સરકાર દ્વારા વરસાદી પાણીને રોકવા માટે ચેકડેમ, બોરીબંધ, તળાવો, તેમજ સુજલામ સુફલામ યોજના પછાળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ ભાવનગરના મેથળા બંધારા માટે સરકારે કંઈ ન કરતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મેથળા બંધારા માટે સરકાર ઉપર આશા રાખવાના બદલે ખેડૂતોએ પોતાની જમીનમાં જ વરસાદી પાણી રોકવા આગળ આવ્યા અને ગુજરાત જ નહીં દેશભરમાં તેની નોંધ લેવાઈ રહી છે. ખેડૂતોની જાત મહેનત હવે રંગ લાવી છે અને મેથળા બંધારામાં વરસાદી પાણી ભરાતા ખેડૂતો પાણીના ઉપયોગથી સારો પાક લઈ રહ્યા છે. પણ આખરે ખેડૂતો ક્યાં સુધી આ બંધારાની માવજત કરતા રહેશે. સરકાર કેમ આ મુદ્દે કોઈ સહાય નથી કરી રહી તેવું લોકોમાંથી ચર્ચાઇ રહ્યું છે.