અરવલ્લીઃ સરકાર દ્વારા મગફળીને ટેકાના ભાવે ખરીદ કરવાનું જાહેર કર્યુ છે. પરંતુ હાલ ટેકાના ભાવે ખરીદી ચાલુ નહીં થતા અરવલ્લી જીલ્લાના ખેડૂતો મહામુલો પાક મોડાસા માર્કેટ યાર્ડમાં સસ્તા ભાવે વેચવા મજબુર બન્યા છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવે ખરીદી ચાલુ કારાય તેવી માંગ કરી રહ્યા છે.
અરવલ્લી જીલ્લામાં ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં જીલ્લામાં કુલ ૩૬ ૧૭૨ હેક્ટર જમીનમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ સમયસર વરસાદ નહિ પડવાના કારણે પહેલાથી જ ખેડૂતોને પાકમાં જોઈએ તેટલો ઉતારો નહિ આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ત્યારે ખેડૂતોને નુકશાન થયા બાદ બચેલો પાક તૈયાર થતાં છેલ્લા બે દિવસથી મોડાસા માર્કેટ યાર્ડમાં મગફળીની આવક ચાલુ થઇ છે. ખેડૂતો રોજની ૧૦૦૦ બોરી મગફળીનો પાક લઇ મોડાસા માર્કેટયાર્ડ ખાતે વેચવા આવી રહ્યા છે.
બીજી તરફ સરકાર દ્વારા મગફળીને ૧૦૦૦ રૂપિયે ૨૦ કિલોનાં ભાવે ખરીદવા માટે ટેકાનો ભાવ જાહેર કરાયો છે. આગામી ૧૫ નવેમ્બર થી ખરીદી ચાલુ કરવામાં આવનાર છે. ત્યારે ખેડૂતોને આગળ દિવાળીના તહેવારો નજીક આવતા હોવાથી રૂપિયાની જરૂરીયાત ઉભી થતા ખેડૂતોને મહામુલો પાક બજારના વેપારીઓને ૯૦૦થી ૯૧૫ રૂપિયા પ્રતિ ૨૦ કિલોના ભાવે વેચવો પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને ૨૦ કિલો પાછળ ૧૦૦થી ૮૫ રૂપિયાનું નુકશાન સહન કરવું પડી રહ્યું છે. જેના કારણે ખેડૂતો રોષે ભરાયા છે અને સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી ચાલુ કરાય તેવી ખેડૂતોની માંગ છે.
જો કે વરસાદ નથી જેથી પુરતું ઉત્પાદન મળ્યું નથી. બીજી તરફ હાલનાં ભાવ પોષાય તેમ નથી સરકારે કરેલી જાહેરાતમાં 15 નવેમ્બર સુધી ખેડૂત મગફળીનો સંગ્રહ કરી શકે તેમ નથી. જો કે ખેડૂત રવિ સીઝન એટલે કે બટાટાનું વાવેતર 15 નવેમ્બરથી શરૂ કરી દેશે. ત્યારે આ સહાય ખેડૂતને ફાયદો થઈ શકે તેમ નથી તેવું ખેડુતો માની રહ્યાં છે. ત્યારે હવે ખેડુતોની માંગ મુજબ બે દિવસમાં સેન્ટર શરૂ કરે છે કે પછી બીજી રીતે ખેડુતોને સહાય કરે છે તે જોવાનું રહ્યું...