કૃષિ આંદોલન પર સરકારે સંસદમાં કહ્યું કે ખેડૂતોનાં મોત મામલે કોઈ ડેટા નથી, વળતર આપવાનો કોઈ સવાલ જ નથી.
કૃષિ આંદોલન મુદ્દે મોટા સમાચાર
સરકારે કહ્યું આંદોલનનાં કારણે કોઈનું મોત થયું હોય તેવા કોઈ ડેટા નથી
વળતર આપવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી: કૃષિ મંત્રી
કૃષિ આંદોલનના સૌથી મોટા સમાચાર
કૃષિ આંદોલન વચ્ચે સરકારે સંસદમાં કહ્યું છે કે આંદોલનમાં એક પણ ખેડૂતનું મોત થયું નથી. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે આંદોલનમાં એક પણ ખેડૂતનું મોત થયું નથી. નરેન્દ્ર સિંહ તોમરે પોતાના લેખિત જવાબમાં કહ્યું છે કે સરકાર પાસે એવા કોઈ રેકોર્ડ નથી કે આંદોલનના કારણે કોઈ ખેડૂતનું મોત થયું હોય, એવામાં તેમના પરિજનો વળતર આપવાનો કોઈ સવાલ ઊભો થતો જ નથી. નોંધનીય છે કે સરકારને સવાલ કરવામાં આવ્યો હતો કે સરકાર પાસે એવો કોઈ ડેટા છે કે નહીં આંદોલનમા કેટલા ખેડૂતનાં મોત થયા છે. સવાલમાં કહેવામાં આવ્યું કે સરકાર જો વળતર આપતિ નથી તો તેનું પણ કારણ આપે.
શું છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે આશરે 14 મહિના પહેલા સરકાર ત્રણ કૃષિ કાયદા લઈને આવી હતી જેના વિરોધમાં હજારોની સંખ્યામાં ખેડૂત સંગઠનો દિલ્હીમાં વિરોધ કરવા માટે છેલ્લા એક વર્ષથી ઉતર્યા છે. આ આંદોલનને જોતાં પ્રધાનમંત્રી મોદીએ જ એલાન કર્યું કે સરકાર હવે ઝૂકી રહી છે અને કૃષિ કાયદાઓને રદ્દ કરવામાં આવી રહ્યા છે. શિયાળુ સત્રના પહેલાજ દિવસે કાયદા રદ્દ પણ કરી દેવામાં આવ્યા. જોકે ખેડૂત સંગઠનોએ કહ્યું છે કે આંદોલન આમ સમાપ્ત થશે નહીં જેટલા ખેડૂતનાં મોત થયા છે તેમને વળતર આપવામાં આવે.
મોતને લઈને જુદા જુદા દાવા
નોંધનીય છે કે ખેડૂત આંદોલન દરમિયાન ઘણીવાર આપઘાત અને એક્સિડેન્ટમાં ખેડૂતોની મોતના સમાચાર સામે આવ્યા છે. જુદી જુદી પાર્ટીઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યા છે કે 700થી વધારે ખેડૂતોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અને આ ખેડૂતોનાં પરિવારોને સરકાર હવે વળતર આપે.