વંથલીના કણઝા ગામના ખેડૂતને આંબાના બગીચામાં છેલ્લા 4 વર્ષથી પાક નિષ્ફળ જતા દેવું થઇ ગયું હતું, જેને લઇને તેણે આત્મહત્યા કરી લીધી હતી. વાલજીભાઈએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું.
ખેતરમાં કાળી મજૂરી કરીને આખી દુનિયાનું પેટ ભરતા ખેડૂતની હાલતી એટલી દયનીય બની રહી છે કે, જગતનો તાત અંતિમ પગલુ ભરવા માટે મજબુર બન્યો છે. વંથલી તાલુકાના કણજા ગામના એક દિવ્યાંગ ખેડૂત પર મુશ્કેલીઓનું આભ ફાટી પડતા આ ધરતીપુત્રએ જીવન ટૂંકાવ્યું હતું.
વાલજીભાઈ ભાલાણી નામના ખેડૂતને નવ વીઘાનો આંબાનો બગીચો છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી બગીચામાં ઉત્પાદન ન આવતા આ ખેડૂત દેવાના ડુંગર તળે તબાયા હતા. એવામાં વાલજીભાઈએ ઉછીના અને વ્યાજે લીધેલા પૈસા અને સહકારીનું દેવુ વધી જતા ખેડૂતે આ પગલુ ભરવુ પડ્યું હતું.
મહત્વનું છે કે, કણજા ગામના ખેડૂતોના ખેતરમાં ૯૦% આંબાના બગીચા છે અને છેલ્લા ચાર વર્ષથી ખેડૂતોનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે. પરંતુ બાગાયતી પાકને કોઈ વીમા કવચ આપવામાં આવતુ નથી. જેને લઈને ખેડૂતોની હાલત દયનીય બની છે.