એકતરફ સરકાર ખેડૂતોના હિતોની વાત કરે છે ત્યારે ખેડૂતો આત્મહત્યા કરતા હોવાનો કિસ્સો અમરેલી જીલ્લાના ધારી પંથકના વાઘવડી ગામે બનવા પામ્યો છે અપૂરતા વરસાદ અને પાક નિષ્ફળ જવાના ડરે વાઘવડીના દલિત ખેડૂતે મોત મીઠું કરતા સરકાર સામે સવાલ ઉભા થયા છે.
અમરેલી જીલ્લાના ધારી ગીર પંથકમાં વાઘવડી ગામ આવેલ છે. ગામની વસ્તી ફક્ત 400 ની છે. ખેતી પર નિર્ભર વાઘવડી ગામના કાળુભાઈ રામભાઈ દાફડા નામના ખેડૂતની ત્રણ ભાઈઓ વચ્ચે સહિયારી 15 વીઘા જમીન છે.
જેમાંથી સાતેક વીઘામાં ખેતીકામ કરતા કાળુભાઈ દાફડાએ ચોમાસા પહેલા બિયારણનું વાવેતર કરેલું પણ વરસાદ ન આવતાં બિયારણ ફેઈલ ગયું હતું. બાદ મગફળીનું વાવેતર કર્યું હતું અને મગફળીના છોડ હજુ ઉભા થઈ રહ્યા હતાં ત્યાં પરિવારની ચિંતામાં કાળુભાઈ ફરી મગફળીનો પાક નિષ્ફળ જશે તો શું થશે તેવા વિચાર વિચારમાં બે દિવસ પહેલા દલિત ખેડૂત કાળુભાઈ દાફડાએ ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લીધો.
કાચા મકાનોમાં 14 વ્યક્તિનો સંયુકત પરિવાર ઘરના મોભી કાળુભાઈ દાફડાના મોતથી ગમગીન બની ગયો છે અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઉલ્લેખનીય છે કે પાક નિષ્ફળ જવાથી ખેડૂતોએ આત્મહત્યા કરવી પડતી હોય છે. આ વખતે ખેડૂતોને પૂર આવવાને કારણે ડબલ માર પડયો છે. વરસાદે પાક ધોઈ નાંખ્યો તો કરજ કરીને નવું બિયારણ લાવવું પડયું.
એ બિયારણ વાવ્યું તો વરસાદે વિલંબ કરી નાખ્યો. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. મોંઘુ બિયારણ નકલી બિયારણ મોંઘી જંતુનાશક દવા અને યુરિયાખાતરના વધતા ભાવોનો કારણે ખેડૂત ભીંસમાં મૂકાયો છે. જેને કારણે તેને આત્મ હત્યા કરવાની ફરજ પડી છે. અમરેલી જિલ્લામાં ખેડૂત આત્મહત્યાનો આ આ વર્ષે આ પ્રથમ કિસ્સો નોંધાયો છે.
સમગ્ર જગતનું ધ્યાન રાખતા જગતના તાતને કુદરતી આફતો સરકારી તંત્રની અવ્યસ્થા અને મોંધવારીના માર વચ્ચે ઊભા રહીને પરિવાર માટે અને રાષ્ટ્ર માટે અન્ન અને કાચોમાલ પેદા કરવાનું હોય છે. ત્યારે સરકારે આ રાષ્ટ્રપુત્રનો ખાસ ખ્યાલ રાખવો રહયો.