અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાઘવાડી ગામમાં પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતે ઝેરી દવા ગટગટાવી હતી. મગફળીનો પાક નિષ્ફળ જતા દેવામાં ડૂબી ગયેલા ખેડૂતે આ પગલું ભર્યું હતું. ખેડૂતે પોતાની વાડીમાં જ ઝેરી દવા પીધી હતી.
જેને સારવાર માટે રાજકોટમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન જ તેનું મોત થયું હતું. મહત્વનું છે કે એક તરફ ભાગેડું ઉદ્યોગપતિઓ દેશને લૂંટ્યા બાદ બેશર્મ બનીને વિદેશ ભાગી જાય છે તો બીજી બાજુ દેવામાં ડૂબેલો ખેડૂત પોતાના જીવની આહૂતી દેવા મજબૂર બન્યો છે.
આ ઘટના અંગે મળતી વિગત અનુસાર અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાઘવાડી ગામમાં એક ખેડૂતો પોતાના માથે રહેલા દેણાંથી કંટાળીને પોતાના જ ખેતરમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
આ ઘટનાની જાણકારી આસપાસના લોકોને થતા તમામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દવા પીનાર ખેડૂતને તાત્કાલિક અસરથી રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. રાજકોટ ખસેડવામાં આવેલ આ ખેડૂતનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
ઉલ્લેખનીય છે ખેડૂતોને મદદ કરવાની વારંવાર વાતો કરતી રાજ્યની સરકાર આ બાબતની ગંભીરતાથી નોંધ લે અને મૃતક ખેડૂત તથા અન્ય ખેડૂતોની મદદ આવે તેવી લોકમાંગ ઉઠવા પામેલ છે. આ મામલે આપઘાત કરનાર ખેડૂતને બે બહેન અને 3 ભાઇમાં મોટા હતા તેમજ સંતાનમાં બે પુત્ર હોવાનું ખુલવામાં પામ્યું હતું. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.