ખેડૂતોની ટ્રેકટર રેલીને લઈને મામલો ગરમાયો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે પણ આ મામલે નિવેદન આપીને રૂપાણી સરકારને પડકાર ફેંક્યો હતો.
દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન બન્યું ઉગ્ર
ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે હિંસાને વખોડી
આંદોલનમાં જે હિંસા થઇ છે તે અયોગ્ય
દિલ્હીમાં ચાલી રહેલ ખેડૂત આંદોલન અને થયેલ તોફાનો અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે નિવેદન આપતા જણાવ્યું કે ભાજપ સરકાર સંવેદનહીન રહી છે જયારે કોંગ્રેસ આંદોલનને ટેકો આપ્યો છે.
રૂપાણી સરકાર વારંવાર 144 કલમ લગાવે છે તે હટાવી બતાવે પછી જુએ...
આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, સરકાર ખેડૂતોથી ડરી રહી છે. આંદોલનમાં જે હિંસા થઇ રહી છે તે અયોગ્ય છે. ના માત્ર હરિયાણા કે પંજાબના જ ખેડૂતોમાં રોષ છે પરંતુ સમગ્ર દેશના ખેડૂતો કિસાન બીલ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતમાં વારંવાર 144 કલમ લગાવે છે તેને હટાવી જુએ તો ખ્યાલ આવશે ગુજરાતના ખેડૂતોમાં પણ કેટલો રોષ છે. માત્ર 2 રાજ્યો જ નહીં ગુજરાતમાં પણ ખેડૂતોમાં આક્રોષ છે.
જે લોકોએ તોડફોડ કરી એ અમારા ખેડૂતો નહીં : ટિકૈત
કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના આગેવાન રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, અમારા લોકો રિંગ રોડમાં નથી ગયા અને અમે તો અમે શાંતિથી રેલી યોજી રહ્યા છીએ. આ ઉપદ્રવ કેટલીક રાજકીય પાર્ટીઓ દ્વારા આંદોલનને ખરાબ કરવાના હેતુથી ફેલાવવામાં આવી રહ્યો છે.
રાકેશ ટિકૈતે વધુમાં જણાવ્યું હતું કે, ઉપદ્રવી લોકો અમારા ખેડૂત નથી. અમે શાંતિપૂર્ણ રીતે રેલી કાઢી રહ્યા હતા અને પોલીસે નક્કી કરેલા રૂટ પર જ હતા. આંદોલનકારી ખેડૂતોએ કોઈ તોડફોડ નથી કરી. જે લોકોએ તોડફોડ કરી એ અમારા ખેડૂતો નહીં.
યોગેન્દ્ર યાદવે કહ્યું- હિંસામાં અમારો કોઇ રોલ નથી
તો આ તરફ ખેડૂત નેતા યોગેન્દ્ર યાદવે દિલ્હીમાં થયેલી હિંસા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, હિંસામા ખેડૂતોનો કોઈ રોલ નથી. કેટલાક અસામાજિક તત્વો હિંસા કરી રહ્યા છે. તો આ સાથે જ તેમણેખેડૂતોને હિંસાના માર્ગે ન જવાની અપીલ પણ કરી હતી.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું- અંતે તો નુકસાન દેશનું જ થશે
કૃષિ કાયદાને લઈને વારંવાર મોદી સરકારને ઘેરી રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજની દિલ્હીમાં બનેલી ખેડૂતોની રેલી અને પોલીસ ઘર્ષણની ઘટનાને લઈને ફરી એકવાર ટ્વીટ કર્યું હતું. રાહુલે ટ્વીટ કરીને કહ્યું હતું કે હિંસા કોઇ સમસ્યાનું સમાધાન નથી. હિંસામાં કોઇને ઇજા થઇ શકે છે. હિંસાથી આપણા દેશનું જ નુકસાન થશે. સાથે જ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે દેશહિત માટે કૃષિ વિરોધી કાયદો પાછો લેવો જોઇએ.
ITO વિસ્તારમાં બસના કાચ ફોડાયા
દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ ઉગ્ર બની છે. આ દરમિયાન ITO વિસ્તારમાં ઉપદ્રવીઓએ બસના કાચ તોડ્યા હતા. પોલીસ પર કેટલાક ઉપદ્રવીઓએ હુમલો પણ કર્યો. દિલ્હીના અનેક વિસ્તારોમાં ખેડૂતો દાખલ થયા છે. અલગ અલગ સ્થળોએ ખેડૂત-પોલીસ વચ્ચે માથાકૂટ થઈ છે. તો કેટલાક મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યા છે.