સિંઘુ બોર્ડર પર થયેલા લખબીરસિંહ હત્યા મામલે હવે વધુ હોબાળો થતો નજરે પડી રહ્યો છે. ભારે સંખ્યામાં ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડથી ખેડૂતો સિંઘુ માટે રવાના થઇ ચૂક્યા છે.
સિંઘુ બોર્ડર તરફ જતા ખેડૂતોને હાલ અટકાવી દેવામાં આવ્યા છે. તમામ ખેડૂતોને નરેલા પર રોકી દેવામાં આવ્યા છે. પોલીસે હળવો લાઠીચાર્જનો બળપ્રયોગ કરતા ખેડૂતોને આગળ આવવાની મંજૂરી ન આપી.
માહિતી અનુસાર, થોડા દિવસો અગાઉ નિહંગોએ ક્રુરતાથી લખબીરસિંહની હત્યા કરી દીધી હતી. તેના હાથ-પગ પણ કાપી નાખ્યા હતા. આ કેસમાં કેટલાક લોકોની ધરપકડ પણ થઇ ચૂકી છે, પરંતુ હવે આ મામલો જોર પકડી રહ્યો છે. આ તબક્કામાં ઉત્તરપ્રદેશ-ઉત્તરાખંડના ખેડૂતો લખબીર માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. તેઓ સિંઘુ પર જઇ પોતાનો અવાજ બુલંદ કરવા માંગે છે.
પરંતુ પોલીસને ચિંતા છે કે, બીજા ખેડૂતોને આમ સિંઘુ બોર્ડર જવા દેવાથી મામલો વધુ બિચકી શકે છે. કેટલાક મહિનાઓથી ખેડૂતો સિંઘુ બોર્ડર પર પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તેવામાં હવે બીજા રાજ્યોથી ખેડૂતોનું ત્યાં પહોંચવું સ્થિતિને નિયંત્રણથી બહાર કરી શકે છે. તેવામાં હાલ માટે પોલીસે ઉત્તરપ્રદેશ-ઉત્તરાખંડથી આવી રહેલા ખેડૂતોને નરેલા પર રોકી દીધા છે. લાઠીચાર્જ થયો છે, પરંતુ પોલીસ કહી રહી છે કે હવે સ્થિતિ કાબૂમાં છે.