દિલ્હી કૂચના એલાનને પગલે ગુજરાતમાં આંદોલનકારી ખેડૂત નેતાઓને નજરકેદ કરાયા હતાં પણ પોલીસને થાપ આપીને 200થી વધુ ખેડૂતો દિલ્હી બોર્ડર પહોચ્યાં છે. ધરપકડ થવાની બીકે ખેડૂત નેતાઓએ વેશપલટો કરીને ગુજરાત બોર્ડર સુધી પહોંચવુ પડયુ હતું. ગુજરાતમાં ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં છે અને ખેડૂત આંદોલનને સમર્થન આપી રહ્યાં છે જેના લીધે ભાજપ સરકાર પણ ચિંતિત છે.
કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે છેલ્લા 19 દિવસથી દિલ્હી બોર્ડર પર ખેડૂતોએ આંદોલન શરૂ કર્યુ છે જે દિવસે દિવસે ઉગ્ર બનતુ જાય છે. ગુજરાતમાં ખેડૂતો આ આંદોલનને સમર્થન આપી રહ્યાં છે. ભારત બંધમાં પણ ગુજરાતના ગામડાઓ સ્વયંભૂ બંધ રહ્યા હતાં.
20થી વધુ નેતા નજરકેદ
દિલ્હી કૂચના એલાનને પગલે પોલીસે આંદોલનકારી નેતાઓને ઘરમાં નજરકેદ કરી લીધા હતાં. સૌરાષ્ટ્રમાં 20થી વધુ ખેડૂત નેતાઓને તેમના નિવાસસૃથાને પોલીસે નજરકેદ કરી લીધા હતાં. બે ખેડૂત નેતાઓની તો અટકાયત કરી હતી.
ખેડૂત સંઘર્ષ સમિતીના નેતા ડાહ્યાભાઈ ગજેરા પણ પહોંચ્યા
આ દરમિયાન, ખેડૂત સંઘર્ષ સમિતીના પ્રમુખ ડાહ્યાભાઇ ગજેરાને પણ નજરકેદ કરાયા હતાં. જોકે, તેઓ વેશપલટો કરીને ઉદયપુર પહોંચ્યા હતાં. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી અલગ અલગ ટુકડીઓમાં ખેડૂતો રવિવારે સાંજ સુધી ઉદયપુર પહોંચ્યા હતાં. ઉદયપુરમાં પત્રકાર પરિષદ યોજી ખેડૂત આગેવાનોએ ગુજરાત સરકાર પર એવા આકરા પ્રહારો કર્યા હતાં કે, દિલ્હી ચલો રોકવા સરકારે 12 ખેડૂત સંગઠનોના નેતાઓની અટકાયત કરી હતી. ખેડૂતોએ દિલ્હી જવા ભાડે કરાયેલી બસો પણ પોલીસે રદ કરાવી દીધી હતી. પોલીસના દમન વચ્ચે પણ વેશપલટો કરી ખેડૂતો દિલ્હી પહોચ્યાં છે.