રાકેશ ટિકૈતે શુક્રવારે ગાજીપુર બોર્ડર પર ખેડૂતોને સંબોધિત કર્યા હતા, અને કહ્યું હતું કે ગુરુવારે રમખાણો કરતા પર વધુ ખતરનાક સ્થિતિ હતી.
રાકેશ ટિકૈતે પાછળ હટવાની કરી મનાઈ
ગાજીપુર બોર્ડરને હાલમાં ખાલી નહીં કરવામાં આવે : ખેડૂત નેતા
આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલતું રહેશે : રાકેશ ટિકૈત
ભારતીય કિસાન યુનિયનના પ્રવકતા રાકેશ ટિકૈતે શુક્રવારે ખેડૂતોને સંબોધિત કરતા કહ્યું હતું કે ગુરુવારે રમખાણો કરતા પણ વધુ ગંભીર સ્થિતિ હતી, તેમને કહ્યું હતું કે મેં ક્યારેક ભાજપને મત આપ્યો હતો, આંદોલનમાં ભાજપના જ અમુક લોકોએ ખેડૂતોની મદદ પણ કરી હતી, પરંતુ હવે આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલતું રહેશે.
ગાજીપુર બોર્ડર પર હાઇવોલ્ટેજ ડ્રામા
મહત્વનું છે કે ગુરુવારે ગાજીપુર બોર્ડર પર નાટકીય સીન ભજવાયો હતો, કાલે મોટી સંખ્યામાં ખેડૂતોને હટાવવા માટે પોલીસના જવાનો ખડકી દેવાયા હતા અને ખેડૂતોના પાણી-વીજળીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા, સૂત્રોની જાણકારી અનુસાર રાકેશ ટિકૈતની ધરપકડની પણ આશંકા હતી, જો કે રાકેશ ટિકૈતે સરેન્ડર કરવાનો ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે તેઓ પાછળ નહિ હટે, પછી ભલેને ગોળી ખાવી પડે, જો કઈં પણ થયું તો તેઓ આત્મહત્યા કરી લેશે, અને તંત્ર આના માટે જવાબદાર રહેશે.
રાકેશ ટિકૈત આ સમયે ભાવુક થઇ ગયા હતા અને જ્યાં એકબાજુ ખેડૂતોને લઇ જવા માટે રેપિડ એક્શન ફોર્સ, વજ્ર વાહનો અને બસની વ્યવસ્થા કરવામાં આવી હતી, ખેડૂતોના ટેન્ટ પણ કાઢી નાખવામાં આવી રહયા હતા, તે જ સમયે રાકેશ ટિકૈતે લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે જ્યા સુધી કાળા કાયદા પરત નહિ લેવાય ત્યાં સુધી આંદોલન પૂર્ણ નહિ થાય, અને જો કાયદા પરત નહિ લેવાય તો હું આત્મહત્યા કરી લઈશ, આ સિવાય તેમણે અનશન ચાલુ કરીને કહ્યું હતું કે હવે માત્ર તેઓ તેમના ગામડાનું જ પાણી પીશે.
ટિકૈતનું ભાવુક થવું નવું ફેક્ટર સાબિત થયું
આ બધી ઘટના માત્ર 40 સેકન્ડની હતી, રાકેશ ટિકૈતની આત્મહત્યાની ધમકી અને રડવું તે ખેડૂત આંદોલનમાં નવું જોશ લાવનારું ફેક્ટર સાબિત થયું, જ્યાં એકબાજુ એવું લાગી રહ્યું હતું કે ગાજીપુર બોર્ડર પર હવે આંદોલન સમાપ્ત થઇ ગયું, ત્યાં ફરી એકવાર પશ્ચિમ યુપીથી ખેડૂતો ગાજીપુર બોર્ડર પર જમા થવા લાગ્યા હતા અને આ દરમિયાન લોકો ટિકૈત માટે તેમના ગામડાથી પાણી લાવ્યા હતા.
આજે તેમના સંબોધનમાં રાકેશ ટિકૈતે આ જ 40 સેકન્ડનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ 40 સેકન્ડમાં ફરીથી એક વાર આંદોલન બેઠું થઇ ગયું હતું. આ દરમિયાન ટિકૈતે સપષ્ટ કર્યું હતું કે તે સરકારની સાથે વાતચીત કરશે, પણ ધરપકડ નહીં વ્હોરે, વાતચીતથી ઉકેલ આવશે, પણ જ્યારે બધી બોર્ડર ખાલી થશે તેના એક દિવસ પછી જ તેઓ આ સ્થળ ખાલી કરશે. યુપી સરકાર જો પાણી આપશે તો લઈશું, નહિ તો જાતે જ પોતાનું પાણી ખોદીને મેળવી લઈશું.
ગાજીપુર બોર્ડર પર નેતાઓના ટોળાં ઉમટયા
કાલે આખા ઘટનાક્રમ પછી ગાજીપુર બોર્ડર પર નેતાઓનો જમાવડો થવા લાગ્યો હતો, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સીસોદીયા અહીં આવ્યા હતા અને રાલોદ નેતા જયંત ચૌધરી પણ પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારથી યુપી સરકાર સત્તામાં આવી છે, ત્યારથી જ પ્રદેશમાં 144ની ધારા લાગૂ કરવામાં આવી છે.