ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને વચ્ચે રાજ્યમાં ભાજપ દ્વારા ખેડૂતોને રિઝવવા જન જાગરણ અભિયાન શરુ કરવામાં આવશે. આ સાથે આગામી 17,18,19 ડિસેમ્બરના રોજ ભાજપ દ્વારા કિસાન સંમેલન યોજવામાં આવશે.
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે 22મો દિવસ છે. ગુજરાતમાંથી 10 હજાર ખેડૂતો દિલ્લી પહોંચવાની તૈયારીમાં છે. 15 દિવસમાં 10 હજાર ખેડૂતો દિલ્લી પહોંચશે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડૂતો તબક્કાવાર દિલ્હી પહોંચે તેવો નિર્ણય લેવાયો હતો. આ પહેલા દિલ્હી બોર્ડર પર પણ બેઠક મળી હતી.
]કૃષિ કાયદાના વિરુદ્વમાં દિલ્હી બોર્ડર ખેડૂતોના આંદોલનને લઇને ગુજરાતના ખેડૂતો પણ સક્રિય થયેલા જોવા મળી રહ્યાં છે. આ અગાઉ સુરતમાંથી 10 આગેવાનો દિલ્હી જવા રવાના થયા હતા. આ અગાઉ ભુખ હડતાળ કરવામાં આવી ત્યારે કોંગ્રેસે દ્વારા પણ દેખાવો અને ભૂખ હડતાળમાં જોડાયાં હતા અને આપની મહિલાઓ દ્વારા અમદાવાદ ખાતે પ્રતિક ઉપવાસ અને દેખાવો કરવામાં આવ્યાં હતા.
આ અગાઉ દિલ્હી કૂચના એલાનને પગલે ગુજરાતમાં આંદોલનકારી ખેડૂત નેતાઓને નજરકેદ કરાયા હતાં પણ પોલીસને થાપ આપીને 200થી વધુ ખેડૂતો દિલ્હી બોર્ડર પહોચ્યાં હતા. ધરપકડ થવાના ડરે ખેડૂત નેતાઓએ વેશપલટો કરીને ગુજરાત બોર્ડર સુધી પહોંચવુ પડયુ હતું. ગુજરાતમાં ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં છે અને ખેડૂત આંદોલનને સમર્થન આપી રહ્યાં છે જેના લીધે ભાજપ સરકાર પણ ચિંતિત છે.
ખેડૂત સંઘર્ષ સમિતીના નેતા ડાહ્યાભાઈ ગજેરાને પણ કરાયાં હતા નજરકેદ
આ દરમિયાન, ખેડૂત સંઘર્ષ સમિતીના પ્રમુખ ડાહ્યાભાઇ ગજેરાને પણ નજરકેદ કરાયા હતાં. જોકે, તેઓ વેશપલટો કરીને ઉદયપુર પહોંચ્યા હતાં. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી અલગ અલગ ટુકડીઓમાં ખેડૂતો ગત રવિવાર સાંજ સુધી ઉદયપુર પહોંચ્યા હતાં.
ઉદયપુરમાં પત્રકાર પરિષદ યોજી ખેડૂત આગેવાનોએ ગુજરાત સરકાર પર એવા આકરા પ્રહારો કર્યા હતાં કે, દિલ્હી ચલો રોકવા સરકારે 12 ખેડૂત સંગઠનોના નેતાઓની અટકાયત કરી હતી. ખેડૂતોએ દિલ્હી જવા ભાડે કરાયેલી બસો પણ પોલીસે રદ કરાવી દીધી હતી. પોલીસના દમન વચ્ચે પણ વેશપલટો કરી ખેડૂતો દિલ્હી પહોચ્યાં હતા.