કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ નવમા દિવસે આકરૂ વલણ દાખવ્યું હતું. ખેડૂતોએ આજે હવે પોતાનું આંદોલન ઉગ્ર બનાવવા માટે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કરવાની જાહેરાત કરી છે.
8 ડિસેમ્બરે ભારત બંધન એલાન
ખેડૂતોએ પોતાના આંદોલનને ઉગ્ર બનાવતા દિલ્હીમાં આવતા તમામ રસ્તાઓ અને ટોલ પ્લાઝા બંધ કરવાની સાથે ભારત બંધનું એલાન જાહેર કર્યુ છે. આ બાબતે ભારતી કિસાન યુનિયન જનરલ સેક્રેટરીએ નિવેદન આપી જાહેરાત કરી હતી. બીજી બાજુ આવતીકાલે પૂતળાદહનનો કાર્યક્રમ પણ યોજશે અને 7 ડિસેમ્બરે તમામ વીરસપૂતો પોતાના મેડલ પરત કરશે.
સરકારનો MSP પર ભરોસો આપવાનો પ્રયત્ન કર્યો
કૃષિ કાયદાને લઇને ખેડૂતોનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે. ગઇકાલે સરકાર સાથે યોજાયેલી 4 તબક્કાની ચર્ચામાં કોઇ પરિણામ આવ્યું નથી. જો કે આજે ખેડૂત સંગઠનો વચ્ચે આંતરિક બેઠક બાદ આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. જ્યારે બીજી તરફ સરકારે MSP પર ખેડૂતોને ભરોસો આપવાનો પ્રયત્ન કરી રહી છે.
એવોર્ડ વાપસી યથાવત જોવા મળી
ભારતીય સાહિત્ય એકેડમી એવોર્ડના વિજેતા સિરમોર શિરે ડો. મોહનજીત, જસવિંદર સિંહ, પંજાબી ટ્રિબ્યૂનના એડિટર સ્વરાજબીરે પોતાનો એવોર્ડ પરત કર્યો છે. સેંટ્રલ પંજાબી લેખક એસોસિયેશન મુજબ ખેડૂત આંદોલનના સમર્થનમાં આ એવોર્ડ પરત કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે પ્રકાશસિંહ બાદલે પણ પોતાનો પદ્મ વિભુષણ પરત કર્યો હતો.
દિલ્હી પોલીસે જાહેર કરી એડવાઇઝરી
ખેડૂતો દિલ્હી બોર્ડર પર ચારે તરફ જમા થઇ ગયા છે. ગાઝીપુર બોર્ડર પર ગુરુવારે ખેડૂતોએ ફરી આગળ વધવાનો પ્રયત્ન કર્યો, જેને પોલીસે નિષ્ફળ બનાવી દીધો. આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું. ગાઝીપુર, ટિકરી અને સિંઘુ બોર્ડર પર પણ હજી ખેડૂતો પહોંચી રહ્યાં છે. ખેડૂતોના પ્રદર્શનને ધ્યાનમાં લઇને ટ્રાફિક પોલીસે એડવાઝરી જાહેર કરી છે.
દિલ્હી પોલીસે ટિકરી, ઝારોદા બોર્ડરની સંપૂર્ણ રીતે બંધ કરી દીધી છે, જ્યારે બદુસરયા બોર્ડર નાની ગાડીઓ જેમ કે કાર, ટૂ-વ્હીલર માટે ખોલી દેવામાં આવી છે.
સરકારે ખેડૂતોને ત્રણેય કૃષિ કાયદા અને એક પ્રદૂષણવાળા કાયદાને પરત લેવાની જગ્યાએ માત્ર સંશોધન અંગે વાત કરી છે. ત્યારે હવા બધાની નજર આગામી 5 ડિસેમ્બર યોજાનારી ખેડૂત અને સરકાર વચ્ચેની બેઠક પર રહેશે.
સિંઘુ બોર્ડર પર ખેડૂત નેતાઓ વચ્ચે બેઠક યોજાશે. ગત દિવસોમાં સરકાર સાથે થયેલી વાતચીત બાદ આ બેઠક યોજાશે. ખેડૂતોની આ બેઠકમાં સરકાર સાથે આવતી કાલની બેઠકને લઇને રણનીતિ તૈયાર કરવામાં આવશે.
સિંઘુ બોર્ડર પર કોરોના વાયરસનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે. પ્રદર્શનકારી ખેડૂતોમાં શરદી, ખાંસી અને તાવના કેસ વધી રહ્યા છે. તેમાં સોથી વધારે વૃદ્ધ ખેડૂતો ભોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યકર્મીઓની ટીમે ખેડૂતોને માટે દવાની વ્યવસ્થા કરી છે. અહીંના ડોક્ટર્સનું કહેવું છે કે લોકો માસ્કનો ઉપયોગ કરી રહ્યા નથી અને મહામારીને સામાન્ય લઈ રહ્યા છે એવામાં કોરોના વધી શકે છે.
બીમાર લોકોની યાદી તૈયાર કરવામાં જોડાઈ હરિયાણા સરકાર
હરિયાણા સરકારના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે અમે એવા ખેડૂતોનું લિસ્ટ તૈયાર કરીશું જેને તાવ અને શરદી ખાંસી છે. આ પછી કેમ્પ લગાવીને કોરોના ટેસ્ટ કરાશે. જો કોઈ ખેડૂત કોરોના સંક્રમિત મળશે તો તેને સારી સુવિધા અપાશે. ખેડૂતો દ્વારા માસ્ક નહીં લગાવવા અને કોરોનાના પ્રોટોકોલનું પાલન નહીં કરવા માટે અધિકારીઓ અને સ્થાનીય જિલ્લા પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગની ટીમને તપાસના આદેશ અપાયા છે.
ખેડૂત આંદોલનને લઇને દિલ્હીની નાની-મોટી બોર્ડર સીલ
ષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂત આંદોલન પર નજર રાખતા દિલ્હીને જોડતી કેટલીક નાની-મોટી બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે. જેને લઇને નેશનલ હાઇવ 24 પર ગાઝીપુર બોર્ડર બંધ કરી દેવામાં આવી છે. ગાઝિયાબાદથી દિલ્હી આવનાર ટ્રાફિકને સંપૂર્ણ રીતે રોકી દેવામાં આવ્યો છે. દિલ્હી આવનારા લોકોને અપ્સરા બોર્ડર પરથી જવા માટે સુચના આપવામાં આવી છે. ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખતા સિંધુ, લામપુર, ઔચંદી, સાફિયાબાદ, પિયાઓ મનિયારી અને સબોલી બોર્ડર પણ સીલ કરી દેવામાં આવી છે. નેશનલ હાઇવે 44 પર બંને તરફથી આવન-જાવન બંધ છે.
સમાચાર એજન્સી NIA અનુસાર ટિકરી અને ઝરોંદા બોર્ડર પણ સીલ કરી દેવામાં આવી છે. ઝટીકાર અને બદોસરાય બોર્ડર માત્ર ટુ વ્હીલર અને નાના વાહનો માટે ખુલ્લી રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારના રોજ ખેડૂત આંદોલનના કારણે મુકરબા ચોકથી સિંધુ બોર્ડર સુધી બસોનું આવનજાવન બંધ હોવાના કારણે અંદાજે 20 કિલોમીટરના ક્ષેત્રફળમાં આખો દિવસ અફરા-તફરીનો માહાલ જોવા મળ્યો.