દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનના આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતની મુલાકાતે છે. ત્રણ કુષિ કાયદાના મામલે ખેડૂત સંસ્થાઓએ રાકેશ ટિકૈતને આમંત્રણ આપ્યું હતું. ત્યારે રાકેશ ટિકૈતે બનાસકાંઠા જીલ્લાની સરહદ છાપરી બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કરી માતા અંબાને શિશ ઝુકાવી પોતાના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. અંબાજી બાદ પાલનપુર પહોંચી રાકેશ પાલનપુરમાં ખેડુતોને સંબોધ્યા હતા. જોકે આ ખેડૂત સમાજના કાર્યક્રમને પણ ખાસ પ્રતિસાદ સાંપડ્યો ન હતો. આ કાર્યક્રમમાં ગણ્યાગાંઠ્યા લોકો જ હાજર રહ્યાં હતાં. પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા પણ તેમની યાત્રામાં સમર્થન માટે જોડાયા છે.
તેમના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે તેમના તમામ કાર્યક્રમો ફ્લોપ રહ્યા હતા. કારણ કે ટિકૈત જેમના નામે ગુજરાતમાં આવ્યા છે. તેમનું જ સમર્થન નથી મળી રહ્યું. પણ સમર્થન મળ્યું તો માત્ર કોંગ્રેસના એકલ દોકલ ધારાસભ્યોનું અને નેતાઓનું જેના સિવાય સામાન્ય ખેડૂતો જે અસલ મહેનત કરે છે. તે જોવા મળ્યા ન હતા.
આગળના સમયમાં બીજા પ્રોગ્રામ બનાવશું: ખેડૂત નેતા રાકેશ ટિકૈત
રાકેશ ટિકૈતે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ટિકૈતે કહ્યું કે, ગુજરાતનો ખેડૂત સમાજ ફરીથી ઉભો થશે. આગળના સમયમાં બીજા પ્રોગ્રામ બનાવશું. અમારૂ આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલશે. ખેડૂત ફાયદામાં છે તેવું બોલાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના ખેડૂત દહેશતમાં છે. ગાંધીનગરને ઘેરી ટ્રેક્ટરથી આંદોલન કરવું પડશે. ગાંધી આશ્રમની મુલાકાત બાદ કરમસદ જવા રવાના થશે.