વેક્સિનેશનના કારણે લોકોના મોત થઈ રહ્યા છે: રાકેશ ટિકૈત
ખેડૂત આંદોલનના છ મહિના પૂરા થવા જઈ રહ્યા છે. ભીષણ ગરમી અને ભયંકર કોરોના મહામારી હોવા છતાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ વચ્ચે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહારો કર્યા છે. રાકેશ ટિકૈતે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી 2022માં રાષ્ટ્રપતિ બનશે. ત્યાર બાદ આખા દેશમાં રાષ્ટ્રપતિ શાસન લગાવીને સરકાર ચલાવશે.
સરકારે રાજીનામું આપી દેવું જોઈએ
રાકેશ ટિકૈતે જણાવ્યું કે સરકારે રાજીનામું આપી દેવું જોઈએ અને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવું જોઈએ. પ્રધાનમંત્રી મોદી જ રાષ્ટ્રપતિ બની જશે. વર્ષ 2022માં તેજ રાષ્ટ્રપતિ બનશે અને આખા દેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેશે.
રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દરેક જવાબદારી પોતાના હાથમાં લઈ લેશે મોદી
ટિકૈતને જ્યારે પુછવામાં આવ્યું કે 2024માં આવું કરવામાં આવશે કે 2022માં? તેના જવાબમાં ટિકૈતે જણાવ્યું કે પીએમ મોદી આવું 2022માં જ કરશે. તે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરશે અને પ્રધાનમંત્રીના દરેક અધિકાર પોતે લઈ લેશે. તેમણે આગળ જણાવ્યું કે દરેક કામની જવાબદારી વહેચવા જેવી હતી. મંત્રી ઓફિસર દરેકને કામ આપવું જોઈતું હતું. પરંતુ દરેક મંત્રી ઘરમાં બેસી રહ્યા છે અને લોકોને મરવા માટે છોડી દીધા છે.
વેક્સિનેશનને લઈને કહી આ વાત
રાકેશ ટિકૈતે વેક્સિનેશન પર પણ સવાલો ઉઠાવ્યા હતા. રાકેશ ટિકૈતે કહ્યું કે વેક્સીન લગાવવાના કારણે ઘણા લોકોના મોત થયા છે. કોરોના વેક્સીન લેવાના કારણે ઘણા લોકોને તાવ આવ્યો હતો. જેના કારણે બાદમાં તેમને કોરોનાના લક્ષણ પણ જોવા મળ્યા હતા અને તેમની તબિયત બગડી હતી. જોકે ટિકૈત પોતે પણ વેક્સીન લઈ ચુક્યા છે.