વ્યવસાય જરૂરી છે પરંતુ એ વ્યવસાય જ્યારે કૃષિને નુકસાન પહોંચાડતો હોય તો એ વ્યવાસય નથી રહેતો એ ત્રાસ બની જાય છે. વાત કરવી છે કોડીનારના કાજ ગામે ચાલતા ઝીંગા ફાર્મની. અહીં છેલ્લાં ઘણા વર્ષોથી ગેરકાયદેસર ધમધમતા ઝીંગા ફાર્મના કારણે ખેતીની જમીનને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોએ પોતાની ખેતીની જમીન બચાવવા જિંગા ફાર્મનો મુદ્દો હાઈકોર્ટ સુધી લઈ જવો પડયો. જોઈએ આ અહેવાલ
કોડીનારના કાજ ગામે ઝીંગાફાર્મ આવેલ છે. આ ઝીંગા ફાર્મ છેલ્લા એકાદ વર્ષથી કાજ ગામ અને ખેડૂતો માટે માથાનો દુખાવો બન્યા છે. ગ્રામજનો અને ખેડૂતો નો આરોપ છે કે, આ ઝીંગા ફાર્મ ગેરકાયદેસર ધમધમી રહ્યા છે અને એ પણ ગૌચરની જમીન પર.
કાજ અને આસપાસના ગામોની સીમમાં દરિયા પાસે પરમિશન વિના જ ઝીંગા ફાર્મ ધમધમી રહયા છે. કાજ ગામના લોકોએ આ બાબતે 6 મહીના પહેલા મામલતદાર કચેરીએ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે ગ્રામજનોનો વિરોધ જોઈને થોડા સમય પૂરતા જિંગા ફાર્મ બંધ રહ્યા પરંતુ હવે ફરી પાછા ધમધમવા લાગ્યા છે.
ઝીંગા ફાર્મના તળાવના કારણે દરિયાનું ખારું પાણી જમીનમાં ઉતરી રહ્યું છે અને એ પાણી આસપાસના ખેડતોના કૂવા અને બોરમાં ભળી રહ્યું છે. જેના કારણે ખેડૂતોના પાક અને તેમની જમીન બિનઉપજાઉ બનાવા લાગી છે. જો કે એ વાત જુદી છે કે, ઝીંગા ફાર્મવાળી આ જમીન પંચાયતની અણઆવડતના કારણે ગૌરચ હેડે લાંબા સમય સુધી નીમાઈ નહીં અને પરિણામે આવા ગેરકાયદેસ ઝીંગા ફાર્મની પેશકદમી થઈ ગઈ.
જેના કારણે પંચાયતે ગુંચવાડામાં મૂકાવું પડયું અને ખેડૂતોએ નુકસાની ભોગવવી પડી. પરંતુ લાંબા સમયબાદ જ્યારે કલેક્ટર જેવા સ્થાનિક સરકારી તંત્રએ આ ઝીંગા ફાર્મ દૂર કરવા ઉપેક્ષા દાખવી તો ખેડૂતોએ પોતાની ખેતી બચાવવા અને ગૌચરની જમીન છૂટી કરાવવા છેક હાઈકોર્ટમાં ધા નાખી.
હવે હાઇકોર્ટે જિલ્લા કલેક્ટર અને એસપીને ઝીંગા ફાર્મની કાયદેસરતા અંગે તપાસ કરવા કહ્યું છે એટલુંજ નહિ. ગૌચરની જમીન પર ગેરકાયદેસર ધમધમતા ઝીંગા ફાર્મ દૂર કરવા અને ગૌચરની જમીન છૂટી કરવા હુકમ કર્યો છે અને આ કામમાં કોઈ અડચણરૂપ બને તો તેમની અટકાયત કરવા પણ હુકમ કર્યો છે. હાઈકોર્ટના આ હુકમ બાદ ખેડૂતોમાં અને પશુપાલકોમાં આનંદ ફેલાયો છે સાથે જ ન્યાતંત્રમાં વિશ્વાસ દ્રઢ બન્યો છે.
જો કે, આ માત્ર હાઈકોર્ટનો આદેશ છે તેનું અમલીકરણ કઈ રીત થાય છે તેના પર ખેડૂતોની સાચી ખુશીનો આધાર છે. પરંતુ તેમ છતાંઝીંગાફાર્મ કાયદેસર હોય કે ગેરકાયદેસર પરંતુ જો તે ખેતી માટે નુકસાનકર્તા હોય તો તો દૂર કરવા જ જોઈએ અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ કેમકે, કૃષિના ભોગ થતો વિકાસ અંતે તો માનવજીવનની ગોઠવાતી ચિતા સમાન જ હોય છે.