અમરેલીઃ રાજ્યમાં ખેડૂતોનો આપઘાત કરવાનો સિલસિલો યથાવત્ છે. આજે રાજ્યમાં વધુ એક ખેડૂત દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના ધારીના વાવડી ગામના ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરે આપઘાત કર્યો છે. છેલ્લા 3 વર્ષથી નબળા ઉત્પાદનથી નિરાશ થતા ખેડૂતે અંતિમ પગલુ ભર્યું હતું.
અમરેલી જિલ્લાના ચાંદગઢના ખેડુતે કરેલા આપઘાતની શાહી હજી સુકાઈ નથી ત્યાં આજે ધારી તાલુકાના એક યુવાન ખેડુતે ઝેરી દવા પી'ને જીવન ટુકાવ્યું છે. કારણ કે પાક નિષ્ફળ જવાનો ડર...
મહત્વનું છે કે અમરેલી જિલ્લો આ વરસે વરસાદથી વંચિત રહી ગયો છે. ત્યારે જિલ્લામાં બબ્બે વખત બિયારણ ફેલ થયુ અને છેલ્લા એક માસથી વરસાદ પડ્યો નથી. ત્યારે પાક નિષ્ફળ જવાના ડરથી આજે ધારી તાલુકાના વાવડી ગામના યુવાન ખેડુત અનકભાઈ ગભરુભાઈ જેબલીયા નામના 35 વર્ષિય યુવાને ઝેરી દવા પીય જીવન ટુકાવ્યું હતું. જેને પી.એમ.માટે અમરેલી સિવિલ હોસ્પિટલે લાવવામા આવેલ હતા.
છેલ્લા થોડા સમયથી મૃતક અનકભાઈ મુંઝાયેલા હતા અને તેના પિતાની ગેરહાજરી વૃદ્ધ માતા અને આઠ વર્ષનો નાનો બાબો તથા તેમના પત્નિની જવાબદારી. ઉપરથી પાક નિષ્ફળ જવાની ભીતી હતી. આ ખેડુતે તેની કરુણાંતિકા ગામના સરપંચને કહી સંભળાવેલ પરંતુ તેમણે આશ્વાસન આપ્યુ અને જોબકાર્ડ પણ કઢાવી આપેલ છતાં યુવાન હિમ્મત હારી ગયો. આખરે ઝેરી દવા પી'ને જીવન ટુકાવ્યું હતું. જેનુ પારાવાર દુઃખ સહિત ગામ આખાને થયું છે.
ત્યારે જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડુતોના આપઘાતનો સિલસિલો શરુ થયો છે. ત્યારે સરકારે અમરેલી જિલ્લાના ખેડુતો માટે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે.